મહાત્મા ગાંધીને પણ હતો વિશ્વાસ કે, બોઝ જીવે છે
મહાત્મા ગાંધીએ પોતાના એક પત્રમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ જીવતા હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
નેતાજી સુભાષચંદ્ર બોઝના વ્યક્તિત્વના ઘણા પાસા એવા છે, જે અંગે વાંચીને સામાન્ય માણસ એ જ તારણ પર પહોંચે કે, નેતાજી અને મહાત્મા ગાંધીની વિચારસરણીમાં ખાસું અંતર છે અને આ કારણે જ તેમને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં એ સ્થાન ક્યારેય ન મળ્યું, જે પંડિત જવાહરલાલ નેહરુને મળ્યું હતું. વિવિધ મતભેદોને કારણે જ નેતાજીએ કોંગ્રેસ પાર્ટી છોડી હોવાનું પણ કહેવાય છે. પરંતુ આ વાત 100 ટકા સાચી નથી. ગાંધીજી અને નેતાજી વચ્ચે વૈચારિક મતભેદો ચોક્કસ હતા, પરંતુ તેમની વચ્ચે મનભેદ ક્યારેય નહોતો. નેતાજીના મૃત્યુના સમાચારો છાપામાં છપાયા બાદ પણ ગાંધીજીને અંદરખાને ક્યાંક વિશ્વાસ હતો કે, નેતાજી જીવે છે.
નેતાજીએ જ સૌપ્રથમ રાષ્ટ્રપિતા કહી સંબોધ્યા હતા
ઇતિહાસ પર નજર નાંખતા જાણવા મળે છે કે, ગાંધીજીના સિદ્ધાંતો અને વાતોએ જ સુભાષચંદ્ર બોઝને સ્વતંત્રતા આંદોલન માટે પ્રેરિત કર્યા હતા અને તેમની પ્રતિભાને કારણે જ તેઓ ગાંધીજીના પ્રિય શિષ્ય પણ બન્યા હતા. જૂન, 1944માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુર રેડિયો પરથી એક સંદેશનું પ્રસારણ કરતાં મહાત્મા ગાંધીને પ્રથમવાર દેશના પિતા(રાષ્ટ્રપિતા) કહી સંબોધ્યા હતા.
તિળક વિ. ગોખલે
વર્ષ 1921માં ભારત આવતા જ સુભાષચંદ્ર બોઝે ગાંધીજી સાથે મુલાકાત કરી હતી અને કોંગ્રેસમાં કામ શરૂ કર્યું હતું. તેઓ યૂથ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ ચૂંટાયા, પરંતુ તેઓ બાળ ગંગાધર તિળક(ગરમ દળ)ના સમર્થક હતા, જ્યારે ગાંધીજી ગોપાલ કૃષ્ણ ગોખલે(નરમ દળ)ના સમર્થક હતા. બંન્ને વચ્ચેનો પ્રારંભિક મતભેદ અહીંથી જ શરૂ થયો હતો.
'પૂર્ણ સ્વરાજ'નો નારો
વર્ષ 1927માં સુભાષચંદ્ર બોઝે 'પૂર્ણ સ્વરાજ'નો નારો આપ્યો. આ પહેલો પ્રસંગ હતો, જ્યારે ગાંધીજી અને નેતાજી વચ્ચેના ખરાબ સંબંધો સામે આવ્યા. વર્ષ 1928માં નેતાજીના નારાને લગભગ ભૂલાવી દેવામાં આવ્યો, આ દરમિયાન નરમ-ગમ દળ વચ્ચે ખાસું અંતર આવી ગયુ હતુ. ત્યાર બાદ વર્ષ 1929માં ગાંધીજીએ નેહરુને કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા. વર્ષ 1942માં કોંગ્રેસે સુભાષચંદ્ર બોઝના એ જ નારાને નવી રીતે રજૂ કરી આખા દેશમાં વિશાળ આંદોલનનો આરંભ કર્યો હતો.
કોંગ્રેસમાંથી નેતાજીનું રાજીનામું
ત્યાર બાદ વર્ષ 1939માં નેતાજી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડ્યા હતા અને ખાસા અંતરથી જીત્યા પણ હતા. ખરેખર તો ગાંધીજીએ નેતાજીને ચૂંટણીમાં ભાગ ન લેવા સૂચવ્યું હતું, ગાંધીજી ઇચ્છતા હતા કે પટ્ટાભિ સીતારમૈયા અધ્યક્ષ બને. સીતારમૈયા હારતાં ગાંધીજીએ એક ભાવનાત્મક ટિપ્પણી પણ કરી હતી, જે પછી નેતાજીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ઑલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લૉકની સ્થાપના કરી હતી. તે પછી નેતાજીએ આઝાદ હિંદ ફોજ બનાવી, જેનો ગાંધીજીએ વિરોધ કર્યો હતો.
બોઝ હજુ પણ જીવે છે: ગાંધીજી
વિચારસરણી અને સ્વાતંત્ર્ય સંગ્રામની રીતમાં એકમેકના વિરોધી એવા ગાંધીજી અને નેતાજી વ્યક્તિગત રીતે એકબીજાના વિરોધી નહોતા, એનો એક પુરાવો પછીના વર્ષોમાં મળ્યો હતો, જે ભારત સામે વર્ષ 2015માં આવ્યો. આ વર્ષમાં પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝ સંબંધિત 64 ફાઇલો સાર્વજનિક કરવામાં આવી હતી, જેમાં ઘણી વાતો સામે આવી. વર્ષ 1946ની એક ગુપ્ત ફાઇલ અનુસાર ગાંધીજીએ પોતાના એક પત્રમાં નેતાજી જીવીત હોવાનો પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગાંધીજીના પત્રનો અંશ
ગાંધીજીએ નેતાજી અંગે લખ્યું હતું, 'થોડા વર્ષો પહેલાં છાપાઓમાં નેતાજીના મૃત્યુના સમાચાર છપાયા હતા, મેં એની પર વિશ્વાસ કરી લીધો હતો. પરંતુ મને લાગે છે કે, જ્યાં સુધી નેતાજીનું સ્વરાજનું સપનું પૂરું ન થઇ જાય ત્યાં સુધી તેઓ આપણને છોડીને ના જ જઇ શકે, કારણ કે નેતાજી પાસે પોતાના દુશ્મનોને ભુલામણામાં નાંખવાની આવડત પણ છે. આ વાતોને કારણે જ મને લાગે છે કે, તેઓ હજુ પણ જીવે છે.' જેમના મનમાં એકબીજાના પ્રત્યે આટલી શુદ્ધ ભાવનાઓ હોય, તે એકબીજાના વિરોધી કઇ રીતે હોઇ શકે?