ઇ ટોલ સિસ્ટમ વર્ષે રૂપિયા 88000 કરોડની સાથે સમય પણ બચાવશે
મુંબઇ, 1 જાન્યુઆરી : દેશમાં રજૂ કરવામાં આવેલી નવી ઇલેક્ટ્રોનિક ટોલ એટલે કે ઇ ટોલ સિસ્ટમને કારણે વર્ષે રૂપિયા 88,000 કરોડ બચવાની સાથે ટોલ પ્લાઝાઓ પર રાહ જોવામાં બગડતો સમય પણ બચાવી શકાશે. આ માહિતી કેન્દ્રના રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ આજે મુંબઇમાં આપી હતી.
ગડકરીએ જણાવ્યું કે ભારત સરકાર અને આઇઆઇએમ કલકત્તા દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર વિવિધ પ્રકારના વિલંબ થવાને કારણે રૂપિયા 60,000 કરોડ ગુમાવવા પડે છે. હવે જ્યારે ઇલેક્ટ્રોનિક ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે ત્યારે આપણે વર્ષે રૂપિયા 88,000 કરોડ બચાવી શકીશું.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દર વર્ષે ટોલ પ્લાઝા પર રાહ જોવા દરમિયાન રૂપિયા 60,000 કરોડનું ઇંધણ બળી જાય છે. જો તેમાં બર્બાદ થતા સમયનો ઉમેરો કરવામાં આવે તો આ રકમ રૂપિયા 88000 કરોડ સુધી પહોંચી શકે છે.
ગડકરીએ જણાવ્યું કે મુંબઇથી દિલ્હીના રૂટ પર આવતા 340 ટોલ પ્લાઝામાંથી 140 પ્લાઝાને ઇ ટોલ પ્લાઝામાં કન્વર્ટ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં ઇ ટોલ પ્લાઝાનું કામ પુરું થશે ત્યારે દેશમાં વર્ષે રૂપિયા 88000 કરોડ બચાવી શકાશે.
પત્રકારો સાથેની વાતચીતમાં ગડકરીએ જણાવ્યું કે 'અમે મહારાષ્ટ્ર સરકારને પણ ઇ પ્લેટફોર્મ સુવિધા ઉપલબ્ધ કરાવીશું. જેના કારણે તેઓ પણ રાજ્યના હાઇવે પર આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી શકશે.'
ગડકરીએ ટોલ ફ્રી રોડના પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે અમે આ દિશામાં શું કરી શકાય એમ છે તે અંગે વિચારી રહ્યા છીએ. ટોલના મુદ્દે અમે છેલ્લા બે મહિનાથી તેના વિગતે અભ્યાસ પર કામ કરી રહ્યા છીએ. વડાપ્રધાન કાર્યાલય અને કેબિનેટની મંજુરી મળ્યા બાદ અંમે એક મહિનાની અંદર નવી ટોલ પોલિસી લાવીશું. જે દેશના અનેક વાહનચાલકોને મદદરૂપ બની રહેશે.