પ્રધાનમંત્રી જન ધન યોજનાથી દેશમાં ATMની સંખ્યા બે વર્ષમાં બમણી થશે
નવી દિલ્હી, 29 નવેમ્બર : પ્રધાનમંત્રી જન ધન યોજનાથી દેશમાં આવનારા વર્ષમાં એટીએમની સંખ્યા 2 લાખ જેટલી વધી જશે. બીજી બાજુ એટીએમ દ્વારા થતાં ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં ઘટાડાને કારણે એચડીએફસી અને એક્સિસ બેન્ક જેવી ખાનગી બેન્કો નવા સ્થળોએ એટીએમ શરૂ કરવામાં ધીમી ગતિએ આગળ વધી રહી હોવાથી એટીએમ સ્થાપિત કરનારી કંપનીઓ માટે તે પડકારજનક પૂરવાર થવાની શક્યતા છે.
એટીએમ કંપનીઓ માટેની તકની વાત કરીએ તો છેલ્લાં કેટલાંક મહિનાઓમાં બેન્કોએ વર્તમાન 40.9 કરોડ કાર્ડધારકો (જૂન, 2014 સુધી)માં નવા 15 કરોડ રૂપે ડેબિટ કાર્ડ્સ ધારકોનો ઉમેરો કર્યો છે. કાર્ડની સંખ્યામાં થયેલો વધારો એટીએમની માગમાં વધારો કરે તે સ્વાભાવિક છે.
નવા એટીએમની સ્થાપનામાં મંદ ગતિ જોવાઈ રહી છે અને નવા મશીનોમાં 100થી પણ ઓછા એટલે કે બ્રેક-ઈવન માટે જરૂરી ન્યૂનતમ 120 કરતાં દ્યણાં ઓછાં ટ્રાન્ઝેક્શન થાય છે. એટીએમ ટ્રાન્ઝેક્શનમાં થયેલાં ઘટાડા માટે એક અંશે એટીએમના નેટવર્કમાં થયેલાં વધારો પણ જવાબદાર છે.
ઉપરાંત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા મહિનામાં એટીએમ દ્વારા કરવામાં આવતાં નિઃશુલ્ક ટ્રાન્ઝેક્શનની સંખ્યા નિયંત્રિત કરવાનો નિર્ણય તથા એક્સિસ અને એચડીએફસી બેન્ક દ્વારા પણ આવતા મહિનેથી નિઃશુલ્ક ઉપાડને નિયંત્રિત કરવાના નિર્ણયથી એટીએમ દ્વારા વ્યવહારોમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.
એટીએમ સ્થાપિત કરવામાં બેન્કો વધુ સક્રિયતા નહીં દાખવતી હોવાનું કારણ અંગે કોન્ફેડેરેશન ઓફ એટીએમ ઈન્ડસ્ટ્રીના ખજાનચી અને યુરોનેટ સર્વિસિસ ઈન્ડિયાના એમડી હિમાંશુ પુજારાએ જણાવ્યું હતું કે એટીએમ સ્થાપિત કરતી બેન્કોને યોગ્ય ઈન્સેન્ટિવ નથી અપાતું. જેને કારણે બેન્કો નવા એટીએમ શરૂ કરવાનો ઉત્સાહ નથી દાખવતી. એક બેન્કના ગ્રાહક દ્વારા અન્ય બેન્કના એટીએમના વપરાશ બદલ જે તે બેન્કને રૂપિયા 15 ની ઈન્ટરચેન્જ તરીકે ચૂકવણી કરાય છે, જે નવું રોકાણ કરવા માટે પૂરતું ભંડોળ ઉભું કરવા માટે પૂરતું નથી.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેનો બોજો ગ્રાહકો પર લાદવાથી કોઈ ઉકેલ નહીં આવે. જો ગ્રાહકો પર બોજો લાદવામાં આવશે તો તે બ્રાન્ચ પર જશે જે બેન્કો માટે ઓછું અનુકૂળ અને ખર્ચાળ બની રહેશે. પ્રધાનમંત્રી જન ધન યોજનાને સફળ બનાવવામાં એટીએમની ભૂમિકા અત્યંત મહત્વની બની રહેશે, કારણકે બેન્કો માટે તે એક મુખ્ય વૈકલ્પિકસ્ત્રોત છે.