રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓએ શુક્રવારે હડતાલ રાખવાની ઘોષણા કરી
નવી દિલ્હી, 3 ડિસેમ્બર : ગુજરાત સહિત પશ્ચિમ ભારતની રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ વેતન કરારની માંગણીના ટેકામાં તારીખ 5 ડિસેમ્બર, 2014 શુક્રવારે એક દિવસની હડતાલ પર જશે તેવી ઘોષણા કરી છે.
આઇબીએ દ્વારા કર્મચારીઓના વેતન કરારની સમય મર્યાદા પુરી થયાને બે વર્ષ ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં માંગણી નહિ સંતોષવામાં આવતા યુનાઇટેડ ફોરમે આ હડતાલનું એલાન આપ્યુ છે.
શુક્રવારે ગુજરાત સહિત પશ્ચિમ ભારતના રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાલ પાડશે એટલુ જ નહી ઠેર-ઠેર દેખાવો અને પ્રદર્શન પણ કરશે. આજે ઉત્તર ભારતમાં અને આવતીકાલે પુર્વોત્તર ભારતમાં હડતાલનું એલાન આપવામાં આવ્યુ છે.
આરબીઆઇ દ્વારા નવમા વેતન કરારમાં 17.5 ટકાનો વેતન વધારો આપવામાં આવ્યો હતો પરંતુ 10મા વેતન કરારની મંત્રણાઓમાં આઇબીએ માત્ર 11 ટકા જ વેતન વધારો આપવા માંગે છે. જયારે કર્મચારીઓએ 23 ટકા વેતન વધારાની માંગણી કરી છે.
10મો કરાર બે વર્ષ થવા છતાં પણ નથી થયો અને 13 જેટલી બેઠકોનું કોઇ પરિણામ આવ્યુ નથી આથી કર્મચારીઓ હવે હડતાલના માર્ગે ગયા છે. શુક્રવારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં રાષ્ટ્રીયકૃત બેંકોમાં કામગીરી ખોરવાશે.
શુક્રવારની એક દિવસની હડતાલમાં સ્ટેટ બેંક સહિત તમામ રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ જોડાશે. બેંકો બંધ રહેતા નાણાકીય લેવડ-દેવડ, ચેક ડ્રાફટની કામગીરી, નાણા ટ્રાન્સફર સહિતની વિવિધ કામગીરીઓ ખોરવાઇ જશે. જો કે ખાનગી અને સહકારી બેંકો ચાલુ રહેશે