નરેન્દ્ર મોદી ભારતના નહીં, ગુજરાતના વડાપ્રધાન છે : ચિદમ્બરમ
નવી દિલ્હી, 12 ઓક્ટોબર : આપણે નરેન્દ્ર મોદીને હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તરીકે નહીં પણ ભારતના વડાપ્રધાન તરીકે ઓળખીયે છીએ. પણ આપણા દેશમાં એક એવી પણ વ્યક્તિ છે જે નરેન્દ્ર મોદીને ગુજરાતના વડાપ્રધાન તરીકે ઓળખે છે. આવી ગયાને ચક્કર?
કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારમાં નાણા મંત્રી રહી ચૂકેલા પી ચિદમ્બરમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગુજરાતના વડાપ્રધાન તરીકે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર ક્યારે મૂળભૂત નીતિયો વિચાર કરવાનો શરૂ કરશે તે ચિંતાનો વિષય છે.
તેમણે જણાવ્યું કે છેલ્લા 140 દિવસથી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર છે. સરકારની રચના બાદથી તરત જ વડાપ્રધાન પ્રચાર અભિયાનમાં જોડાયેલા છે. ચિદમ્બરમે આ વાત મહારાષ્ટ્રમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહી હતી. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી જન ધન યોજનાના રૂપમાં સરકાર સ્વયં નવી યોજનાની શરૂઆત કરી હોવાનું બતાવવા માંગે છે. પણ વાસ્તવમાં આ યોજના યુપીએ સરકારના સમયની છે.
ચિદમ્બરમે એમ પણ જણાવ્યું તે સ્વચ્છ ભારત અભિયાન પર યુપીએ સરકારના નિર્મલ ભારત અભિયાનની નકલ છે. પણ આ યોજનામાં નવા પ્રયોગને અમે આવકારીએ છીએ.
ચિદમ્બરમે નરેન્દ્ર મોદી પર સીધું નિશાન તાકતા જણાવ્યું કે યુપીએ સરકારમાં રક્ષા મંત્રાલય કોઇને વધારાની જવાબદારી તરીકે સોંપવામાં આવ્યું ન હતું. જેના પગલે યુપીએ સરકાર દેશની આંતરિક સુરક્ષા, માઓવાદ સહિત અનેક મુદ્દાઓ પર સારી રીતે કામ કરી રહી હતી. પરંતુ મોદી સરકારની આ સમસ્યાઓ પર કોઇ નીતિ સ્પષ્ટ નથી.
પૂર્વ નાણા મંત્રીએ મોદી પર હુમલા કરતા કહ્યું કે એલઓસી પર ચાલુ રહેલા વિરોધ પર વડાપ્રધાનની 56 ઇંચની છાતી ક્યાં ગઇ જે હવે દેખાઇ રહી નથી. તેમણે કહ્યું કે આપે ક્યારેય પણ આ પહેલા એવું જોયું છે કે ગામવાળાને ગામ છોડીને જવું પડી રહ્યું હોય?