તમારી હથેળીમાં રહેલો ત્રિકોણ શું દર્શાવે છે? વાંચો અહીં
હથેળીમાં રહેલો ત્રિકોણ શું દર્શાવે છે જાણવા વાંચો આ આર્ટીકલ..
હસ્તરેખા શાસ્ત્ર જાતકની હથેળીમાં બનેલી સુક્ષ્મરેખા, નિશાન અને ચિહ્નોનું બૃહદ અધ્યયન કરે છે. હથેળીની રેખાઓ વિશે દરેક વ્યક્તિ થોડી ઘણી જાણકારી તો ધરાવે જ છે. પરંતુ હથેળીના કેટલાક ચિહ્નો વ્યક્તિના ભાગ્યના કયા અને કેવા ઉલટફેર દર્શાવે છે, એની જાણકારી ઘણા ઓછાને હોય છે. વિશેષજ્ઞો તેનું સ્થાન, આકાર વગેરે જોઈ જાતકના ભાગ્યફળની સાચી ભવિષ્યવાણી કરે છે. આ સંદર્ભે હથેળીમાં 8 પ્રકારના ચિહ્નો જોવા મળે છે, જેમાંનો એક છે ત્રિકોણ.
ત્રિકોણ નિર્માણ
હથેળીમાં જો ક્યાંય પણ ત્રણ તરફથી રેખાઓ પરસ્પર મળતી હોય તો ત્રિકોણનું નિર્માણ થાય છે. હથેળી પર આ ચિહ્ન અલગ-અલગ સ્થાન અને આકારના જોવા મળે છે અને તેને અનુરૂપ વ્યક્તિના ભાગ્યને અસર કરે છે. ત્રિકોણનો આકાર જેટલો મોટો, તેટલું જ વધુ લાભકારક અને સૌભાગ્યશાળી હોય છે. તેની વિરુદ્ધ જો ત્રિકોણ કપાયેલો કે દુષિત હોય તો તે વ્યક્તિના નકારાત્મક ગુણોનો પરિચય આપે છે.
શું જાણાવે છે આ ત્રિકોણ?
- હથેળીના મધ્યભાગમાં ત્રિકોણની ઉપસ્થિતિ જાતકના ભાગ્યવાન, આસ્તિક અને ઉન્નતિશીલ સ્વભાવનો પરિચય આપે છે. આવી વ્યક્તિની શારીરિક અને માનસિક વૃત્તિઓ શુદ્ધ હોય છે, તેનો સ્વભાવ શાંત અને મધુર હોય છે અને તે સમાજમાં સન્માન મેળવે છે.
- હથેળી પર બનેલો ત્રિકોણ જણાવે છે કે વ્યક્તિનું હૃદય વિશાળ છે, આ ત્રિકોણની અંદર એક નાનો ત્રિકોણ પણ હોય તો તે વ્યક્તિ ચોક્કસપણે ઉચ્ચપદ પ્રાપ્ત કરે છે.
- શુક્ર પર્વત પરનો ત્રિકોણ વ્યક્તિનો સરળ, મધુર અને રસિક સ્વભાવ દર્શાવે છે. આવી વ્યક્તિનું જીવન ઉચ્ચ સ્તરનું હોય છે અને તેને ઉચ્ચ જીવનશૈલી પસંદ હોય છે.
- મંગળ પર્વત પર ત્રિકોણ હોય તો વ્યક્તિ ખાસ કરીને યુદ્ધ ક્ષેત્રે સાહસી અને ધૈર્યવાન હોય છે. વીરતામાં તે રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરે છે. પરંતુ જો આ ત્રિકોણ દુષિત હોય તો તે વ્યક્તિ નિર્દયી અને કાયર હોય છે.
- રાહુ ક્ષેત્રે બનેલો ત્રિકોણ વ્યક્તિને યૌવનકાળમાં જ ઉચ્ચ પદ અપાવે છે. આવી વ્યક્તિ રાજકારણમાં મોટી સફળતા મેળવે છે પણ જો રાહુ ક્ષેત્રમાં બે ત્રિકોણ હોય તો આવી વ્યક્તિ ભાગ્યહીન હોય છે.
- ગુરૂ પર્વત પર નિર્દોષ ત્રિકોણનું હોવું વ્યક્તિનો કૂટનૈતિક સ્વભાવ દર્શાવે છે, આ વ્યક્તિ ઉન્નતિની ઈચ્છા રાખનારો હોય છે, જો ત્રિકોણ દોષયુક્ત હોય તો તે ઘમંડી અને સ્વાર્થી હોય છે.
- શનિ પર્વત પરનો ત્રિકોણ વ્યક્તિ તંત્ર-મંત્રના ક્ષેત્રે જ્ઞાત હોવાનું દર્શાવે છે. જો આ ત્રિકોણ દુષિત હોય તો તે વ્યક્તિ દગો કરનારી હોય છે.
- સૂર્ય પર્વત પર ત્રિકોણનું હોવું જાતકના ધાર્મિક, પરોપકારી અને પરહિતકારી હોવાનું દર્શાવે છે. આ સ્થાને સદોષ ત્રિકોણ હોવું વ્યક્તિને સમાજમાં નિંદા, જીવનમાં અસફળતા અને ભાગ્યવૃદ્ધિમાં અડચણો અપાવે છે.
- બુધ પર્વત પર ત્રિકોણનું ચિહ્ન હોવું એ વ્યક્તિના વૈજ્ઞાનિક હોવાની સાબિતિ છે, સાથે જ આ ચિહ્ન તેને વેપારમાં વિદેશોમાં સફળતા અપાવે છે. આ સ્થાને દોષયુક્ત ત્રિકોણ હોય તો વ્યક્તિ પોતાની સંચય કરેલી બચતને ખતમ કરી દે છે અને વેપારમાં દેવાળિયો થઈ સમાજમાં બદનામી મેળવે છે.
હસ્તરેખાઓ પર ત્રિકોણનું ચિહ્ન
- હસ્તરેખાઓ પર ત્રિકોણની ઉપસ્થિતિ અનેક શુભ-અશુભ ફળ આપે છે.
- જો આયુષ્ય રેખા પર ત્રિકોણ હોય તો વ્યક્તિ દીર્ઘાયુ હોય છે.
- મસ્તિષ્ક રેખા પર ત્રિકોણ હોય તો વ્યક્તિને ઉચ્ચ શિક્ષણ અને તેજ બુદ્ધિનું ફળ આપે છે.
- હૃદય રેખા પર ત્રિકોણ વ્યક્તિના ઘડપણમાં ભાગ્યોદયનો સંકેત આપે છે.
- આરોગ્ય રેખા પર ત્રિકોણ હોવું વ્યક્તિને શ્રેષ્ઠ આરોગ્ય અપાવે છે.
- સૂર્ય રેખા પર બનેલો ત્રિકોણ આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા અપાવે છે.
ત્રિકોણમાં રહેલ ચિહ્ન
ત્રિકોણના મધ્યભાગમાં બનેલું કોઈ ચિહ્ન પણ ખાસ મહત્વ ધરાવે છે. જો હથેળી પર ત્રિકોણની અંદર ક્રોસનું ચિહ્ન હોય તો વ્યક્તિ બીજાને દુઃખ આપનારો હોય છે. જો ત્રિકોણના મધ્યમાં ક્રોસ હોય તો વ્યક્તિ નેત્રહીન હોય છે. ત્રિકોણની અંદર તારાના ચિહ્ન હોય તો વ્યક્તિ પ્રેમમાં બદનામ થાય છે. ત્રિકોણની અંદરનું વૃતનું ચિહ્ન વ્યક્તિને પ્રેમમાં દગો કરાવે છે.