શિક્ષક દિન વિશેષ:દેશના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઇ ફુલે
સાવિત્રીબાઇ ફુલે દેશના પહેલા મહિલા શિક્ષક અને સમાજ સુધારક હતા, જ્યારે તેઓ કન્યાઓને ભણાવવા જતા ત્યારે વિરોધીઓ તેમની પર પથ્થર ફેંકતા, ગંદકી નાંખતા.
દેશના પ્રથમ મહિલા શિક્ષિકા હતા, મરાઠી કવયિત્રી સાવિત્રીબાઇ ફુલે. સાવિત્રીબાઇ સમગ્ર દેશના મહાનાયિકા હતા. કહેવાય છે કે સાવિત્રીબાઇ જ્યારે કન્યાઓને ભણાવવા જતા ત્યારે રસ્તામાં વિરોધીઓ તેમને પર પથ્થર મારતા, તેમની પર ગંદકી, કદાવ, છાણ ફેંકતા. સાવિત્રીબાઇ પોતાની ઝોળીમાં એક સાડી લઇને નીકળતા અને શાળાએ પહોંચીને ગંદી થયેલી સાડી બદલી લેતા. આપણા દેશમાં 5 સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવાય છે, ત્યારે દેશના પહેલા મહિલા શિક્ષિકાને યાદ કરવા જ ઘટે. આપણા દેશની પહેલી મહિલા શિક્ષિકા, સમાજ સુધારક અને મરાઠી કવયિત્રી સાવિત્રીબાઇ ફુલેની જન્મજયંતિ પર ગૂગલે પણ તેમને યાદ કર્યા હતા.
5 સપ્ટેમ્બરના રોજ ગૂગલે એક ખાસ ડૂડલ બનાવી શિક્ષક દિવસની શુભકામના આપી છે. આ જ રીતે 3 જાન્યુઆરી, 2017ના રોજ ડૂડલ બનાવી ગૂગલે સાવિત્રી ફુલેને યાદ કર્યા હતા. ગૂગલે ડૂડલના માધ્યમથી સાવિત્રીબાઇ ફુલેની તસવીર બનાવી તેમને તેમના 186મા જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપી હતી. ડૂડલમાં સાવિત્રીબાઇની ખૂબ સચોટ તસવીર રજૂ કરાઇ છે, જેમાં સાવિત્રીબાઇને પોતાના પાલવમાં મહિલાઓને આવરી લેતાં બતાવવામાં આવ્યા છે.
દેશની આ મહાન મહિલા વિશેની કેટલીક ખાસ વાતો..
- સાવિત્રીબાઇ ફુલેનો જન્મ 3 જાન્યૂઆરી, 1831ના રોજ એક મરાઠી પરિવારમાં થયો હતો.
- વર્ષ 1840માં જ્યોતિરાવ ગોવિંદરાવ ફુલે સાથે તેમના લગ્ન થયા હતા, જ્યોતિરાવ જે બાદમાં મહાત્મા જ્યોતિબા તરીકે ઓળખાયાં તે મહારાષ્ટ્ર અને ભારતમાં સામાજીક સુધારા આંદોલનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ તરીકે જાણીતા ઓળખાયા હતા.
- સાવિત્રીબાઇ ફુલેએ એ સમયમાં સમાજની રૂઢિચુસ્ત માન્યતાઓ તોડી પોતાના પતિ જ્યોતિરાવ ફુલે સાથે મળીને સ્ત્રીઓના અધિકાર માટે ઘણા મહત્વપૂર્ણ કાર્યો કર્યાં હતા.
- સાવિત્રીબાઇ ફુલે ભારતની પહેલી કન્યા વિદ્યાલયના પહેલા પ્રિન્સિપાલ હતા તથા પહેલી ખેડૂત શાળાના સંસ્થાપક હતા.
- ઇ.સ.1848માં તેમણે પૂનેમાં પહેલી મહિલા શાળા શરૂ કરી હતી.
- સાવિત્રીબાઇ માટે પોતાનું જીવન જાણે એક મિશન હતું, જેનો હેતુ હતો વિધવા પુનર્વિવાહ, છૂત-અછૂતનો ભેદભાવ કાઢવો, મહિલાઓની મુક્તિ અને દલિત મહિલાઓને શિક્ષણ આપવું.
- તેઓ મરાઠી ભાષાની આદિ કવયિત્રી તરીકે પણ ઓળખાય છે.