એશિયાની શ્રેષ્ઠ શાળા સુપર 30ના સંસ્થાપક આનંદ છે રિયલ હીરો!
બિહારના આનંદ કુમારે આર્થિક તંગીમાં સપડયેલા અને આગળ ભણવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખાસ સુપર 30 નામના કોચિંગ સંસ્થા શરૂ કરી છે.
આનંદ કુમાર દેશના એ શિક્ષકનું નામ છે, જેમણે એ વાત સાબિત કરી છે કે, અર્જુન જેવા યોદ્ધા ત્યારે સામે આવે છે, જ્યારે તેમની પાસે દ્રોણાચાર્ય જેવા ગુરૂ હોય! અર્જુન સૌને બનવું છે, પરંતુ દુનિયામાં દ્રોણાચાર્ય કેટલા છે? બિહારના આનંદ કુમાર આજના દ્રોણાચાર્ય છે, તેમની એક કોચિંગ સંસ્થા છે. આનંદ કુમારની શિક્ષણ પ્રત્યેની પ્રીતિ, મહેનત અને ત્યાગનું જીવતુ-જાગતું ઉદાહરણ છે.
આ કોચિંગના સંસ્થાપક આનંદ કુમારનો જન્મ પટનામાં થયો હતો, તેમના પિતા પોસ્ટ ઓફિસ વિભાગમાં ચિઠ્ઠીઓ છૂટી તારવવાનું કામ કરતા હતા. મર્યાદિત આવકને કારણે આનંદ કુમારને ખૂબ નાની ઉંમરમાં જ આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો અને આથી જ ભણતર પાછળ થતાં ખર્ચનું મૂલ્ય તેમને બહુ જલ્દી સમજાઇ ગયું હતું.
આપત્તિને અવસરમાં ફેરવો
સરકારી શાળામાંથી પ્રારંભિક શિક્ષા મેળવનાર આનંદ કુમારને શરૂઆતથી ગણિતમાં ખૂબ રસ હતો. તેમણે પણ એન્જિયર કે વૈજ્ઞાનિક બનવાનું સપનું જોયું હતું, ગ્રેજ્યૂએશન દરમિયાન તેમણે નંબર થિયોરીમાં પેપરમાં સબમિટ કર્યું હતું, જે મેથેમેટિકલ સ્પેક્ટ્રમ અને મેથેમેટિકલ ગેજેટમાં પ્રકાશિત થયા હતા. ત્યાર બાદ તેમને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં ભણવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ આ વિશ્વવિદ્યાલયમાં ભણવાનું પોતાનું સપનું પૂરું ન કરી શક્યા. આ દુઃખને જ તેમણે પોતાની પ્રેરણા બનાવી દેશના ગરીબ બાળકોનું ભવિષ્ય સુધારવાનું પ્રણ લીધું હતું.
પાપડ વેચવા પડ્યા હતા
23 ઓગસ્ટ, 1994ના રોજ હાર્ટ એટેકને કારણે તેમના પિતાનું મૃત્યુ થયું હતું, તેમના પિતાની જગ્યાએ આનંદ કુમારને પોસ્ટ ઓફિસમાં નોકરી મળી હતી, પરંતુ તેમણે એ નોકરી નહોતી સ્વીકારી. જેને કારણે પિતાના મૃત્યુ બાદ ઘરમાં આર્થિક તંગી ખૂબ વધી ગઇ હતી, ઘરના ગુજરાન માટે તેમની માતાએ પાપડ બનાવવાનું શરૂ કર્યું હતું, જે આનંદ અને તેમના ભાઇ ઘરે-ઘર જઇ વેચતા હતા.
રામાનુજમ સ્કુલ ઓફ મેથેમેટિક્સ
તેના થોડા સમય બાદ ઘરની પરિસ્થિતિ સુધરતાં તેમણે પોતાના ઘરમાં જ 'રામાનુજમ સ્કૂલ ઓફ મેથેમેટિક્સ' નામથી કોચિંગ સંસ્થા શરૂ કરી હતી, જેમાં શરૂઆતમાં માત્ર બે-ચાર વિદ્યાર્થીઓ જ આવતા હતા. તેમની પાસેથી આનંદને 500 રૂ. ફી મળી હતી. આ દરમિયાન આનંદ પાસે એક એવો વિદ્યાર્થી આવ્યો, જેને ટ્યૂશનની જરૂર હતી, પરંતુ તેની પાસે ફીના પૈસા નહોતા. આ વિદ્યાર્થીને જોઇ આનંદને પોતાના જૂના દિવસો યાદ આવતા તેમણે તેને એડમિશન આપ્યું હતું અને આ કારણે જ એ વિદ્યાર્થી આઇઆઇટીની પ્રવેશ પરીક્ષા પાસ કરવામાં સફળ થયો હતો.
સુપર 30
આના કારણે જ આનંદના મનમાં સુપર 30નો વિચાર આવ્યો હતો, તેમણે 2002માં સુપર 30ની સ્થાપના કરી હતી. આ સંસ્થામાં એવા ગરીબ બાળકોને ભણાવવામાં આવે છે, જે આર્થિક તંગીને કારણે આઇઆઇટી જેવા ઇન્સ્ટિટ્યૂટમાં જવા માટેના કોચિંગ ક્લાસની ફી નથી ભરી શકતા. આ સંસ્થા આનંદ પોતાના પૈસે ચલાવે છે અને તેમણે આ અંગે લખ્યું હતું, સુપર 30ના વિસ્તાર માટે તેમને પૈસાની નહીં, માત્ર એક સપનાની જરૂર છે.
સંપૂર્ણ ભારત આપે છે સલામી
આનંદના આ સુપર 30માં અત્યાર સુધીમાં 330 વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે, જેમાંથી 281 વિદ્યાર્થીઓ આઇઆઇટીની પ્રવેશ પરીક્ષામાં પાસ થયા છે, બાકીના એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પહોંચ્યા છે. ડિસ્કવરી ચેનલ દ્વારા આનંદના આ સુપર 30 પર એક કલાકનો એપિસોડ તૈયાર કરવામાં આવ્યો હતો, ટાઇમ્સ સામાયિક દ્વારા સુપર-30ને એશિયાની સૌથી ઉત્તમ શાળાનું નામ આપવામાં આવ્યું હતું. આ સિવાય પણ સુપર 30 પર અનેક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બની છે, દેશ અને વિદેશના અનેક પુસ્કારો દ્વારા આનંદ કુમારનું સન્માન કરવામાં આવ્યું છે. આનંદ કુમાર આજે દેશના રિયલ હીરો બન્યા છે. જેને સંપૂર્ણ ભારત હૃદયથી સલામ કરે છે.