સ્વસ્તિક ચિહ્નની અજાણી વાતો, જે દરેકે જાણવી જોઇએ
સ્વસ્તિક માત્ર ચિહ્ન નહિં પણ શક્તિ અને વિશ્વાસનું નામ છે...
હિંદુ પૂજા વિધિમાં સ્વસ્તિકના મહત્વને એવું કોઈ નહિં હોય જે જાણતું ન હોય. સાથિયો બનાવવાની સાથે પૂજાની શરૂઆત થાય છે. સામાન્ય પૂજા હોય કે કોઈ વિશાળ ધાર્મિક પ્રસંગ, દરેક જગ્યાએ સ્વસ્તિક બનાવવામાં આવે છે.
સ્વસ્તિક શબ્દની ઉત્પતિ
સ્વસ્તિક શબ્દની ઉત્પતિ સંસ્કૃતના સુ ઉપસર્ગ અને અસ ધાતુને ભેગા કરી થઈ હતી. સુ નો અર્થ છે શ્રેષ્ઠ અથવા મંગળ, તેનો અર્થ થાય છે સત્તા અથવા અસ્તિત્વ. તેને અનુસાર સ્વસ્તિકનો અર્થ છે, કલ્યાણની સત્તા અથવા માંગલ્યનું અસ્તિત્વ. તેનો વિસ્તૃત અર્થ જોઈએ તો જ્યાં સ્વસ્તિક છે, ત્યાં ધન, પ્રેમ, કલ્યાણ, ઉલ્લાસ, સુખ, સૌભાગ્ય અને સંપન્નતા બધુ આપોઆપ ઉપબલ્ધ થઈ જાય છે. સ્વસ્તિક ચિહ્ન માનવ માત્ર અને વિશ્વ કલ્યાણના વિકાસ માટે બનાવાયેલું અતિપ્રાચિન ધાર્મિક ચિહ્ન છે.
પતંજલિ યોગશાસ્ત્ર
પતંજલિ યોગશાસ્ત્રમાં કહેવાયું છે કે જો તમે કોઈ પણ કામ વિના અડચણો પૂરું કરવા માંગતા હોવ તો કામની શરૂઆત મંગળાચરણ લખવાની સાથે થવી જોઈએ. આ વર્ષો જુની ભારતીય પરંપરા છે અને આપણા ઋષિઓ દ્વારા સ્થાપિત થયેલી છે. પ્રાચીન કાળમાં મુનિઓ કાર્યની શરૂઆત કરતા પહેલા તે અનુષ્ઠાન સાથે જોડાયેલા શ્લોકોની રચના કરી મંગળાચરણ લખતા હતા. આપણા જેવા સામાન્ય મનુષ્યો માટે આવી રચના કરી શકવું મુશ્કેલ છે, પરિણામે ઋષિમુનીઓએ સ્વસ્તિક ચિહ્નનું નિર્માણ કર્યું. કાર્યની શરૂઆતમાં સ્વસ્તિક બનાવવા માત્રથી કાર્ય વિના અડચણે પૂરું થઈ જાય છે.
ધાર્મિક ચિહ્ન
સાથિયો એ કોઈ પણ કામની શરૂઆત માટે કરવામાં આવેલું ધાર્મિક ચિહ્ન છે, પણ તેના મહત્વને કારણે તે સ્વયં પૂજ્ય છે. આપણે ત્યાં ચતુર્માસમાં હિંદુ સ્ત્રીઓ સ્વસ્તિકનું વ્રત કરે છે. પદ્મપુરાણમાં આ વ્રત વિશે જણાવાયું છે. આમાં સુહાગન સ્ત્રીઓ મંદિરમાં સ્વસ્તિક બનાવી અષ્ટદળથી તેનું પૂજન કરે છે. એવું મનાય છે કે આ પૂજાથી સ્ત્રીઓને વૈધવ્યનો ડર સતાવતો નથી. હિંદુ ઘરોમાં લગ્ન બાદ વર-વધુને સ્વસ્તિકના દર્શન કરાવવામાં આવે છે, પરિણામે તે સફળ દાંપત્યજીવન મેળવી શકે. અનેક જગ્યાએ શિશુની છઠ્ઠીના દિવસે સાથિયો દોરેલા વસ્ત્ર પર સુવડાવવામાં આવે છે. રાજસ્થાનમાં નવપરણિત સ્ત્રીની ઓઢણી પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવવામાં આવે છે, જેથી તમને સૌભાગ્ય સુખમાં વધારો થાય. ગુજરાતમાં લગભગ દરેક ઘર કે દરવાજા પર સુંદર રંગોથી સ્વસ્તિક બનાવવાની પ્રથા છે. એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં અન્ન, વસ્ત્ર, વૈભવની ક્યારેય કમી થતી નથી અને અતિથિ હંમેશા શુભ સમાચાર લઈને આવે છે.
શુભ મનાય છે સ્વસ્તિક
સાથિયો ભારત અને હિંદુ ધર્મમાં જ પૂજનીય છે એવું નથી પણ વિશ્વના અનેક દેશોમાં તેને મળતા-આવતા ચિહ્નોને પૂજવાનું ચલણ છે. નેપાળમાં હેરંબ નામથી તેની પૂજા કરવામાં આવે છે. યુનાનમાં સ્વસ્તિક જેવો જ ઓરેનસ નામનુ ચિહ્ન પૂજા સ્થળે જોવા મળે છે. બર્મામાં સ્વસ્તિક જેવું જ મહાપિયન્તે ચલણમાં છે. મંગોલિયામાં ત્વોતરવારુનવાગાન જે સ્વસ્તિક જેવું છે, તે સ્વીકાર્ય છે. કંબોડિયામાં પ્રાહેકેનીઝ, ચીનમાં કુઆદ-શી-તિયેત, જાપાનમાં કાંગ્યેન અને મિસ્ત્રમાં એક્ટોન નામનું ધાર્મિક ચિહ્ન પૂજા સ્થળે જોવા મળે છે. આ દરેક ચિહ્નો સ્વસ્તિક જેવા જ છે.
આખુ વિશ્વ પરમાત્માની કર્મસ્થળી
સ્વસ્તિક જેવું એક નાનકડું ધાર્મિક ચિન્હ માત્ર ભારતમાં જ નહિં પર વિશ્વમાં ઘણી જગ્યાએ પૂજ્ય છે. તેનો પ્રસાર અને પ્રભાવ જ જણાવી દે છે કે, આખુ વિશ્વ પરમપિતા પરમાત્માની કર્મસ્થળી છે. વિશ્વબંધુત્વની ભાવનાની સાથે સાથિયો એ પણ સંકેત આપે છે કે વિશ્વનો દરેક ધર્મ એક જ ભાવના, વિશ્વ કલ્યાણ માટે જન્મયો છે અને ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલો છે.