પગાર મુજબ તમને કેટલો ટેક્સ લાગશે? કઇ રીતે બચાવશો ટેક્સ?
જો તમે હાલ 2.5 લાખ રૂપિયાથી વધુ કમાતા હોવ તો આ 5 વાતો જાણવી તમારે માટે ખૂબ જરૂરી છે. તમારા પગારના હિસાબે તમારા પર કેટલો ટેક્સ લાગે છે અને તેનાથી કઇ રીતે બચવું એ વાંચો અહીં..
આ વર્ષનો એ સમય છે જ્યારે તમારે તમારી ટેક્સેબલ ઇન્કમ જાહેર કરવાની રહે છે. ટેક્સ બચાવવા માટે તમારા તમામ ડોક્યૂમેન્ટ્સ તૈયાર કરી લો જેમ કે, ઇએલએસએસ, પીપીએફ, 5 વર્ષની એફડી, હેલ્થ ઇન્સ્યોરન્સ અને એચઆરએ દસ્તાવેજ. તમારા પગારના હિસાબે લાગતાં ટેક્સ કરતાં વધુ ટેક્સ તમે ભરી બેસો, એવું ન બને! એનાથી બચવા માટે જાણી લો આ 5 ખાસ વાતો.
આવક એટલે શું?
આવક એટલે માત્ર પગાર નહીં, આવકવેરા એક્ટ અનુસાર આ 5 રીતે તમને મળતાં પૈસા તમારી આવક ગણાય - પગાર, ઘર કે પ્રોપર્ટીથી મળેલા પૈસા, કોઇ બિઝનેસ કે પ્રોફેશનથી મળતા પૈસા, મૂડીમાંથી મળતો લાભ અને અન્ય સ્ત્રોત દ્વારા મળતા પૈસા. ડિક્લેરેશન ફાઇલ કરતી વખતે તમારે આ પાંચેય આવકોમાંથી તમને લાગુ પડતી તમામ આવક જાહેર કરવાની રહે છે.
શું તમારે ટેક્સ ભરવાની જરૂર છે?
દરેક નાણાકીય વર્ષમાં એ ચેક કરવું જરૂરી છે કે તમારે ટેક્સ ભરવાની જરૂર છે કે કેમ? જો તમારી વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી હોય તો તમારે ટેક્સ ભરવાની જરૂર નથી. 60 વર્ષથી ઓછી ઉંમરના (જેમનો જન્મ 1 એપ્રિલ, 1957 બાદ થયો હોય) લોકોએ 2016-17માં (2017-18) માટે કેટલો ટેક્સ આપવાનો છે, એ તમે નીચેની તસવીરમાં જાતે ચેક કરી શકો છો.
ટેક્સ કઇ રીતે બચાવશો?
- તમને આવકવેરાની કલમ 80સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સની છૂટ મળે છે.
- આ સિવાય તમે 80સીસીડી(1બી) હેઠળ 50,000 રૂપિયાની આવક પર વધુ છૂટ મેળવી શકો છો, જો તમે આ પૈસાને તમારા રિટાયરમેન્ટના ફાયદા માટે એનપીએસમાં રોકો તો.
- આ સિવાય ઘર ખરીદનારને, હોમ લોનના વ્યાજ પર આવકવેરાની કલમ 24 હેઠળ 2 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સમાં છૂટ મળી શકે છે. સાથે કેટલીક વિશેષ શરતોના પાલન સાથે 80ઇઇ હેઠળ તેને વધુ 50,000 રૂપિયા પર ટેક્સની છૂટ મળી શકે છે.
- જો તમારી આવક 5 લાખથી ઓછી હોય તો તમને આવકવેરાની કલમ 87એ હેઠળ 5000 રૂ. કે એનાથી ઓછા પર 100 ટકાની છૂટ મળી શકે છે.
- હેલ્થ ઇન્સ્યોરન્સ માટે આપવામાં આવેલા પ્રીમિયમને આવકવેરાની ધારા 80ડી હેઠળ ક્લેમ કરી શકો છો, જો કે આ માટે કેટલીક શરતોનું પાલન કરવાનું રહે છે અને ત્યાર બાદ 60,000રૂ. સુધીની આવક પર ટેક્સની છૂટ મેળવી શકાય છે.
- એજ્યૂકેશન લોન માટે આપવામાં આવેલા વ્યાજ પર 80ઇ હેઠળ આવકવેરામાં છૂટ મેળવી શકાય છે.
- જો તમે ભાડાના ઘરમાં રહેતા હોવ તો તમે આવકવેરા હેઠળ એચઆરએ ક્લેમ કરી શકો છો. આ માટે તમારે રેન્ટ એગ્રિમેન્ટ બતાવવાનું રહેશે અને જો તમારું ભાડું 8333 રૂ.થી વધુ હોય તો તમારે ભાડૂતનો પેનકાર્ડ બતાવવાનો રહે છે.
આવકવેરાની કલમ 80સી હેઠળ કઇ રીતે લાભ મેળવશો?
ઇએલએસએસ, પીપીએફ, ઇન્સ્યોરન્સ, ફિક્સ ડિપોઝિટ વગેરેમાં રોકાણ કરી 80સી હેઠળ ટેક્સમાં છૂટ મેળવી શકાય છે. આ કલમ હેઠળ વધુમાં વધુ 1.5 લાખ સુધીની આવક પર છૂટ મેળવી શકાય છે. ધારો કે, તમે ઇએલએલએસમાં 1 લાખ રૂ. રોક્યા છે અને ફિક્સ ડિપોઝિટમાં પણ 1 લાખ રૂ.નું રોકાણ કર્યું છે, તો તમે કુલ 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું કહેવાય, જેમાંથી તમને માત્ર 1.5 લાખ રૂપિયા પર આવકવેરામાં છૂટ મળશે.
શું ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે?
કોઇ પણ કરદાતા ટેક્સ રિટર્ન ત્યારે ફાઇલ કરે છે જ્યારે તેને કોઇ રિફન્ડ ક્લેમ કરવાનો હોય. જેમની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી હોય તેમને રિટર્ન ફાઇલ કરવાની જરૂર હોતી નથી, પરંતુ આદર્શ રીતે જોતાં દરેક વ્યક્તિએ ટોક્સ રિટર્ન ફાઇલ કરવો જોઇએ. સમયસર ટેક્સ રિટર્ન ફાઇલ કરતા રહેવાથી તમને લોન મળવામાં ખૂબ સરળતા રહે છે. 2017-18ના ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ, 2017 હોઇ શકે છે.
અહીં વાંચો