પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બે નવી સ્કિમ, વ્યાજ પર ભારે છૂટ
શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને સંબોધતા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બે મોટી સ્કિમની જાહેરાત કરી છે. શહેરીવર્ગ અને ગ્રામીણવર્ગ બંન્ને વ્યાજમાં છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારની સાંજે તમામ દેશવાસીઓને સંબોધતા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બે મોટી સ્કિમની જાહેરાત કરી છે. શહેરીવર્ગ અને ગ્રામીણવર્ગ બંન્નેને વ્યાજમાં છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરોમાં નિમ્ન મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગના લોકો ઘર ખરીદી શકે એ માટે 2017માં ઘર બનાવવા માટે 9 લાખ રૂપિયા સુધીની લોન પર 4 ટકા અને 12 રૂપિયા સુધીની લોન પર વ્યાજમાં 3 ટકાની છૂટ આપવામાં આવશે.
સાથે જ 2017માં ગ્રામીણ વિસ્તારના લોકો માટે પણ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગામડામાં રહેતા જે લોકો પોતાનું ઘર બનાવવા માંગતા હોય કે ઘરનો વિસ્તાર કરવા માંગતા હોય, તેમને માટે આ યોજના છે. નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આ લોકોને 2 લાખ રૂપિયા સુધીની લોન પર વ્યાજમાં 3 ટકાની છૂટ આપવામાં આવશે. આ સાથે જ ગામડામાં બનનારા ઘરોની સંખ્યામાં પણ 33 ટકા વધારો કરવામાં આવશે. મોદી સરકારનું લક્ષ્ય છે કે વર્ષ 2022 સુધી દેશના તમામ પરિવાર પાસે પોતાનું ઘર હોય. આ માટે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવી છે.
મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવી યોજનાઓ દ્વારા ખાસ તો એ લોકોને લાભ થશે, જે લોકો જાતે પોતાનું ઘર બનાવવામા સક્ષમ નથી. નોટબંધીના નિર્ણય બાદ ઘરોની કિંમતમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે, તેમ છતાં હજુ પણ ઘણા લોકો માટે પોતાનું ઘર વસાવવું અશક્ય છે. આથી જ મોદી સરકાર દ્વારા આ નવી સ્કિમ શરૂ કરવામાં આવી છે.