સ્ત્રીઓ પગની આંગળીમાં ચાંદીની વીંટી શા માટે પહેરે છે?
શું તમે વિચાર્યું છે કે પરણિત સ્ત્રી શા માટે પગની આંગળીમાં ચાંદીની વીંટી પહેરે છે, પગની આંગળીમાં ચાંદીની વીંટી પહેરવા પાછળના આધ્યાત્મિક કારણો જાણવા વાંચો અહીં..
ભારતમાં પરણિત સ્ત્રીઓની પગની આંગળીમાં વીંટી પહેરવાની પ્રાચીન પરંપરા છે. મહાકાવ્ય રામાયણ પ્રમાણે જ્યારે રાવણ સીતાને ઉપાડી લઈ ગયો હતો, તે સમયે સીતાએ પોતાના પગની વીંટીને રસ્તામાં પાડતા ગયા, જેનાથી રામ જાણી શક્યા કે રાવણ સીતાને કઈ તરફ લઈ ગયો છે.
ત્યારથી લગ્ન બાદ સ્ત્રીઓએ પોતાના પગમાં ચાંદી ની વીંટીઓ પહેરવાની પરંપરા શરૂ થઈ. દરેક પરણિત સ્ત્રીએ પગની બીજી આંગળીમાં ચાંદીની વીંટી પહેરવી જોઈએ. એક પ્રશ્ન એવો પણ છે કે શા માટે ચાંદીની જ સોનાની કેમ નહિં? વાસ્તવમાં હિંદુ પરંપરામાં સોનું દેવી લક્ષ્મીનું રૂપ મનાય છે. હિંદુઓને કમરથી નીચે સોનું પહેરવાની અનુમતિ નથી.
એવું નથી કે આ રિવાજ માત્ર હિંદુઓમાં જ માન્ય છે, મુસ્લિમ સ્ત્રીઓમાં પણ નિકાહ બાદ પગમાં વીંટી પહેરવાનો રિવાજ છે. આજના યુગમાં વિવિધ ડિઝાઈનની વીંટીઓ પહેરવી એ ફેશન સ્ટેટમેંટ બની ગયું છે. તેમ છતાં તેની પાછળ કેટલીક પરંપરાગત માન્યતાઓ છે, જે કંઈક આ મુજબ છે..
કામુક લાગણી
પરંપરાગત માન્યતા પ્રમાણે એવું મનાય છે કે ચાંદી પરણિત સ્ત્રીમાં યૌન ઈચ્છા ઉત્પન્ન કરે છે. પરિણામે હિંદુ શાસ્ત્રમાં લગ્ન બાદ સ્ત્રીને પગની બીજી આંગળીમાં વીંટી પહેરવાનું કહેવામાં આવે છે.
સ્ત્રી રોગોથી બચવા
આયુર્વેદ પ્રમાણે સ્ત્રીઓની પગની બીજી આંગળીની નસો ગર્ભાશય સાથે જોડાયેલી હોય છે. જો સ્ત્રી એ આંગળીમાં વીંટી પહેરે તો તેનાથી તેનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે. સ્ત્રી રોગોમાંથી બચવા માટે આ ઘણો સારો ઉપાય મનાય છે.
માસિક ચક્રમાં નિયમિતતા લાવવા
માસિક ધર્મની નિયમિતતા સારી પ્રજનન ક્ષમતા દર્શાવે છે. પગની બીજી આંગળીનું કનેક્શન ગર્ભાશય સાથે હોવાથી માસિક ધર્મ નિયમિત બને છે. જે દરેક પરણિત સ્ત્રી માટે મહત્વપૂર્ણ છે.
ઊર્જાવાન રહેવા માટે
ચાંદી પહેરવાથી સકારાત્મક ઊર્જા મળે છે, વ્યકિત ઊર્જાવાન રહે છે. પગમાં ચાંદી પહેરવાનો અર્થ એ કે પગથી સકારાત્મક ઊર્જા ઉપર તરફ વહે અને ઉપર તરફની નકારાત્મક ઊર્જા અંગુઠાના માધ્યમથી બહાર નીકળી જાય છે. આયુર્વેદમાં અમુક ધાતુઓને શરીર માટે સારી ગણાવવામાં આવે છે.
હૃદય મજબૂત કરવા માટે
પગની બીજી આંગળીની તંત્રિકાઓ ગર્ભાશયના માધ્યમે હૃદય સુધી પહોંચે છે. પૃથ્વીની સકારાત્મક ઊર્જાને કારણે વ્યકિતનું હૃદય નકારાત્મક ઉર્જાથી દૂર રહે છે. જે સ્વાસ્થ્ય માટે સારી બાબત છે.
આ કારણોથી ભારતીય સ્ત્રીઓ પોતાના પગની આંગળીમાં ચાંદીની વીંટી ધારણ કરે છે. પછી ભલે તે ફેશન રૂપે હોય, પરંતુ પરંપરાનું પાલન થતું રહે તે સારી વાત છે.