માત્ર વાજપાયી નહીં, આ પ્રસિદ્ધ લોકોની પણ આજે બર્થ ડે
આપણા લોકલાડીલા નેતા અને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપાયીની સાથે બીજી પણ કેટલીક લોકપ્રિય હસ્તીઓનો આજે જન્મદિવસ છે. આવો જાણીએ કોણ છે એ હસ્તીઓ..
આજે ક્રિસમસના દિવસે અનેક જાણીતી હસ્તીઓનો જન્મદિવસ છે. અદભૂત કવિ, મહાન નેતા અને આદર્શ વડાપ્રધાન એવા શ્રી અટલ બિહારી વાજપાયીનો આજે જન્મદિવસ છે, એ તો સૌ કોઇ જાણે છે, પરંતુ અમની સાથે જ બીજી પણ કેટલીક લોકપ્રિય હસ્તીઓનો આજે જન્મદિવસ છે. જેમણે પોતાના ક્ષેત્રમાં નામના મેળવી છે. આવો જાણીએ કોણ છે એ હસ્તીઓ, સાથે જ તેમના વિશેની રસપ્રદ જાણીકારી પણ મેળવીશું.
અહીં વાંચો - પીએમ મોદીની ક્રિસમસ ગિફ્ટ, ડીજિટલ પેમેન્ટ કરો, 1 કરોડ જીતો
રાજકારણ કે કવિતા, અટલ રહ્યાં અટલ
દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીનો આજે 92મો જન્મદિવસ છે. આજે ભલે તેઓ રાજકારણથી દૂર છે, પરંતુ તેમની અંદર બેઠેલો કવિ થોડા થોડા સમયે લોકો સામે ઉપસ્થિત થતો રહે છે. તેમના છંદોની મીઠાશને અમિતાભ બચ્ચન સોનેરી પડદે અવાજ આપી ચુક્યા છે, શાહરૂખ ખાને પણ પડદા પર તેમની કવિતાઓને ચરિતાર્થ કરી છે. 80ના દાયકામાં તેમણે ભારતીય જનતા પાર્ટીની સ્થાપનામાં મદદ કરી અને 6 એપ્રિલ, 1980ના રોજ અસ્તિત્વમાં આવેલી આ પાર્ટીના અધ્યક્ષ બન્યા. 1997માં તેઓ ભારતના વડાપ્રધાન બન્યાં હતાં.
પંડિત મદન મોહન માલવિયા
કાશી હિંદુ વિશ્વાલયના પ્રણેતા પંડિત મદન મોહન માલવિયાની આજે જન્મજયંતિ છે. 'મહામના' તરીકે ઓળખાયેલાં પંડિત મદન મોહન માલવિયા આ યુગના આદર્શ પુરૂષ હતા. તેમણે પત્રકારત્વ, વકીલાત, સમાજ સુધારણા, માતૃભાષા અને ભારત માતાની સેવા કાજે પોતાનું જીવન અર્પણ કર્યું હતું. આઝાદીની ચળવળમાં તેમનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ હતું. તેમને રવિન્દ્રનાથ ટાગોરે 'મહામના' નામ આપ્યું હતું. મહામના માલવિયા પોતાના ઉપદેશમાં સત્ય, બ્રહ્મચર્ય, વ્યાયામ, દેશભક્તિ અને આત્મત્યાગ પર ભાર આપતા અને જાતે પણ તેનું કઠોર પાલન કરતા. તેઓ સદૈવ મૃદુ-ઋજુ ભાષા જ બોલતા. ઇ.સ.1946માં 85 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. ભારત સરકારે 24 ડિસેમ્બર, 2014ના રોજ તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.
પંડિત રામ નારાયણ
ભારતના લોકપ્રિય સારંગીવાદક પંડિત રામનારાયણનો પણ આજે જન્મદિવસ છે. શાસ્ત્રીય સંગીતમાં તેમનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખૂબ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે અને આથી જ તેઓ 'પંડિત' તરીકે ઓળખાયા છે. તેમને 2005માં પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ ખૂબ જ નાની ઉંમરમાં સારંગી વગાડતાં શીખી ગયા હતા અને 1956માં તેઓ શાસ્ત્રીય સંગીતના સોલો આર્ટિસ્ટ તરીકે ઉભરી આવ્યા. વર્ષ 2000થી તેમણે વિદ્યાર્થીઓને પણ સારંગી શીખવવાનું શરૂ કર્યું, તેમણે મોટે ભાગે ભારતની બહાર જ પર્ફોમન્સ આપ્યું છે.
રાજુ શ્રીવાસ્તવ
ગજોધરના નામથી જાણીતા કોમેડીયન રાજુ શ્રીવાસ્તવનો 52માો જન્મદિવસ છે, તેમનું સાચું નામ છે સત્યપ્રકાશ શ્રીવાસ્તવ. રાજુ શ્રીવાસ્તવે વર્ષ 1982માં એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી, તેમણે મેં પ્યાર કિયા, બાઝીગર, બોમ્બે ટુ ગોઆ જેવી અનેક ફિલ્મોમાં નાના-નાના રોલ કર્યા છે,પરંતુ તેમને ખરી ઓળખાણ મળી કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી. ધ ગ્રેટ ઇન્ડિયન લાફટ્ર ચેલેન્જની બીજી સિરિઝમાં ધ કિંગ ઓફ કોમેડીનું બિરુદ જીત્યા બાદ તેમની સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકેની સફર શરૂ થઇ. તેમણે ઇન્ડિયા અને એબ્રોડમાં અનેક કોમેડી શો કર્યા છે. રાજુ શ્રીવાસ્તવ રાજકારણ સાથે પણ જોડાયેલા છે અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને પોતાના સ્ટેજ શોમાં પ્રમોટ કરતા જોવા મળે છે.