આધાર અને પાન લિંક કરો, નહીં તો આ 2 નુકસાન માટે તૈયાર રહો
જો તમારી પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ બંન્ને હોય, તો 1 જુલાઇ સુધીમાં આ બંન્ને કાર્ડને લિંક કરવા જરૂરી છે.
આધાર કાર્ડ અંગે સતત નવા નિર્ણયો અને નવી જાહેરાતો સામે આવતી રહે છે. જો તમે આ જાહેરાતો કે સમાચારોને અવગણી રહ્યા હોવ તો એ તમારા માટે ખાસી મોટી મુસીબત ઊભી કરી શકે છે. જો તમારી પાસે આધાર કાર્ડ અને પાન કાર્ડ બંન્ને હોય અને તમે હજુ સુધી આ બંન્ને કાર્ડને લિંક ન કર્યા હોય તો એ વાત તમારા માટે મુસીબત બની શકે છે. આધાર અને પાન લિંક ન કરવાના બે ગેરફાયદા છે.
પહેલું નુકસાન - પાન કાર્ડ થશે રદ્દ
જો તમે 1 જુલાઇ 2017 સુધીમાં પોતાનું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક નહીં કરો, તો તમારું પાન કાર્ડ રદ્દ થઇ શકે છે. પાન રદ્દ થઇ જતાં તમે આરટીઆઇ દાખલ નહીં કરી શકો. જો કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો તમારો પાન કાર્ડ રદ્દ નહીં થાય. પરંતુ જેમની પાસે આધાર કાર્ડ છે, તેમણે તેની સાથે પાન કાર્ડ લિંક કરવો જરૂરી છે.
બીજું નુકસાન - પગારમાં અડચણ
જો તમે આધાર અને પાન કાર્ડ લિંક નહીં કરો, તો બીજી સમસ્યા તમને પગાર મેળવવામાં આવી શકે છે. બની શકે કે, તમારો પગાર સમયસર ન આવે કે પછી અટકી પડે. કંપનીઓ ટેક્સેબલ લિમિટથી વધુ પગારમાંથી ટીડીએસ કાપે છે અને પાન કાર્ડ ન હોવાની પરિસ્થિતિમાં કંપનીઓ આ પ્રક્રિયા નહીં કરી શકે, જેને કારણે કર્મચારીઓને પગાર મળવામાં મુસીબત ઊભી થઇ શકે છે.
બેંક ખાતાઓ માટે આધાર અનિવાર્ય
તમને જણાવી દઇએ કે, થોડા દિવસો પહેલાં જ સરકારે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાનું ફરજિયાત કહ્યું છે. 31 ડિસેમ્બર, 2017 સુધીમાં જો બેંક ખાતાને આધાર સાથે લિંક કરવામાં ન આવે તો તમારું બેંક ખાતું પણ રદ્દ થઇ શકે છે. આ સિવાય, આધાર કાર્ડ વિના હવે નવું બેંક ખાતું પણ ખોલી નહીં શકાય. સાથે જ જો તમે 50 હજાર રૂપિયાથી વધુનું કોઇ ટ્રાન્ઝેક્શન કરો છો, તો આ માટે તમારે તમારો આધાર નંબર આપવાનો રહેશે.