આંધ્રપ્રદેશમાં SBIની 225 શાખાઓમાંથી 209 વાવાઝોડાગ્રસ્ત શાખાઓમાં કામ શરૂ
મુંબઇ, 20 ઓક્ટોબર : દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આજે એટલે કે સોમવારે જાહેરાત કરી છે કે તેણે આંધ્રપ્રદેશમાં હુડહુડ વાવાઝોડાના મારથી બંધ રાખવી પડે તેવી સ્થિતિમાં રહેલી તમામ શાખાઓમાં ફરીથી સામાન્ય રીતે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધનીય છે કે આંધ્ર પ્રદેશમાં હુડ હુડ વાવાઝોડામાં અસરગ્રસ્ત બનેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 225માંથી 209 શાખાઓમાં સામાન્ય રીતે કામ કાજ શરૂ થઇ ગયું છે. આ ઉપરાંત બંધ પડેલા 502 એટીએમમાંથી 190 એટીએમ પણ શરૂ થઇ ગયા છે. મોટા ભાગની સમસ્યા સૌથી વધારે માર ઝેલનારા વિશાખાપટ્ટનમ, વિજયનગરમ અને શ્રીકાકુલમ જિલ્લામાં થઇ છે.
આ ઉપરાંત એસબીઆઇએ મોબાઇલ એટીએમ પણ ચાલુ કર્યા છે. આ ઉપરાંત બીજા અડધો ડઝન એટીએમ થોડા સમયમાં શરૂ થઇ જશે. જેના કારણે જે વિસ્તારોમાં હજી પણ બેંકોની શાખા શરૂ થઇ નથી ત્યાં લોકો મોબાઇલ એટીએમની મદદથી પૈસા ઉપાડી શકશે.
આ અંગે એસબીઆઇના મેનેજીંગ ડાયરેક્ટર, નેશનલ બેંકિંગ એન્ડ ગ્રુપ એક્ઝિક્યુટિવ બી. શ્રીરામે જણાવ્યું કે 'અમારી શાખાઓ જ્યાં સુધી શરૂ નહીં થાય, ત્યાં સુધી લોકો નાણાકીય વ્યવહાર કે નાણાનો ઉપાડ કરી શકશે નહીં. રોકડથી ચાલતા અર્થતંત્રમાં નાણા વિના લોકો બેબાકળા બની જાય છે.'
શ્રીરામે જણાવ્યું કે બેંકોની શાખાઓમાં ઝડપી રિસ્ટોરેશન કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સાતે બેંકોની શાખાઓમાં કર્મચારીઓ કાદવ અને અન્ય ગંદકી સાફ કરવામાં વ્યસ્ત છે. બેંક દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ અને બ્લેન્કેટ્સ પણ વહેંચ્યા હતા.
નોંધનીય છે કે ગયા સપ્તાહે આવેલા હુડ હુડ વાવાઝોડાને કારણે પૂર્વ ભારતના અનેક દરિયાકિનારામાં ભારે નુકસાન થયું છે. આ વાવાઝોડાને કાણે 195 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જેમાં 43 લોકો માર્યા ગયા હતા.