EPFO 1 સપ્ટેમ્બરથી દર મહિને રૂપિયા 1000નું લઘુત્તમ પેન્શન ચૂકવશે
નવી દિલ્હી, 28 ઓગસ્ટ : કર્મચારી ભવિષ્ય નિધિ યોજના સંગઠન (ઇપીએફઓ)ની પેન્શન યોજનામાં લઘુત્તમ માસિક પેન્શન રૂપિયા 1000 કરવા અંગેનું જાહેરનામુ આજે બહાર પડયું છે. આ સાથે કર્મચારીઓની સામાજીક સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના એવા ઇપીએફ માટે વેતનની સીમા પણ વધારીને રૂપિયા 15,000 કરી દેવામાં આવી છે. આ સુધારાનું અમલીકરણ 1લી સપ્ટેમ્બરથી શરૂ થશે.
કર્મચારી પેન્શન યોજના 1995 (ઇપીએસ-95)માં ન્યુનતમ પેન્શન રૂપિયા 1,000 કરવાથી તત્કાલ 28 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ના અંશ ધારક બનવાની પાત્રતા માટે વેતનની સીમાને રૂપિયા 6,500થી વધારીને રૂપિયા 15,000 કરવાથી સંગઠિત ક્ષેત્રના 50 લાખ વધુ કર્મચારીઓ આ યોજનાના દાયરામાં આવી જશે.
કેન્દ્રીય ભવિષ્ય નિધિ કમિશ્નર કે કે ઝાલને કહયું છે કે સરકારે વેતન સીમા વધારીને રૂપિયા 15,000 દર મહિને કરવાથી ઇપીએસ 95 હેઠળ ન્યુનતમ માસિક વેતન 1,000 રૂપિયા અને કર્મચારીની ઇપીએફ હેઠળની ઇડીએલઆઇ યોજના હેઠળ અધિકતમ વીમા રકમ (પારિવારિક પેન્શન) 3 લાખ રૂપિયા કરવાનું જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યુ છે.
તેમણે કહયું હતું કે હવે ઇડીએલઆઇ હેઠળ વધુમાં વધુ વીમા રકમ 3.60 લાખ રૂપિયા થઇ જશે. જેમાં જાહેરનામા હેઠળ નકકી કરવામાં આવેલી રકમ પર 20 ટકા (60,000 રૂપિયા) લાભ પણ સામેલ થશે. આનો અર્થ એ છે કે જો ઇપીએફ ધારકનું મૃત્યુ થાય તો તેના પરિવારના હાલ મળનાર 1.56 લાખ રૂપિયાને બદલે રૂપિયા 3.60 લાખ મળશે. તેમણે કહયુ હતુ કે ન્યુનતમ પેન્શન, વેતન સીમા અને ઇડીએલઆઇ અંગેનું જાહેરનામુ 1લી સપ્ટેમ્બરથી લાગુ થશે. આજ રીતે એ તમામ પેન્શન ધારકો જેમને હાલ 1,000 રૂપિયા દર મહિનાથી ઓછુ પેન્શન મળે છે તેઓને ઓકટોબરથી ઓછામાં ઓછી આટલી રકમ મળશે.
ઇપીએસ 95 હેઠળ પાત્રતા પ્રદાન કરવાનો ફેસલો કેન્દ્રીય મંત્રી મંડળે 28મી ફેબ્રુઆરીએ લીધો હતો. પરંતુ આચારસંહિતાને કારણે તે લાગુ થઇ શકયો નહોતો. આ ફેસલાથી લગભગ 28 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે. જેમાં 5 લાખ વિધવાઓનો પણ સમાવેશ થાય છે. કુલ મળીને ઇપીએફઓના દાયરામાં 44 લાખ પેન્શન ધારકો આવે છે. ઇપીએફઓ નિર્ણય કરતી સંસ્થા સીબીટીએ પ ફેબ્રુઆરીના રોજ બેઠક કરી હતી અને એ માટે ઇપીએસ ૯પમાં ફેરફાર કરવા નિર્ણય લીધો હતો.