સેબીએ ઇન્સાઇડર ટ્રેડિંગના નિયમો કડક બનાવ્યા
મુંબઇ, 20 નવેમ્બર : ઇનસાઇડર ટ્રેડિંગને અંકુશમાં રાખવા સેબીએ તેના નિયમો વધુ કડક બનાવ્યા છે. આ ઉપરાંત નાના રોકાણકારો માટે કંપનીઓની ડિલિસ્ટિંગની પ્રક્રિયામાં ભાગ લેવાનું વધારે સરળ બનાવ્યું છે. ઇનસાઇડર ટ્રેડિંગના નિયમોના ભાગરૂપે નિયમનકારે લિસ્ટેડ કંપનીઓના ડિરેક્ટરો અને ચાવીરૂપ મેનેજમેન્ટ કર્મચારીઓને કંપનીના ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
હવેથી આરોપી પર એ સાબિત કરવાની જવાબદારી રહેશે કે તેની પાસે પ્રકાશિત ન થયેલી ભાવ સંવેદનશીલ માહિતી ન હતી. નવા ડિલિસ્ટિંગ નિયમો મુજબ રોકાણકારો શેરબજારોને શેરો સુપરત કરવા સમર્થ બનશે. તેનાથી તેમના કરવેરાના ખર્ચમાં ઘટાડો થશે. રેગ્યુલેટરે ડિલિસ્ટિંગની પ્રક્રિયાનો સમયગાળો પણ 137 કેલેન્ડર દિવસથી ઘટાડીને 76 કામકાજના દિવસનો કર્યો છે.
આ ઉપરાંત લિસ્ટિંગ પ્રક્રિયા માટે નવા નિયમો ઘડ્યા છે. સેબીએ આ સહિત વિવિધ દરખાસ્તોને બુધવારે મંજૂરી આપી હતી. રેગ્યુલેટરે બે દાયકા જૂના ઇન્સાઇડર ટ્રેડિંગના નિયમોને કડક બનાવી તેને આંતરરાષ્ટ્રીય પ્રણાલી સાથે જોડ્યા છે. ઇન્સાઇડર ટ્રેડિંગના હાલના નિયમો મુજબ વ્યક્તિ ઇન્સાઇડર હતી કે નહીં અને તે ઇન્સાઇડર ટ્રેડિંગમાં સંડોવાયેલી છે કે નહીં તે સાબિત કરવાની જવાબદારી નિયમનકારની છે. પણ હવે આરોપીએ પોતે નિર્દોષ છે તે સાબિત કરવું પડશે.
રેગ્યુલેટરે કંપની સાથે કરારબદ્ધ, લાભાન્વિત અને નોકરી કરનારનો પણ સમાવેશ કરીને 'ઇન્સાઇડર'ની વ્યાખ્યા વિસ્તારી છે, જેના લીધે તેના માટે જાહેર ન થયેલી ભાવસંવેદી માહિતી સુધી પહોંચવું શક્ય હોય છે.
આ ઉપરાંત તેણે ડિરેક્ટરો અને કર્મચારીઓને પણ આવરી લીધા છે, જેની પાસે આ પ્રકારની માહિતી હોય છે. કંપનીના પ્રમોટરો અને ડિરેક્ટર જેવા ઇન્સાઇડરોએ તેમના ફ્યુચર ટ્રેડિંગ પ્લાનની શેરબજારોને આગોતરી જાણકારી આપવાની રહેશે અને ટ્રેડ પણ ચુસ્તપણે તે પ્લાન મુજબ જ થવો જોઈએ એમ સેબીની યાદીમાં જણાવાયું હતું.