વિશેષ :જાણો કેવી રીતે ત્રિરંગો બની ગયો રાષ્ટ્ર ધ્વજ
અમદાવાદ, 22 જુલાઈ : કોઈ પણ દેશના સ્વાભિમાનનું ચિહ્ન તેનો રાષ્ટ્ર ધ્વજ હોય છે. ભારતમાં આ રાષ્ટ્ર ધ્વજની સફર સો વર્ષ કરતાં વધુ જૂની છે. ભારતીય બંધારણ સભાએ આજથી 66 વર્ષ અગાઉ 22મી જુલાઈ, 1947ના રોજ ત્રિરંગાનો રાષ્ટ્ર ધ્વજ તરીકે સ્વીકાર કર્યો હતો. જોકે પોતાના દેશનો રાષ્ટ્ર ધ્વજ હોવાનો પ્રથમ વાર વિચાર રાજા રામમોહન રાયના મનમાં ઉઠ્યો હતો. તે વખતે ફ્રાંસમાં ક્રાંતિ ચાલી રહી હતી. આ ક્રાંતિ ફ્રાંસના ત્રિરંગા ઝંડા તળે થઈ હતી. આ ઝંડો ફ્રાંસની બુનિયાદી સમાનતા, ભાતૃભાવ તેમજ સ્વાતંત્ર્યની ભાવનાથી ઓતપ્રોત હતો.
રાજા રામમોહન રાયે ફ્રાંસનો ત્રિરંગો ઝંડો જ અપનાવી લીધો. તેના થોડાંક સમય બાદ અંગ્રેજોએ બંગાળનું વિભાજન કર્યું. તેની વિરુદ્ધ દેશમાં જોરદાર આંદોલન છેડાયું. આ આંદોલનને છત્રછાયા આપવા માટે રાષ્ટ્ર ધ્વજની વાસ્તવિક જરૂરિયાત અનુભવાઈ અને ફ્રાંસના રાષ્ટ્ર ધ્વજને જ સામાન્ય ફેરફાર સાથે ભારતીય રૂપ અપાયું. આ રીતે તૈયાર કરાયેલ પ્રથમ રાષ્ટ્ર ધ્વજને 7મી ઑગસ્ટ, 1960ના રોજ કોલકાતાના ફેડરેશન હૉલમાં સર સુરેન્દ્રનાથ બૅનર્જીની અધ્યક્ષતા હેઠળ સલામી આપવામાં આવી. એક અન્ય માહિતી મુજબ પ્રથમ ધ્વજવંદન કોલકાતાના પારસી બગાનસ્ક્વૅર ગ્રીન પાર્ક ખાતે થયુ હતું. આ ત્રિરંગા ધ્વજમાં લાલ, પીળા અને લીલા રંગના ત્રણ પટ્ટા હતાં. લાલ પટ્ટામા ચંદ્રતારક, પારસીઓના પ્રતીક રૂપે સૂર્ય તેમજ વચલા પીળા પટ્ટામાં ઘેરા આસમાની રંગથી વંદે માતરમ્ લખેલુ હતું.
મિદનાપુરના એક ક્રાંતિકારી હેમચંદ્ર કાનુંગો જ્યારે બૉમ્બ બનાવવાની તાલીમ લેવા ફ્રાંસ ગયાં, ત્યારે ત્યાં તેમણે મેડમ ભીખાઇજી કામાને આ રાષ્ટ્ર ધ્વજ બતાવ્યું. ભારતમાંથી નિર્વાસિત ગુજરાતના નવસારીના કામાએ 18મી ઑગસ્ટ, 1907ના રોજ જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ ખાતે યોજાયલ વિશ્વ સમાજવાદી કોંગ્રેસના આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં આ રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો. બ્રિટને આ સમ્મેલનમાં હિન્દુસ્તાન તરફથી યુનિયન જૅક નામનો ધ્વજ લહેરાવ્યો હતો, પણ કામાએ આ ધ્વજ હટાવી ભારતીય ધ્વજ લહેરાવ્યો. આ ધ્વજમાં લાલ પટ્ટામાં એક કમળ તથા સપ્તર્ષિના સૂચક સાત તારકો હતાં.
તે પછી 1916માં હોમરૂલ આંદોલન વખતે રાષ્ટ્ર ધ્વજ અંગે પુનર્વિચાર કરાયું અને સ્વરાજની કલ્પના મુજબ તેને રૂપ અપાયું. આ ધ્વજમાં ત્રણ પહોળા પટ્ટાના સ્થાને પાંચ લાલ, ચાર લીલા સહિત કુલ્લે નવ સાંકળા પટ્ટા હતાં. તેમની ઉપર બરાબર મધ્યમાં સપ્તર્ષિ તારા અને ડાબી તરફ શીર્ષ ઉપર મુસ્લિમોનું પ્રતીક ચંદ્રતારક હતું. ડાબી બાજુ એક ચતુર્થાંશ ભાગમાં યૂનિયન જૅકનો સમાવેશ કરાયો હતો.
સને 1920માં સ્વાતંત્ર્ય આંદોલનના સૂત્રો મહાત્મા ગાંધીએ પોતાના હાથમાં લીધાં. એક વર્ષ બાદ ગાંધીજીએ સફેદ, લાલ તેમજ લીલા રંગના પટ્ટા વાળા ધ્વજની રાષ્ટ્ર ધ્વજ તરીકે પસંદગી કરી. 1922માં અમદાવાદમાં યોજાયેલ કોંગ્રેસ સમ્મેલનમાં પ્રથમ વાર રાષ્ટ્ર માન્ય ધ્વજવંદન થયું. શીખોએ આ ધ્વજમાં કાળા રંગનો સમાવેશ કરવાનો આગ્રહ કર્યો, પણ ગાંધીજીએ રંગોનું અર્થઘટન કોમી રીતે નહીં કરવાનો આગ્રહ કર્યો.
1931માં ધ્વજમાં લાલ રંગના સ્થાને શૌર્ય તેમજ સમર્પણના પ્રતીક કેસરી રંગનો સમાવેશ કરાયો. ક્રમમાં ફેરફાર કરી ઉપર કેસરી, વચ્ચે સફેદ તેમજ નીચે લીલો રંગ રાખવામાં આવ્યો. મધ્યમાં સફેદ પટ્ટામાં ઉદ્યોગના પ્રતીક તરીકે ચરખાનું ચિહ્ન મૂકવામાં આવ્યું. આ ધ્વજમાં કેસરી રંગ શૌર્ય તેમજ સમર્પણ, લીલો રંગ દાક્ષિણ્ય તથા શ્રદ્ધા અને સફેદ રંગ શાંતિ તેમજ સત્યનું પ્રતિપાદન કરે છે. 1947માં જ્યારે સ્વતંત્રતા મળી, ત્યારે આ જ ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ બનાવી દેવાયો. સ્વતંત્રતા બાદ પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા નિયુક્ત સમિતિએ નિષ્કર્ષ આપ્યું કે રાષ્ટ્ર ધ્વજની મધ્યમાં ચરખાનું ચિત્ર બીજી બાજુથી ઉંધુ દેખાય છે. સમિતિએ ચરખાના સ્થાને અશોક ચક્ર મૂકવાનું સુચન કર્યું કે જે બંને બાજુથી સરખું દેખાય.
રાષ્ટ્ર ધ્વજમાં ઉપરની બાજુ કેસરી, મધ્યમાં શ્વેત તેમજ નીચે ઘેરા લીલા રંગના ત્રિરંગામાં ત્રણે પટ્ટીઓની પહોળાઈ એક સરખી છે. ત્રિરંગાની લાંબાઈ-પહોળાઈનું પ્રમાણ 2:3 છે. ધ્વજ ઉપર જે પ્રતીક છે, તે સારનાથ ખાતે આવેલ અશોક સ્તંભના શીર્ષ પરના ચક્રની પ્રતિકૃતિ છે. આ ચક્ર વચલા પટ્ટાઓ પર મૂકવામાં આવ્યો છે. સફેદ રંગના પટ્ટા જેટલી જ તેની પહોળાઈ છે. ઘેરા ભૂરા રંગના અશોક ચક્રમાં 24 દાંતા છે. 22મી જુલાઈ, 1947ના રોજ બંધારણીય સભાએ આ ત્રિરંગાને રાષ્ટ્ર ધ્વજ તરીકે અપનાવ્યો.