નોટબંધીને કારણે ક્રેડિટ ગ્રોથ 60 વર્ષના સૌથી નીચલા સ્તરે
ભારતીય સ્ટેટ બેન્કના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષે કહ્યું કે, ક્રેડિટ ગ્રોથ 60 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યુ છે. તેમના મત અનુસાર ફેબ્રૂઆરીમાં RBI દરો ઘટાડી શકે છે.
નોટબંધીને કારણે લોકોને તો હેરાનગતિ થઇ જ છે, પરંતુ સાથે જ ક્રેડિટ ગ્રોથ પર પણ એની અસર જોવા મળી રહી છે.ભારતીય સ્ટેટ બેન્કના રિપોર્ટ અનુસાર 23 ડિસેમ્બરે પૂરા થતા પખવાડિયામાં ક્રેડિટ ગ્રોથ ઘટીને 5.1 ટકા પર પહોંચ્યો છે. ભારતીય સ્ટેટ બેન્કના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષે કહ્યું કે, આ ગ્રોથ રેટ 60 વર્ષના સૌથી નીચલા સ્તરના ગ્રોથ રેટ જેટલો જ છે.
ઉલ્લેખનીય છે કે, 1954-55માં ક્રેડિટ ગ્રોછ 1.7 ટકા હતો. ઘોષે જણાવ્યું કે, ડિસેમ્બર સુધી 44 ટકા કરન્સી બદલાવવામાં આવી છે અને જો આ રીતે જ પ્રિન્ટિંગ ચાલુ રહી તો જાન્યૂઆરીના અંત સુધીમાં 67 ટકા અને ફેબ્રૂઆરીના અંત સુધીમાં 80-89 ટકા કરન્સી બદલાવવામાં આવશે.
નોટબંધીની અસર ક્રેડિટ ગ્રોથ પર એવી થઇ છે કે તેનો રેકોર્ડ સૌથી નીચે પહોંચી ગયો છે. નોટબંધી બાદ હવે બેન્કોમાં વ્યાજ દરોમાં પણ ભારે કાપ મુકવામાં આવ્યો છે. બેન્કોનું માનવું છે કે, જલ્દી જ ક્રેડિટ ગ્રોથમાં સુધારો જોવા મળશે. જો કે, જ્યારે સૌમ્ય ઘોષને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, વ્યાજના દરો ઘટવાને કારણે હાઉસિંગ સેક્ટરના ક્રેડિટ ગ્રોથમાં વધારો થઇ શકે છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, ફેબ્રૂઆરીમાં ભારતીય રિઝર્વ બેન્ક દરોમાં ઘટાડો કરી શકે છે. ફેબ્રૂઆરી સુધીમાં આરબીઆઇ 80-89 ટકા બેન્ક નોટ બદલી લે તો જીડીપીમાં સુધારો આવવાની પૂરી શક્યતા છે.