ગજબની સુંદરતા ધરાવે છે ચિત્રા નક્ષત્રમાં જન્મેલી સ્ત્રીઓ
ચિત્રા નક્ષત્રમાં જન્મલેતા બાળકો હોશિયાર, સુંદર અને શાંતિપ્રિય હોય છે.
નક્ષત્રને આધારે સ્વભાવ જાણવાના ત્રીજા ભાગમાં આજે અમે તમને અન્ય છ નક્ષત્રો વિશે જણાવીશું. આ નક્ષત્રમાં જન્મ લેનારા જાતકોનો વ્યવહાર, વિચાર અને કામ કેવા હોય છે, અને કુટુંબ, સમાજ અને દેશની પ્રગતિમાં તેમનુ કેવું યોગદાન રહેશે આ અંગે જાણીશું.
પૂર્વા ફાલ્ગુની
આ નક્ષત્રમાં જન્મ લેનારા જાતકો સ્વાભાવિક રીતે પોતાના દુશ્મનોનો નાશ કરનારા હોય છે, તેઓ કોઈનાથી જલ્દી હારતા નથી. તેઓ દરેક કામમાં નિપુણ, બોલવામાં મૃદુ પણ હોંશિયાર, દરેક પરિસ્થિતિમાં ખુશ રહેનારા હોય છે. પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં જન્મેલી સ્ત્રીઓ આકર્ષક, ઉચ્ચ શિક્ષિત, રાજકીય કામોમાં સફળ અને સરકારી નોકરીમાં ઉચ્ચ પદ પર પહોંચેલી હોય છે. તેમને પ્રવાસનો ખૂબ શોખ હોય છે. તેઓ ગમે ત્યારે ફરવાનો પ્લાન બનાવી લે છે. તેમનો ભાગ્યોદય 28 થી 32ની ઉંમરે થાય છે.
ઉત્તરા ફાલ્ગુની
આ નક્ષત્રમાં જન્મેલા પૈસાદાર હોય છે. અનેક સાધન દ્વારા પૈસા ભેગા કરવામાં હોંશિયાર હોય છે. જો કે પૈસા રહેવાને કારણે તેઓ ભોગ-વિલાસમાં ડુબેલા રહે છે. તેઓ દેખાડો પણ ખૂબ કરે છે. તેઓ મજબૂત અને સ્વસ્થ શરીરના માલિક હોય છે. તેમની બુદ્ધિ અત્યંત તેજ હોય છે. પડદા પાછળ ચાલતી દરેક ઘટનાઓની જાણકારી તેઓ મેળવી લેતા હોય છે. જો કે તેમનો હંમેશા પોતાના જીવનસાથી સાથે કલેશ રહ્યા કરે છે. તેમનો ભાગ્યોદય 30 થી 32 વર્ષની ઉંમરે થાય છે.
હસ્ત
હસ્ત નક્ષત્રમાં જન્મેલા લોકોમાં નેતૃત્વ ક્ષમતાનો સહજ ગુણ હોય છે. તેઓ પોતાના કુટુંબ, સમાજ, મિત્રો ઉપરાંત પોતાના રાજ્ય અને દેશનુ નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે. આ નક્ષત્રમાં જન્મેલા જાતકોમાં જુઠુ, દગાબાજી, ક્રોધી, દારૂની લત અને ચરિત્રહિન હોવાના ગુણો પણ જોવા મળ્યા છે. હસ્ત નક્ષત્રમાં જન્મેલા લોકોની કુંડળીમાં ચંદ્ર અને મંગળ ઉચ્ચનો હોય તો વ્યક્તિ સેના કે પોલિસમાં મોટુ પદ મેળવે છે. પોતાની મહેનત અને ઈચ્છા શક્તિના બળે તેઓ મોટા વેપારી પણ બની જાય છે.
ચિત્રા
આ નક્ષત્રમાં જન્મેલા જાતકો બુદ્ધિશાળી, ધનવાન, દાની, સુંદર હોય છે. તેઓ સારા લેખક પણ હોય છે અને પોતાના લેખનના માધ્યમથી જગતમાં ખ્યાતિ મેળવે છે. ધર્મમાં આસ્થા રાખનારા હોય છે. તે યોગ્ય ચિકિત્સક, આયુર્વેદના જાણીતા કે મકાન નિર્માણ પ્રકિયામાં રસ ધરાવનારા અને વાસ્તુની જાણકારી રાખનારા હોય છે. તે વ્યક્તિ સૌદર્ય પ્રેમી હોય છે. સાફ-સુથરા અને સુંદર રીતે તૈયાર થઈને રહેવું તેમને ગમે છે. તેમનો ભાગ્યોદય 33 થી 38 વર્ષની ઉંમરે થાય છે.
સ્વાતિ
આ નક્ષત્રમાં જન્મેલા લોકો કુશળ વેપારી હોય છે. સ્વાતિ નક્ષત્રમાં જન્મેલા જાતકોનો સ્વભાવ શાંત, શીતળ અને મધુર હોય છે. તેઓ વિના કારણે કોઈની સાથે લડતા નથી અને જો કોઈ તેમને પરેશાન કરે અથવા વિના કારણે તકલીફ આપે તો તેઓ તેને પહોંચી વળવામાં સક્ષમ હોય છે. આર્થિક દ્રષ્ટિએ સંપન્ન હોય છે. જો કે શિક્ષણના મુદ્દે તેઓ પાછા પડતા નથી. તેમનો ભાગ્યોદય 30 થી 36 વર્ષની ઉંમરે થાય છે.
વિશાખા
વિશાખા નક્ષત્રમાં જન્મેલી સ્ત્રીઓ અત્યંત ભાગ્યશાળી હોય છે. તે જે કામમાં હાથ નાખે છે, તેમાં જરૂર સફળતા મેળવે છે. આ નક્ષત્રમાં જન્મેલા પુરુષો પોતાના કર્મ અને પુરુષાર્થથી જીવનમાં નવી સફળતાઓ મેળવે છે. પણ જો તેઓ ખોટા રસ્તે ચડી જાય તો તે ક્ષેત્રના કુખ્યાત પણ બની જાય છે. તેઓ કંજૂસ, લોભી, બોલવામાં ચતુર, અહંકારી, કામ વાસનામાં ડુબેલા અને દારૂનુ વ્યસન ધરાવનારા હોય છે. પાપ-પુણ્યથી તેમને કોઈ લેવા-દેવા નથી. શુભ કામ કરનારા આ જાતકોનો ભાગ્યોદય 21, 28 અને 34 વર્ષે થઈ શકે છે.