ફોલોવર્સ જોઇએ છે, લાગતા વળગતાને ખાસ કહેજો!
આવી કોઇ એડ ટ્વિટર કે ફેસબુક પર કોઇ લખી દે તો કેવી મઝા પડી જાય ને!. રમૂજની રમૂજ અને બેઠા બેઠા બે ત્રણ ફોલોવર્સ પણ મળી જાય. પણ આ લેખ ના તો કોઇ એડ માટે છે ના જ કોઇ ફોલોવર્સ વધારવાની ટેકનીક માટે છે. પણ આ જાણ્યા પછી પણ જો તમે આખો લેખ વાંચશો તો કંઇક મઝાનું જાણવા મળશે તે વાત પાક્કી છે.
આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુની મહિમા અને તેનું મહત્વ કોઇ પણ વ્યક્તિના જીવનમાં કેટલું હોય છે તે વાત તમે ત્યારે જ સમજી શકો છો જ્યારે તમને એક સાચો ગુરુ મળે છે! પણ વાત એ છે કે સાચા ગુરુ અને સારો ભક્ત બન્ને બનવું અને મળવું મુશ્કેલ છે. પણ હા, જ્યારે કોઇ ગુરુના ભક્તોની સંખ્યા વધે છે તો જાણે અજાણે તેની લોકપ્રિયતા પણ વધી જાય છે.
તમે પણ કોઇ ગુરુને ફોલો કરતા હશો, તમે પણ કોઇના ફોલોવર્સ હશો. બની શકે તમે કોઇને પણ ફોલો ના કરતા હોવ, પણ સોશ્યલ મીડિયામાં ધણાને ફોલો કરતા હોવ. બસ તો આજે આ લેખમાં આપણે આવા જ કેટલાક ફોલોવર્સની વાત કરવાના છીએ. કેવી રીતે સોશ્યલ મીડિયા અને ફ્લોવર્સની આ લિંક ગુરુ પૂર્ણિમા અને ગુરુ પ્રેમ સાથે જોડાયેલી છે તેની કેટલીક રસપ્રદ સમાનતા વાંચો અહીં. ગમે તો શેયર કરજો અને ના ગમે તો આપણે અહીં કંઇ ખોટું નથી લગાડવાના!....
તમારી ઓળખ તમારો ગુરુ
ગુરુ ભક્તિ અને પંથવાદ પણ એક બહુ મોટી ઓળખ છે. જેમ તમે કયા ગુરુ કે પંથને માનો છે તે તમને તમારી આગવી ઓળખ આપે છે તેમ જ સોશ્યલ મીડિયામાં પણ તમે કોને ફોલો કરો છો તે વાત તમારા વ્યક્તિ વિષેની જાણકારી આપે છે.
ફ્લોવર્સ વધારે લોકપ્રિયતા વધારે
આપણને બધાને નંબરોથી વધુ પ્રેમ છે. આપણે કોઇની પણ લોકપ્રિયતાને માપવા માટે નંબરોને સહારો ખાસ લઇએ છીએ. માટે જ જે રીતે સોશ્યલ મીડિયા પર જે તે વ્યક્તિની લોકપ્રિયતા માટે તેના ફ્લોવર્સના નંબરો મહત્વ રાખે છે તે જ રીતે ગુરુની લોકપ્રિયતા પણ તેના ભક્તોની મોટી સંખ્યા પર આધાર રાખે છે. પણ હા સાચા ગુરુને નંબરોની કોઇ પડી નથી હોતી!
જેને ફોલો કરશો તેવા બનશો?
કહેવાય છે કે સાચો ગુરુ મુક્તિનો માર્ગ બતાવી શકે છે. તેવી જ રીતે તમે સોશ્યલ મીડિયા પર કેવી વસ્તુઓને ફોલો કરો છો તે વસ્તુ તમારા વિચારોને બગાડી કે સુધારી શકે છે.
અમસ્તુ ફોલો
જેમ ગુરુ ભક્તિમાં પણ અમુક તેવા ભક્તો હોય છે જે ખાલી નામ કે પોતાના ફાયદા માટે જ જે તે પંથમાં જોડાય છે તે જ રીતે સોશ્યલ મીડિયા પર પણ ધણા તેવા લોકો હોય છે જેમને ખરેખરમાં ખબર નથી હોતી કે તે કોને ફોલો કરી રહ્યા છે અને કેમ? પણ ઘેંટાવાદની માનસિકતા સાથે તે ધણીવાર અમસ્તુ ફોલો પણ કરતા હોય છે.
ગુરુ અને સોશ્યલ મીડિયા
કહેવાય છે કે ગુરુ ક્યારેક એક વ્યક્તિ પણ હોઇ શકે છે અને ક્યારે અનેક લોકો, જે આપણને જીવનમાં કંઇક શીખવાડી જતા હોય છે અને આપણે તેને ગુરુ ભાવે જોવા લાગીએ છીએ. ત્યારે જ્ઞાન ક્યાંયથી પણ મળી શકે છે જો શીખવાની ચાહ હોય તો. બસ વાતએ છે કે તમે શું શીખવા માંગો છો?
સોશ્યલ મીડિયા
સોશ્યલ મીડિયા પણ કંઇક આવું જ છે તેમાં સારી વસ્તુઓ પણ શીખવા મળી શકે છે અને ખરાબ પણ નક્કી તમારે કરવાનું છે કે તમારે ફોલો કોને કરવા છે?