ભારતમાં કંપનીઓ માટે શેરનું વેચાણ અઘરું બનશે
મુંબઇ, 30 ઓક્ટોબર : આજ કાલ શેરવેચાણ દ્વારા મૂડી એકત્ર કરવાની યોજના બનાવી રહેલી કંપનીઓને રોકાણકારો શોધવામાં મુશ્કેલી પડી રહી છે. આ પાછળનું કારણ છેલ્લા કેટલાક મહિનાઓમાં રોકાણના મૂલ્યમાં થયેલા 50 ટકા જેટલી જંગી ધોવાણને પગલે સંસ્થાકીય રોકાણકારોએ રોકાણ કરતા સમયે સાવચેતી રાખવાનું શરૂ કરતા આ સ્થિતિ આવીને ઉભી છે.
આ સ્થિતિને પગલે કંપનીઓ ભંડોળ એકત્ર કરવાની યોજના પડતી મૂકી રહ્યા છે અથવા ઓફર ભાવમાં ઘટાડો કરવાની ફરજ પડી રહી છે. આ અંગે માર્કેટ પર સતત નજર રાખી રહેલા લોકોનું કહેવું છે કે રોકાણકારો તરફથી માર્કેટમાં સારો રિસ્પોન્સ મળતો નહીં હોવાથી ઓછામાં ઓછી સાત કંપનીઓએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.
આ સાત કંપનીઓમાં જે પી એસોસિએટ્સ, જે પી ઇન્ફ્રાટેક, એસ્ટ્રલ પોલિટેક અને જીવીકે પાવર ઉપરાંત જાહેર ક્ષેત્રની બેંકો ઇન્ડિયન ઓવરસીઝ બેંક (આઇઓબી) અને આઇડીબીઆઇ બેંકનો સમાવેશ થાય છે. આ કારણે સરકારના મહત્વકાંક્ષી ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને ફટકો પડી શકે છે.
આ ઉપરાંત બેંકો જેવી કે આઇઓબી અને આઇડીબીઆઇના કિસ્સામાં તેમની બિનકાર્યક્ષમ અસ્કામતો (એનપીએ)ને કારણે રોકાણકારો શોધવામાં મુશ્કેલી નડી રહી છે.
ભારતીય કંપનીઓને શેર્સના વેચાણમાં તકલીફ પડી રહી છે તેનું એક કારણ એ પણ છે કે વિદેશી રોકાણકારોના રસમાં ઘટાડો થઇ રહ્યો છે. ઓક્ટોબરમાં એફઆઇઆઇએ રૂપિયા 3200 કરોડની ચોખ્ખી વેચવાલી કરી છે.