કુંડળીના આ યોગ જણાવશે કે તમને કેટલા બાળકો થશે?
તમારી કુંડળી તમારા વિશે બધું જ જણાવે છે. તમને કેટલા બાળકો થશે એ પણ કુંડળીના અમુક યોગ દ્વારા જાણી શકાય છે.
હંમેશા લોકો જ્યોતિષીને પૂછ્યા કરતા હોય છે કે, અમને કેટલા બાળકો થશે? કેટલી દિકરીઓ અને કેટલા દિકરા થશે? સંતાન સુખ મળશે કે નહિં? આ તમામ પ્રશ્નોનો જવાબ વ્યક્તિની જન્મકુંડળીમાંથી મળી રહે છે, પણ તે માટે કુંડળીનું અત્યંત સુક્ષ્મતાથી અધ્યયન કરવું જરૂરી છે. પતિ-પત્ની બંનેની કુંડળીનું અધ્યયન કર્યા બાદ જે પરિણામ જાણવા મળે તેને આધારે કથન કરવામાં આવે છે. તેમાં સ્ત્રી અને પુરુષના પ્રધાન ગ્રહોની મુખ્ય ભૂમિકા હોય છે. અહીં અમે તમને કેટલાક યોગો વિશે જણાવીશું, જેના દ્વારા જાણી શકાશે કે કયા દંપતિને કયું સંતાન અવતરશે.
પંચમભાવ સંતાન સુખનો ભાવ
જન્મકુંડળીમાં પંચમ ભાવ સંતાન સુખનો ભાવ હોય છે. આ ભાવમાં જેટલા ગ્રહો હોય અને જેટલા ગ્રહોની દ્રષ્ટિ હોય તેટલી સંખ્યામાં સંતાનની પ્રાપ્તિ થાય છે. પુરુષ ગ્રહોના યોગ અને દ્રષ્ટિથી પુત્ર અને સ્ત્રી ગ્રહોના યોગ અને દ્રષ્ટિથી પુત્રીની સંખ્યાનું અનુમાન લગાવી શકાય છે.
શુભ ગ્રહોની દ્રષ્ટિ
પંચમભાવમાં સૂર્ય પર શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો ત્રણ પુત્રોનો યોગ બને છે. પંચમમાં વિષમ રાશિમાં ચંદ્ર શુક્રના વર્ગમાં હોય અથવા શુક્રથી યુક્ત હોય તો પુત્ર થાય છે.
સંતાનોની સંખ્યા કઈ રીતે નક્કી થાય છે?
ગુરુ, ચંદ્ર અને સૂર્ય આ ત્રણે ગ્રહોના સ્પષ્ટ રાશ્યાદિ જોડવાથી જેટલી સંખ્યા આવે તેટલા બાળકો થાય છે. પંચમ ભાવથી અથવા પંચમેશથી શુક્ર કે ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિ સુધીની સંખ્યાની વચ્ચે જેટલી સંખ્યા આવે તેટલા બાળકો થાય છે. પંચમ ભાવથી અથવા પંચમેશથી શુક્ર કે ચંદ્ર જે રાશિમાં સ્થિત હોય તે રાશિ સુધીની સંખ્યાની વચ્ચે જેટલી રાશિઓ હોય તેટલી સંખ્યાના બાળકો થાય છે. જેમકે, જો પંચમ ભાવથી પહેલી રાશિ મેષ હોય અને ચંદ્ર મિથુન રાશિમાં હોય તો તેટલી સંતાનોનું સુખ મળે છે.
પંચમ ભાવથી ગુરુ હોય
પંચમ ભાવમાં ગુરુ હોય, રવિ સ્વક્ષેત્રી હોય, પંચમેશ પંચમમાં જ હોય તો પાંચ સંતાનો થાય છે. કુંભ રાશિનો શનિ પંચમ ભાવમાં હોય તો પાંચ પુત્રો થાય છે. મકર રાશિમાં 6 અંશ 40 કલાની અંદરનો શનિ હોય તો ત્રણ પુત્ર થાય છે, પંચમ ભાવમાં મંગળ હોય તો ત્રણ પુત્ર, ગુરુ હોય તો પાંચ પુત્ર, સૂર્ય-મંગળ બંને હોય તો 4 પુત્ર, સૂર્ય-ગુરુ હોય તો 6 સંતાન જન્મે છે, જેમાં પુત્ર-પુત્રી બંને હોઈ શકે છે.
અલ્પસંતાન યોગ
પંચમ ભાવમાં ચંદ્ર હોય તો ત્રણ જ્ઞાની પુત્રીઓની પ્રાપ્તિ થાય છે. શુક્ર હોય તો પાંચ દિકરીઓ થાય છે અને શનિ ગયો હોય તો સાત દિકરીઓ થાય છે. કર્ક રાશિમાં ચંદ્ર પંચમ ભાવમાં હોય તો અલ્પસંતાન યોગ હોય છે. પંચમેશ નીચનો થઈ છઠ્ઠા, આઠમા, 12મા ભાવમાં પાપગ્રહોથી યુક્ત થઈ દંપતિ સંતાન સુખથી વંચિત રહે છે.