SBIની સહયોગી બેંકોના 2800 કર્મચારીઓએ માંગ્યુ VRS
એસબીઆઇમાં પાંચ સહયોગી બેંકોના વિલય બાદ આ સહયોગી બેંકોના કુલ 2800 કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક સેવાનિવૃત્તિની અરજી કરવામાં આવી છે.
1 એપ્રિલના રોજ ભારતીય સ્ટેટ બેંક ની પાંચ સહયોગી બેંકો તથા ભાતીય મહિલા બેંકનો એસબીઆઇ સાથે વિલય થયો છે. આ વિલય બાદ અત્યાર સુધીમાં સહયોગી બેંકોના કુલ 2800 કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ ની અરજી કરી ચૂક્યા છે. આ જાણકારી એસબીઆઇના ચેર પર્સન અરુંધતિ ભટ્ટાચાર્યએ આપી છે.
તેમણે આ અંગે જાણકારી આપતાં કહ્યું કે, સહયોગી બેંકોના 2800 કર્મચારીઓએ અત્યાર સુધીમાં વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કિમ માટે અરજી કરી છે, હાલ 12,000 કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે પાત્ર છે. સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદ્રાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર તથા ભારતીય મહિલા બેંકના માત્ર 2800 કર્મચારીઓએ વીએરએસનો વિકલ્પ પસંદ કર્યો છે. 5 એપ્રિલ સુધીમાં કર્મચારીઓ આ વિકલ્પ પસંદ કરી શકે છે.
તેમણે આ અંગે આગળ જાણકારી આપતાં કહ્યું કે, બેંક દ્વારા વીઆરએસ માટે કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે. આ સ્કિમની પસંદગી કરનાર કર્મચારીએ ઓછામાં ઓછી 20 વર્ષની સેવા પૂરી કરવી અનિવાર્ય છે તથા કર્મચારીની ઉંમર 55 વર્ષ કે તેથી વધુ હવી જોઇએ. હાલ 1200 કર્મચારીઓ આ શરતો પૂરી કરી સ્વૈચ્છિક નિવૃત્તિ માટે એલિજિબલ છે, પરંતુ આમાંથી માત્ર 2800 લોકોએ વીઆએસનો વિકલ્પ પસંદ કર્યો છે.
તેમણે આગળ કહ્યું કે, વિલય બાદ એસબીઆઇની સંખ્યા વધીને 2,70,011 થઇ ગઇ છે, જેમાંથી 69,191 કર્મચારીઓ સહયોગી બેંક અને ભારતીય મહિલા બેંકના છે. વિલય બાદ એસબીઆઇના ગ્રાહકોની સંખ્યા વધીને 37 કરોડ થઇ છે.