જાણો કોણ છે પ્રમુખ સ્વામી? કેમ છે સાધુ સમાજ શોકમાં?
શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ એટલે પ્રમુખસ્વામી મહારાજ. પળેપળ બીજા માટે જીવવું અને પોતાની જાતને ભૂલી જઈને પરમાત્મામય રહેવું, તેનું બીજું નામ એટલે પ્રમુખસ્વામી મહારાજ. વિશ્વ શાંતિ માટે સદા કટિબદ્ધ અને વિશ્વના સૌથી વધુ પ્રભાવક ધર્મગુરુઓમાં આદરણીય સ્થાન ધરાવતા પ્રમુખસ્વામીજીએ 'બીજાના ભલામાં આપણું જ ભલું છે...!' પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ જેવા સમન્વય સાધતા વિચારો વહેતા કર્યા
જીવનસૂત્ર સાથે અનેકવિધ સેવાઓમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. અસંખ્ય લોકોના તારણહાર સ્વામીજી જીવનના નવ નવ દાયકાઓ સુધી લોકહિત માટે અવિરત 17,000થી વધુ ગામડાંઓ-નગરોમાં ઘૂમતા રહ્યા.
અક્ષરધામ જેવા જગવિખ્યાત સંસ્કૃતિધામ ઉપરાંત, જગતભરમાં 1,100થીય વધુ મંદિરોનું સર્જન કરીને તેમણે સંસ્કૃતિનાં ચિરંતન સ્મારકો અને લોકસેવાનાં ધામ સ્થાપ્યાં. ભગવાન સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ આ મહાન સંતે અસંખ્ય લોકોનાં જીવનમાં આધ્યાત્મિક પ્રેરણાઓ સિંચીને તેમનું જીવન પરિવર્તન કર્યું છે. અનેક મુમુક્ષુઓએ તેમના સાંનિધ્યમાં પરબ્રહ્મની દિવ્ય અનુભૂતિ કરી છે, ઉચ્ચ આધ્યાત્મિક શિખર પ્રાપ્ત કર્યું છે, અને અનેક કરી રહ્યા છે.
ભારતીય સંસ્કૃતિના આ પરિવ્રાજકની વિદાયથી શોકગ્રસ્ત ભારતીય ધરોહર
પ્રમુખ સ્વામીનું મૂળ નામ શાંતિલાલ પટેલ હતું તેઓનું પ્રાગ્ટય તા. 7-12-1921 (માગશર સુદ 8, બુધવાર, સં. 1978) ચાણસદ ગામે સવારના આઠના સુમારે થયું હતું. અને તારીખ 22-11-1939 અમદાવાદમાં બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના વરદ હસ્તે પાર્ષદી દીક્ષા લઇને તેઓ સંન્યત્સ માર્ગે આગળ ધપ્યા હતા. પોતાના ગુરૂ શાસ્ત્રીજી મહારાજની એક ચિઠ્ઠી મળતા ક્રિકેટના સાધનો લેવા ગયેલા શાંતિલાલ ઘરે પરત ફર્યા અને માતા પિતાના આશીર્વાદ લઇ ત્યાગી થવા નીકળી ગયા. જ ગૃહત્યાગ કરીને શાસ્ત્રીજી મહારાજને મળવા પહોંચી ગયા હતા. અને શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને દીક્ષા આપીને નામ આપ્યું શાસ્ત્રી નારાયણસ્વરૂપ દાસ. સ્વામીશ્રીને સંસ્કૃત ભણવાની અદમ્ય ઇચ્છા હતી પરંતુ શાસ્ત્રીજી મહારાજની ઇચ્છઆને અનુસરીનેનાની વયે માત્ર 25 વર્ષની ઉંમરે તેમને પ્રમુખ પદે વરણી કરવામાં આવી આથી સત્સંગ સમુદાયમાં તેમને વ્હાલથી પ્રમુખ સ્વામીના નામે જ બોલાવવામાં આવે છે અને ભારત સહિત વિશ્વમાં શાસ્ત્રી નારાયણસ્વરૂપ દાસ પ્રમુખ સ્વામીના હુલામણા નામે જ જાણીતા થયા હતા.
તા. 3-6-1971 સાંકરીમાં સ્વામીશ્રીના સ્વહસ્તે પ્રથમ શિખરબદ્ધ મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા થઈ. ત્યારબાદના સાડા ચાર દાયકામાં તેમણે દેશ-વિદેશમાં સેવાનાં ધામ સમાં કુલ 1100થી વધુ મંદિરો રચીને પ્રાણપ્રતિષ્ઠા કરી.
સતત 95 વર્ષ સુધી અનેક કષ્ટો વેઠીને માનવજાતની સેવા માટે પુરુષાર્થ કરનાર પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ વડોદરા પાસેના ચાણસદ ગામે તારીખ 7-12-1921ના રોજ એક ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા. 19 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને સન 1939માં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનાં ચરણે જીવન સમર્પિત કર્યું હતું. સન 1939માં અમદાવાદ ખાતે તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત તરીકે દીક્ષા લીધા બાદ સંસ્કૃતનું અધ્યયન કર્યું હતું. તેના કારણે તેઓ 'શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી' બન્યા હતા. સન 1950માં માત્ર 28 વર્ષની ઉંમરે તેઓ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારથી પ્રમુખસ્વામી મહારાજ તરીકેનું તેમનું નામ લોકલાડીલું બન્યું હતું. સન 1971માં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના દ્વિતીય ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના અનુગામી તરીકે તેઓ લાખો ભક્તોના ગુરુપદે બિરાજમાન થયા હતા. નિઃસ્વાર્થ સેવા, અનન્ય ભક્તિ, અહંશૂન્યતા, પ્રચંડ પુરુષાર્થ અને પરમ સાધુતામય જીવનથી તેઓ અસંખ્ય લોકોના હૃદયમાં અનન્ય આદર પામ્યા હતા. ગરીબ આદિવાસીઓના
ઝુંપડાઓથી લઈને પછાત, દલિત અને આપત્તિગ્રસ્ત લોકોની વચ્ચે જઈને તેમણે લાખોને નવું જીવન બક્ષ્યું હતું. અસંખ્ય લોકોને વ્યક્તિગત મળી મળીને તેમને વ્યસનમુક્તિની પ્રેરણા આપનાર પ્રમુખસ્વામી મહારાજે બાળ-યુવા પ્રવૃત્તિનું એક મહાન આંદોલન ચલાવ્યું છે. તેમની ઉચ્ચ આધ્યાત્મિક અને વિનમ્ર સેવામય પ્રતિભાથી પ્રભાવિત થઈને દલાઈ લામાથી લઈને વિશ્વભરના અનેક મહાન ધર્મગુરુઓ, ભારતીય રાષ્ટ્રપ્રમુખ શ્રી અબ્દુલ કલામ, અમેરિકન રાષ્ટ્રપ્રમુખ શ્રી બિલ ક્લિન્ટન, યુનોના વડા શ્રી કોફી આનન, બહેરીનના શેખ ઈસાથી લઈને વિશ્વના અનેક માંધાતાઓ સહિત સૌ કોઈએ તેમને એક મહાન અને સાચા સંત તરીકે બિરદાવ્યા હતા.
પોતાના આ પ્રિય ગુરુદેવ અને મહાન સંતની વિદાયના સમાચાર ફેલાતાં જ અસંખ્ય લોકોનાં હૈયે ઘેરો આઘાત છવાયો છે. તેમનાં અંતિમ દર્શન કરીને તેમના ચરણે શ્રદ્ધાંજલિ અર્પવા દેશવિદેશમાંથી મહાનુભાવો અને લાખો લોકોનો પ્રવાહ સારંગપુર ભણી વહી રહ્યો છે. આવા મહાન સંતે વિદાય લેતા જ સમગ્ર્ સંત્સંગ અને સાધુ સમાજ શોકમાં ગરકાવ થઈ ગયો છે.