માત્ર આ 5 RBI કાઉન્ટર્સ પર બદલાવી શકાશે જૂની નોટો
RBIએ પોતાની નવી ગાઇડલાઇનમાં સ્પષ્ટ કર્યું હતું કે, જે લોકો જૂની ચલણી નોટો બદલાવવામાં અસફળ રહ્યાં છે તેઓ RBIના સિલેક્ટેડ કાઉન્ટર્સ પર 500 અને 1000ની જૂની નોટો બદલી શકશે.
નોટબંધીના 50 દિવસો પૂરા થયા બાદ પણ ઘણા લોકો પોતાની જૂની નોટો એક્સચેન્જ કરાવી શક્યા નહોતા. આ વાતને ધ્યાનમાં રાખતા RBI એ પોતાની નવી ગાઇડલાઇનમાં સ્પષ્ટ કર્યું હતું કે, જે લોકો જૂની નોટો બદલાવી નથી શક્યા તેઓ RBI ના કેટલાક સિલેક્ટેડ કાઉન્ટર્સ પર 500 અને 1000ની જૂની નોટો બદલાવી શકશે.
લોકો હેરાનપરેશાન
દિલ્હી, ચંદીગઢ, લખનઉ અને બેંગ્લોર જેવા તમામ નાના-મોટા શહેરોમાં હજુ પણ એવા ઘણા લોકો છે, જેઓ પોતાની તમામ જૂની ચલણી નોટો એક્સચેન્જ નથી કરાવી શક્યાં. હવે આ લોકો આરબીઆઇના નિર્દેશ અનુસાર તેના કાઉન્ટર પર જૂની નોટો બદલાવવા જઇ રહ્યાં છે, પરંતુ સમસ્યા એ છે કે આરબીઆઇ એ લોકોને નોટ બદલી આપવાની સાફ ના પાડી દીધી છે. આરબીઆઇનું કહેવું છે કે, તેમણે જે કાઉન્ટર નક્કી કર્યાં છે, માત્ર એ કાઉન્ટર્સ પર જ નોટ બદલી આપવામાં આવશે.
માત્ર આ 5 કાઉન્ટર્સ પર બદલાવી શકાશે જૂની નોટ
સમાચાર ચેનલ આજતકના અહેવાલ અનુસાર ચંદીગઢના લોકો ત્યાંના આરબીઆઇ કાઉન્ટર પરથી નિરાશ થઇને પાછા વળી રહ્યાં હતા. લોકોએ જણાવ્યું કે, ચંદીગઢ આરબીઆઇ એ સાફ કહ્યું છે કે તેમના કાઉન્ટર પર જૂની નોટો બદલી આપવામાં આવશે નહીં. આ માટે ચંદીગઢ આરબીઆઇ એ એક નોટિસ પણ લગાવી છે, જેમાં લખ્યું છે કે દેશમાં માત્ર દિલ્હી, કલકત્તા, મુંબઇ, ચેન્નાઇ અને નાગપુરમાં જ આરબીઆઇ કાઉન્ટર પર જૂની નોટો બદલી આપવામાં આવશે.
દિલ્હી આરબીઆઇ દ્વારા કરવામાં આવી ઉપેક્ષા
દિલ્હી આરબીઆઇના કાઉન્ટર બહાર પણ કંઇક આવું જ દ્રશ્ય જોવા મળ્યું. દિલ્હીના આરબીઆઇ કાઉન્ટર પર નોટ બદલાવવા પહોંચેલા લોકોને ખાલી હાથે પાછા જવું પડ્યું. ચંદીગઢની જેમ નવી દિલ્હી ખાતે પણ આરબીઆઇ અધિકારીઓએ લોકોને ખાલી હાથે પાછા વાળી દીધા હતા. આરબીઆઇના આવા વલણથી લોકો નારાજ થતાં તેમણે આરબીઆઇની બહાર ઊભા રહી નારા પણ લગાવ્યા હતા.
જૂની નોટો પહેલા કેમ એક્સચેન્જ ન કરાવી?
હવે એ સવાલ પણ સાચો છે કે, જ્યારે સરકાર દ્વારા જૂની નોટો બદલાવવા માટે 50 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, ત્યારે આ લોકોએ કેમ નોટો ન બદલાવી? લોકોની સુવિધા માટે જ સરકારે બેંકોની સાથે પોસ્ટ ઓફિસમાં પણ નોટો બદલી આપવાની સુવિધા ઊભી કરી હતી, જેથી અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો પણ સરળતાથી પોતાની જૂની નોટો બદલાવી શકે.
લોકોએ કરી અજીબ દલીલો
ઘણા લોકોએ જૂની નોટો બદલાવવામાં વાર કરવા માટે રસપ્રદ અને અજીબ દલીલો કરી છે. દિલ્હીના આરબીઆઇ કાઉન્ટર પર નોટ બદલાવવા આવેલા એક વ્યક્તિએ કહ્યું કે, તેની પાસેની નોટ 786 નંબરની છે, આથી તેણે એ નોટ એક્સચેન્જ નહોતી કરાવી. હવે સમયગાળો પૂરો થયા બાદ તે એ જૂની નોટ બદલાવવા પાછો આવ્યો છે. તો બીજી બીજુ ચંદીગઢ આરબીઆઇમાં પૈસા બદલાવવા આવેલી એક મહિલાએ કહ્યું કે, તેમણે જ્યારે શિયાળાના કપડાં કાઢ્યા ત્યારે જેકેટમાંથી 6 હજાર રૂપિયા નીકળ્યા, તેથી તેઓ નોટો એક્સચેન્જ કરાવવા આવ્યા છે.
સારાંશ
હાલ-ફિલહાલ તો આરબીઆઇ અને જૂની નોટો બદલાવવા આવેલા લોકો બંન્નેની દલીલો પોતાની જગ્યાએ સાચી છે. લોકોની માંગ છે કે, દરેક રાજ્યની આબીઆઇ પર લોકો માટે નોટ બદલાવવાની સુવિધા ઊભી કરવામાં આવે, તો સામે આરબીઆઇનો સવાલ છે કે, જ્યારે 50 દિવસનો સમય આપવામાં આવ્યો હતો ત્યારે શા માટે લોકોએ પોતાની તમામ જૂની નોટો એક્સચેન્જ ન કરાવી?
અહીં વાંચો