ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મેલા લોકો કેવા હોય છે?
વિપરિત લિંગના લોકોને રિઝવવામાં પાછા નથી પડતા જયેષ્ઠા નક્ષત્રના જાતકો
ગ્રહોની માફક જ વ્યક્તિના જીવન પર જન્મ નક્ષત્રની પણ ઊંડી અસર જોવા મળતી હોય છે. જન્મ નક્ષત્ર દ્વારા વ્યક્તિના વર્તન, ગુણધર્મ અને રૂપની જાણકારી મળે છે. વ્યક્તિના ભાગ્યોદયનો સમયગાળો પણ જન્મ નક્ષત્રો જણાવે છે. 12 રાશિ ચક્રમાં 27 નક્ષત્ર હોય છે અને એક અભિજીત નક્ષત્ર હોય છે. આ પહેલા અમે તમને 16 નક્ષત્ર અંગે જાણકારી આપી ચૂક્યા છીએ, હવે આ શૃંખલાના ચોથા ભાગમાં આપણે આજે અનુરાધાથી શ્રવણ સુધીના છ નક્ષત્રોમાં જન્મેલા લોકો વિશે જાણીશું.
અનુરાધા
અનુરાધા નક્ષત્રમાં જન્મેલા લોકો સફળ વેપારી હોય છે. તેઓ જે પણ વેપાર શરૂ કરે છે તેમાં સફળતા તેમની પાછળ પાછળ ચાલી આવે છે. ધન-સંપદાની તેમને કોઈ ખોટ હોતી નથી. તેઓ માન-સન્માન પણ ખૂબ મેળવે છે. જો કે તેઓ શરીરથી ખૂબ જાડા હોય છે. આરોગ્યને લઈ સજાગ ન રહેવાને કારણે જીવનના શરૂઆતમાંથી જ તેઓ અનેક રોગોથી પીડાતા હોય છે. તેમનો ભાગ્યોદય 39 વર્ષે થાય છે.
જયેષ્ઠા
આ નક્ષત્રમાં જન્મેલા લોકો બુધ્ધિમાન, ચતુર, દરેક કામમાં હોંશિયાર હોય છે. તેમને અનેક મિત્રો હોય છે. તેમનો સ્વભાવ શાંત અને શીતળ હોય છે. કોઈ પણ વાતમાં તેમને ગુસ્સો આવતો નથી. જયેષ્ઠા નક્ષત્રમાં જન્મેલા સ્ત્રી અને પુરુષો વિરુદ્ધ લિંગની વ્યક્તિ પ્રત્યે જલ્દી આકર્ષાય છે અને તેમને રિઝવવા કોઈ કસર છોડતા નથી. પૈસા તેમની પાસે ઘણા ઓછા હોય છે, પણ તેમનું જીવન સુખી હોય છે.
મૂળ
મૂળ નક્ષત્રના લોકો સ્વભાવે વિશાળ હદયી, દાની, પરોપકારી હોય છે. તેઓ પોતાના સમાજમાં ખૂબ માન-સન્માન ધરાવે છે. પૈસાની તેમને જરાય ખોટ હોતી નથી. આરોગ્યની દ્રષ્ટિએ તેમનું જીવન સારુ રહેતુ નથી. વારંવાર તેમને રોગો થયા કરે છે. ઘણીવાર તેમને અકસ્માત પણ થાય છે. તેમનો ભાગ્યોદય 27 કે 31 વર્ષની ઉંમરે થાય છે.
પૂર્વાષાઢા
મિત્રો બનાવવામાં તેમના જેવું કોઈ નથી હોતુ. પૂર્વાષાઢા નક્ષત્રમાં જન્મેલા લોકો મિત્રોથી ઘેરાયેલા હોય છે. પોતાના સંબંધોના દમે તેઓ મોટામાં મોટી મુશ્કેલીમાંથી બહાર નીકળી જાય છે. ઉદાર, સ્વભિમાની, શત્રુઓને હરાવનારા હોય છે. તેમની પાસે બહુ પૈસા નથી હોતા તેમ છતાં તેમનું કોઈ કામ ક્યારેય રોકાતુ નથી. તેમનું ભાગ્યોદય 28 વર્ષે થાય છે અને ત્યારબાદ તેઓ પોતાના જીવનમાં ક્યારેય પાછળ વળીને જોતા નથી.
ઉત્તરાષાઢા
આ નક્ષત્રવાળા જાતકો ગીત-સંગીતના શોખીન હોય છે. તેઓ ગાયક, સંગીતકાર બને છે. તેમને સંગીત દ્વારા પ્રસિધ્ધિ મળે છે પણ તેમની કુંડળીમાં જ્યારે જ્યારે ખરાબ ગ્રહોની દશા આવે છે તેઓ ખોટા રસ્તે ચાલી નીકળે છે અને પોતાના પૈસા, માન-પ્રતિષ્ઠા બધું જ ગુમાવી બેસે છે.
શ્રવણ
શ્રવણ નક્ષત્રમાં જન્મેલા લોકો વાચાળ હોય છે. તેઓ હોંશિયાર, ચતુર અને સાહસી હોય છે અને શુભ કામ દ્વારા સંસારમાં મોટું નામ કમાય છે. તેમને અત્યંત સુંદર અને શિક્ષિત જીવનસાથી મળે છે. ગણિત અને જ્યોતિષમાં તેમને ખાસ રસ પડે છે. જો કે આ નક્ષત્રના ઘણા લોકો સંકુચિત વિચારધારા વાળા પણ જોવા મળ્યા છે. તેમના જીવનનો 19 થી 24 વર્ષનો સમય અત્યંત ખરાબ હોય છે.