જાણો તિથિનું મહત્વ અને કંઈ તિથિએ શું કરવું?
જ્યોતિષ પ્રમાણે એક માસમાં 30 તિથિઓ હોય છે. 15 તિથિ શુક્લ પક્ષમાં અને 15 તિથિ કૃષ્ણ પક્ષમાં હોય છે.
હિંદુ ધર્મમાં દરેક તહેવારો તિથિ પ્રમાણે ઉજવવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે એક માસમાં 30 તિથિઓ હોય છે. 15 તિથિ શુક્લ પક્ષમાં અને 15 તિથિ કૃષ્ણ પક્ષમાં હોય છે. એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના કાળને અહોરાત્ર કહેવાય છે. તેને જ તિથિ ગણવામાં આવે છે. ગ્રંથ સૂર્ય સિધ્ધાંતને અનુસાર પંચાંગો અને તિથિઓ દિવસમાં કોઈ પણ સમયે શરૂ થઈ જાય છે અને તેનો સમયગાળો 19 થી 26 કલાક સુધી હોઈ શકે છે.
તિથિ નક્કી કરવા માટે સ્પષ્ટ ચંદ્રમાંથી સૂર્ય ઘટાડી 12થી ભાગતા તિથિ જાણી શકાય છે. મુહૂર્ત ચિંતામણિ પ્રમાણે પાંચ પ્રકારની તિથિઓ હોય છે. નન્દા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણા
- નન્દા તિથિઓ-પ્રતિપદા, ષષ્ઠી અને એકાદશી
- ભદ્રા તિથિઓ-દ્રિતિયા, સપ્તમી અને દ્વાદશી
- જયા તિથિઓ-તૃતિયા, અષ્ટમી અને ત્ર્યોદશી
- રિક્તા તિથિઓ-ચતુર્થી, નવમી અને ચતુર્દશી
- પૂર્ણા તિથિઓ-પંચમી, દશમી, પૌર્ણમાસી અને અમાસ
પ્રતિપદાથી લઈ પંચમી સુધી અશુભ
શુક્લ પક્ષમાં આ તિથિઓ પ્રતિપદાથી લઈ પંચમી સુધી અશુભ મનાય છે. કારણ કે અમાસના દિવસે ચંદ્ર લુપ્ત થઈ શુક્લ પક્ષ દ્રિતિયાના દિવસે સાંજના સમયે સૂર્યાસ્ત બાદ થોડો દેખાઈ શુક્લ પક્ષની પંચમી સુધી ચંદ્રની કલાઓ ક્ષીણ રહેવાને કારણે શુક્લ પક્ષની પ્રતિપદા, દ્રિતિયા, તૃતિયા, ચતુર્થી અને પંચમી તિથિઓ અશુભ કહેવાય છે.
મધ્યમ ફળ આપનાર
શુક્લ પક્ષની ષષ્ઠીથી દશમી સુધી જેમ-તેમ ચંદ્રની કળાઓ વધે છે, ત્યાં ત્યાં ષષ્ઠી, સપ્તમી, અષ્ટમી, નવમી અને દશમી તિથિઓ અશુભ ન રહી મધ્યમ ફળ આપનારી કહેવાય છે.
શુભ ફલ આપનારી પાંચ તિથિઓ
શુક્લ પક્ષની એકાદશી, દ્વાદશી, ત્ર્યોદશી, ચતુર્દશી અને પૂનમ આ પાંચ તિથિઓ ઉત્તમ ફળ આપનારી હોય છે. કૃષ્ણ પક્ષની પ્રતિપદાથી પંચમી સુધી ચંદ્રની કળાઓ ઉત્તમ રહેવાને કારણે આ પાંચ તિથિઓ શુભ ફળ આપનારી હોય છે. કૃષ્ણ પક્ષમાં એકાદશીથી લઈ અમાસ સુધી પાંચ તિથિઓ ચંદ્રની કિરણોથી પૂર્ણ રૂપે ક્ષીણ થઈ જવાને કારણે અશુભ ફળ અપનારી હોય છે. એટલેકે સામાન્ય રીતે શુક્લ પક્ષની પંચમીથી કૃષ્ણ પક્ષની ચતુર્દશી સુધી 15 તિથિઓ શુભ હોય છે તથા કૃષ્ણ પક્ષ પંચમીથી લઈ શુક્લ ચતુર્દશી સુધી આ 15 તિથિઓ મધ્યમ ફળ આપનારી હોય છે.
કઈ તિથિએ શું ન કરવું
સ્ત્રી-પુરુષ બંને માટે નિયમ છે કે ષષ્ઠી તિથિએ તેલ ન લગાવવું. અષ્ટમીએ માંસનું સેવન ન કરવું, ચતુર્દશી તિથિએ હજામત, વાળ કે દાઢી કપાવવી નહિં, દ્રિતિયા, દશમી અને ત્ર્યોદશીના દિવસે ઉબટન ન લગાવવું. એકાદશીએ ચોખા ન ખાવા અને અમાસના દિવસે મૈથુન ન કરવું. ઘણી જગ્યાએ વ્યતિપાત, સંક્રાન્તિ, એકાદશીમાં, તહેવારના દિવસોમાં, ભદ્રા અને વૈધૃતિ યોગ માં પણ તેલ લગાવવું વર્જિત છે. પ્રતિપદા તિથિમાં લગ્ન, પ્રવાસ, ઉપનયન, ચૌલ કર્મ, વાસ્તુ કર્મ અને ગ્રહ પ્રવેશ કે કોઈ માંગલિક કામ કરવું નહિં.
કઈ તિથિમાં કયુ કામ કરવું
- દ્રિતિયા, તૃતિયા, પંચમી, સપ્તમી, દશમી અને ત્ર્યોદશી તિથિમાં યાત્રા, લગ્ન, સંગીત, વિદ્યા, શિલ્પ વગેરે કામ કરવું લાભકારી છે.
- ચતુર્થી, નવમી અને ચતુર્દશી તિથિમાં વિદ્યુત કર્મ, બંધન, શસ્ત્ર, અગ્નિ સાથે જોડાયેલા કામો કરવા.
- ષષ્ઠી તિથિમાં પ્રવાસ, લાકડુ ખરીદ-વેચાણનું કામ કરવું શુભ મનાય છે.
- અષ્ટમી તિથિમાં યુધ્ધ, રાજપ્રમોદ, લેખન, સ્ત્રીઓના આભૂષણો વગેરે પહેરવાનું કામ કરવું.
- એકાદશી તિથિમાં વ્રત ઉપવાસ, ધર્મ કર્મ, દેવોત્સવ, ઉદ્યાપન અને ધાર્મિક કથા જેવા કામો શ્રેષ્ઠ મનાય છે.
- પ્રવાસને છોડી અન્ય ધાર્મિક કામો દ્વાદશી તિથિમાં કરવા હિતકારી રહે છે.
- લગ્ન, શિલ્પ, વાસ્તુ કર્મ, યજ્ઞ ક્રિયા, દેવા પ્રાણ-પ્રતિષ્ઠા વગેરે માંગલિક કામો પુનમની તિથિએ કરવા શુભ છે.
- અમાસ તિથિમાં સદા પિતૃકર્મ કરવું જોઈએ. અમાસના દિવસે શુભ કર્મ ન કરવું.