RBIએ જનતાને મલ્ટી લેવલ માર્કેટિંગથી ચેતતા રહેવા જણાવ્યું
નવી દિલ્હી, 1 જાન્યુઆરી :રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મંગળવારે જાહેર જનતાને મલ્ટી લેવલ માર્કેટિંગ (એમએલએમ - MLM) એક્ટિવિટીથી ચેતતા રહેવાનું જણાવ્યું છે. આરબીઆઇએ ખાસ જણાવ્યું છે કે રોકાણકારો ખોટી રીતે ચાલતી અને ઠગતી કંપનીઓની એક્ટિવિટીછી બચે.
આવી કંપનીઓ દ્વારા આચરવામાં આવતી છેતરપીંડિ અંગે રિઝર્વ બેંકે જણાવ્યું કે એમએલએમ અથવા ચેઇન માર્કેટિંગ કે પિરામિડ સ્ટ્રક્ચર કંપનીઓ સરળ રીતે અથવા વધારે નાણા મેળવવાના નામે લોકોને ફસાવે છે.
આવી સ્કીમમાં આવક વધારે અને વધારે લોકોને સાંકળવાથી બને છે. જેમની પાસેથી ઊંચી સબસ્ક્રિપ્શન ફી વસુલ કરવામાં આવે છે. તેઓ આ સામે કોઇ પ્રોડક્ટનું વેચાણ કરતા નથી.
દરેક સભ્યો પર વધારે સભ્યો બનાવવા પર ભાર મુકવામાં આવે છે. સબસ્ક્રિપ્શન દ્વારા એકત્ર થયેલી રકમમાંથી પિરામીડમાં જે સૌથી ઉપર હોય તેને વધારે ચૂકવણી કરવામાં આવે છે. જે સભ્યો આ પિરામિડમાં નીચે હોય તેમને ઓછી રકમ મળે છે. ચેઇન તૂટતા આખો પિરામિડ તૂટી જાય છે. તેમાં નીચેના સભ્યોને સૌથી વધારે નુકસાન થાય છે.
રિઝર્વ બેંકે સૌને વિનંતી કરી છે તે તેઓ વધારે નાણાની લાલચ આપનારાથી ચેતીને ચાલે. આ ચેઇનમાં ફસાવાથી મોટું આર્થિક નુકસાન થઇ શકે છે. આ પ્રકારની સ્કીમમાં પૈસા લેવા ગુનો બને છે.