ઓટોમોબાઇલ ક્ષેત્રમાં કર રાહતનો સમયગાળો વધી શકે
નવી દિલ્હી, 29 નવેમ્બર : આર્થિક સંકટ અને ઘટતા વેચાણનો સામનો કરતા ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકાર કાર ઉત્પાદકોને એકસાઇઝ ડયુટીની રાહત 31 ડિસેમ્બર પછી પણ ચાલુ રાખશે એવી શક્યતા ઉભી થઇ રહી છે.
આ મુદ્દે નાણા મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં ઓટો ઉદ્યોગ ઊંચા વ્યાજદરના કારણે નબળી માંગનો સામનો કરે છે. તેના લીધે કારના વેચાણમાં ઘટાડો થયો છે. સરકાર ઓટો સેકટરને 31 ડિસેમ્બર પછી પણ કર રાહત જારી રાખે તેવી સંભાવના છે.
મંદીમાં સપડાયેલા ઓટો ઉદ્યોગને આ વર્ષે ફેબ્રુઆરીમાં એકસાઇઝ ડયુટીમાં રાહત આપવામાં આવી હતી અને જો આ રાહત લંબાવવામાં ન આવે તો 31મી ડિસેમ્બરે તેની સમયમર્યાદા પુરી થઇ જવાની છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ઓટો સેકટરનું વેચાણ દબાણ હેઠળ રહ્યું છે.
તહેવારોની મોસમમાં પણ વાહનોના વેચાણમાં ધાર્યો વધારો નોંધાઇ શક્યો નથી.