તમારી કુંડળીમાં છે ગ્રહણ દોષ તો જાણો તેનું નિવારણ
ગ્રહણ દોષ જે ભાવમાં બને છે તે ભાવને લગતું અશુભ પરિણામ આપવા લાગે છે.
વ્યક્તિના જીવનમાં આવનારા સુખ-દુઃખ, લાભ-હાનિ, યશ-અપયશ, રોગ આ બધું જ ગ્રહ નક્ષત્રોની ચાલ અને ગતિ પર આધાર રાખે છે. ઘણી વાર સખત મહેનત કરવા છતાં વ્યક્તિ પોતાના જીવનમાં હેરાન પરેશાન રહ્યા કરે છે, જ્યારે ઘણા લોકો થોડી મહેનતે પણ ઈચ્છિત પરિણામ મેળવી લે છે. જ્યોતિષ શાસ્ત્રમાં નવ ગ્રહોના માધ્યમથી જીવનમાં આવનાર સારી અને ખરાબ ઘટનાઓ વિશે જાણી શકાય છે.
જ્યોતિષમાં એવા અનેક યોગોનું વિસ્તારથી વર્ણન મળે છે. જે પ્રમાણે જો કોઈ વ્યક્તિની જન્મકુંડળીમાં આવો દોષ હોય તો તે ખરાબ અસર દેખાડે છે. આમાંનો જ એક દોષ છે ગ્રહણ દોષ. ગ્રહણ દોષ એક અશુભ યોગ છે, જે જેની કુંડળીમાં હોય તે વ્યક્તિનું જીવન દુઃખોથી ભરેલું રહે છે. તેવી વ્યક્તિ જીવનમાં સફળ થઈ શકતી નથી કે આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકતી નથી. અજાણતા પણ તેનું આખુ જીવન મુશ્કેલીઓથી ભરેલુ રહે છે. યોગ્ય જ્યોતિષ પાસે જઈ આ ગ્રહણનું યોગ્ય નિવારણ કરવામાં આવે તો મુશ્કેલીઓ ઘણી ઓછી થઈ જાય છે.
શું છે આ ગ્રહણ દોષ
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણ દોષની વિસ્તૃત વ્યાખ્યા આપવામાં આવી છે. તે પ્રમાણે જ્યારે કોઈ કુંડળીના દ્વાદશભાવમાં કોઈ એક ભાવમાં સૂર્ય કે ચંદ્રની સાથે રાહુ કે કેતુમાંથી કોઈ એક ગ્રહ બેઠો હોય તો ગ્રહણ દોષ બને છે. આ ઉપરાંત જો સૂર્ય કે ચંદ્રના ઘરમાં રાહુ કે કેતુમાંથી કોઈ એક ગ્રહ હાજર હોય તો પણ તે ગ્રહણ દોષ કહેવાય છે. ગ્રહણ દોષ જે ભાવમાં બને છે તે ભાવથી જોડાયેલા પરિણામો પર આ અશુભ અસર પાડે છે. જેમ કે, દ્રિતિય ભાવ ધન સ્થાન કહેવાય છે. જો આ ભાવમાં ગ્રહણ દોષ લાગે તો વ્યક્તિ જીવનભર આર્થિક મુશ્કેલીઓથી ઘેરાયેલો રહે છે. એક મુશ્કેલી જતાની સાથે બીજી મુશ્કેલી આવી પડે છે. વેપાર બરાબર ચાલતો નથી. નોકરીમાં એક જગ્યાએ ટકીને કરી શકતો નથી. પૈસા બચાવી શકતો નથી. નફો થતા થતા અટકી જાય છે.
ગ્રહણ દોષના લક્ષણ અને પ્રભાવ
ગ્રહણ દોષ મુખ્યત્વે સૂર્ય કે ચંદ્રની સાથે રાહુ કે કેતુની હાજરીને કારણે બને છે. જે રીતે સૂર્ય કે ચંદ્ર ગ્રહણ થવાથી અંધારુ છવાઈ જાય છે, તે જ રીતે કુંડળીમાં ગ્રહણ દોષ લાગવાથી જીવનમાં આર્થિક, સામાજીક, કૌટુંબિક, નોકરીમાં પ્રમોશન, વેપારમાં લાભ જેવી સ્થિતિઓ પર પણ ગ્રહણ લાગી જાય છે. વ્યક્તિની ઉન્નતિ રોકાઈ જાય છે. જ્યારે કોઈના જીવનમાં અચાનક મુશ્કેલીઓ આવવા લાગે, કોઈ કામ થતા થતા અટકી જાય, વારંવાર કોઈ સંકટ રહ્યા કરે, બિમારી રહ્યા કરે તે સમજી લેવું કે તેની કુંડળીમાં ગ્રહણ દોષ લાગેલ છે.
ગ્રહણ દોષનું નિવારણ
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક મુશ્કેલીનું નિવારણ જણાવવામાં આવેલું છે. જો તમે ગ્રહણ દોષથી પરેશાન છો તો કોઈ જ્યોતિષની સલાહ લઈ તેનું યોગ્ય નિવારણ લાવવું જોઈએ. આ યોગનું પૂર્ણ નિવારણ સૂર્ય કે ચંદ્ર ગ્રહણના દિવસે જ કરી શકાય છે. પરિણામે પહેલેથી કોઈ જ્યોતિષની સલાહ લઈ નિવારણ માટે દિવસ નક્કી કરી લો. જો કે કેટલાક મુશ્કેલીઓનું તાત્કાલિક નિવારણ અન્ય દિવસોએ પણ કરી શકાય છે. જેમકે,
- જો તમે કોઈ ગુરુને માનો છો તો ગુરુની સેવા કરો. ગુરુ મંત્રનો જાપ કરતા રહો.
- સૂર્યને કારણે ગ્રહણ દોષ બને છે તો સૂર્યને જળ ચઢાવવું. આદિત્યહદય સ્તોત્રનો પાઠ કરો. રવિવારે મીઠાનું સેવન ન કરવું. કોઈ કન્યાને લાલ વસ્ત્રોનુ દાન કરો.
- જો ચંદ્રને કારણે ગ્રહણ દોષ બને છે તો સફેદ વસ્ત્રોનું દાન કરવું. સોમવારે કોઈ કન્યાને કેસર વાળી ખીર ખવડાવવી.
- મહામૃત્યુંજય મંત્રના સવા લાખ જાપ કરો.
- રાહુ અને કેતુની શાંતિ માટે શિવ અને હનુમાનની આરાધના કરો.
યંત્રથી ગ્રહણ દોષનું નિવારણ
જન્મકુંડળીમાં બનેલા ગ્રહણ દોષોનું નિવારણ સિધ્ધ યંત્રો દ્વારા કરી શકાય છે. જે લોકોને ગ્રહણ દોષ લાગેલો છે તેમણે મહામૃત્યુંજય યંત્ર, હનુમત યંત્ર કે રાહુ-કેતુ યંત્રોમાંથી કોઈ એકની સ્થાપના ઘરના પૂજા સ્થાને કરવી જોઈએ. જો તમે કોઈ આર્થિક મુશ્કેલીથી પરેશાન હોવ તો વેપારના સ્થળે મહામૃત્યુંજય યંત્ર લગાવો.
{promotion-urls}