91 વર્ષના ડૉ. ભક્તિ યાદવ, 1948થી કરે છે મફત ઇલાજ
મધ્ય પ્રદેશના ડૉ. ભક્તિ યાદવ વર્ષ 1948થી મફત દર્દીઓની સેવા કરી રહ્યાં છે, તેમને આ માટે સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
ડૉ.ભક્તિ યાદવ ઇન્દોર, મધ્ય પ્રદેશના ગાયનેકોલોજિસ્ટ છે. તેઓ વર્ષોથી મફતમાં તબીબોની સેવા કરી રહ્યાં છે અને આ માટે તેમને સરકાર તરફથી પદ્મશ્રીનું સન્માન પણ આપવામાં આવ્યું છે. આજે મોટાભાગના તબીબો દર્દીઓને દવા આપવાની તગડી ફી વસૂલતા હોય છે, જેટલા કુશળ તબીબ એટલી ઊંચી ફી, એવામાં ભક્તિ યાદવ વર્ષ 1948થી પોતાના તબીબોની સેવા મફતમાં કરી રહ્યાં છે.
ડૉક્ટર દાદી
ડૉ. ભક્તિ યાદવની હાલ ઉંમર છે, 91 વર્ષ. તેઓ ઇન્દોરમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવનાર પહેલા મહિલા છે. તેઓ છેલ્લા 68 વર્ષથી પોતાના દર્દીઓની મફત સારવાર કરી રહ્યાં છે, તેમણે અત્યાર સુધીમાં હજારો ડિલીવરી કરી છે. આથી જ તેમને ડૉક્ટર દાદીના નામે પણ ઓળખવામાં આવે છે. તેમના બે પુત્રો પણ છે અને બંન્ને ડૉક્ટર છે, ડૉ. ચેતન યાદવ અને ડૉ. રમણ યાદવ. આ બંન્ને ભાઇઓ અને ડૉ. ચેતન યાદવના પત્ની ડૉ. સુનીતા મળીને એક નર્સિંગ હોમ ચલાવે છે.
"વાત્સલ્ય"
ભક્તિ યાદવનો જન્મ 3 એપ્રિલ, 1926ના રોજ ઉજ્જૈન તાલુકામાં થયો હતો. ઇન્દોરની મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજમાંથી તેમણે વર્ષ 1948માં એમબીબીએસની ડિગ્રી મેળવી હતી. તેમણે શરૂઆતથી જ પોતાના આ પ્રોફેશન કે ડિગ્રીનો ઉપયોગ પૈસા કમાવા માટે નથી કર્યો. તેમણે સરકારી હોસ્પિટલની નોકરી નકારી નંદલાલ ભંડારી મેટરનિટી હોમમાં નોકરી લીધી હતી, જે કાપડની મિલમાં કામ કરતાં ગરીબ મજૂરોની પત્ની માટે બનાવવામાં આવ્યું હતું. ઘણા વર્ષો સુધી તેઓ આ મેટરનિટી હોમના હેડ રહ્યા અને ત્યાર બાદ તેમણે પોતાનું નર્સિંગ હોમ ખોલ્યું, 'વાત્સલ્ય'.
છેલ્લા શ્વાસ સુધી કરવી છે સેવા
આજે પણ 91 વર્ષની વયે, ખરાબ તબિયત છતાં પણ તેઓ નર્સિંગ હોમમાં સક્રિય છે, પોતાના છેલ્લા શ્વાસ સુધી દર્દીઓની સેવા કરવાની તેમની ઇચ્છા છે. આ ડૉક્ટર દાદી મફતમાં સેવા આપતા હોવાથી તેમને ત્યાં માત્ર મધ્ય પ્રદેશ જ નહીં, પરંતુ રાજસ્થાન અને ગુજરાતથી પણ દર્દીઓ આવે છે. તેમને ગરીબોની સેવા કરવાની પ્રેરણા પોતાના માતા-પિતા તફથી મળી હતી અને આ કાર્યમાં તેમને સ્વ. પતિ ડૉ. ચંદ્ર સિંહ યાદવનો પૂરો સાથ મળ્યો હતો.
પદ્મશ્રી
દર્દીઓની મફત સેવા કરવા બદલ તેમને પદ્મશ્રી સન્માન મળવાની ઘોષણા થઇ ત્યારે તેમણે કહ્યું હતું કે, મને ખુશી છે કે બધા લોકો ખુશ છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, મારા કાર્યથી લોકોને ફાયદો થયો છે. ડૉ.ભક્તિ યાદવ દુર્ઘટનાવશ પડી જતાં તેમને ફ્રેક્ચર થયું હતું અને તેથી હાલ તેઓ પથારીવશ છે.