સરદાર પર સંગ્રામ : રાજકીય સૂગમાં દબાયુ ઐતિહાસિક સત્ય!
સરદાર વલ્લભભાઇ પટેલ, એક એવુ નામ કે જે પોતાની એકતા, પોતાની કાર્યશૈલી, કુશળતા અને દિર્ઘદ્રષ્ટિના કારણે ભારતીય રાજકારણીઓ અને યુવાનો માટે હરહંમેશ એક આદર્શ અને પ્રેરણાશીલ વ્યક્તિ બની રહ્યાં છે, પરંતુ દુર્ભાગ્યવશ સરદારને રાજકીય પ્રવાહમાં વિસરી દેવામાં આવ્યા હતા, જોકે છેલ્લા કેટલાક વર્ષોથી સરદાર સાહેબનું નામ પુનઃ રાજકીય ગલીઓમાં ગુંજતુ થયું છે. ચોક્કસપણે તેનો શ્રેય ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને જાય છે, પરંતુ જે રીતે સરદાર પટેલને લઇને કોંગ્રેસી નેતાઓ દ્વારા મોદી પર પ્રહાર કરવામાં આવી રહ્યાં છે, તેના પરથી એ વાતનું સ્પષ્ટીકરણ થઇ ગયું છે કે, કોંગ્રેસને આ વાત ખુંચી રહી છે.
સરદાર પટેલ કોંગ્રેસી નેતા હતા, પરંતુ સરદારના નામ પર ભાજપ યશ ખાટી રહ્યું છે અને કોંગ્રેસ હજુ પણ ગાંધી અને નહેરુ પરિવારનો રાગ આલાપી રહી છે. જો કે, આજે કોંગ્રેસના એ નેતા અને ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલ અંગે વાત નહીં કરીને સરદારના નામે મોદી અને કોંગ્રેસ વચ્ચે જે વાદ વિવાદ છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થયો છે, તે અંગે અને રાજકીય સૂગના કારણે સત્ય છૂપાવવાના જે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, તે અંગે કરવાનો છે.
મંગળવારે અમદાવાદમાં શાહિબાગ પાસે સરદાર પટેલના રાષ્ટ્રિય સ્મારક સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ તકે વડાપ્રધાન મનમોહન સિંહ અને દિનશા પટેલ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યાં હતા. વિરોધી પક્ષના રાજકીય નેતાઓ એક મંચ પર હોય અને બોલવાની તક મળે એટલે સ્વાભાવિકપણે વાદ-વિવાદ થાય. આવું જ કંઇક મંગળવારે પણ થયું હતું, પરંતુ વિવાદની પરાકાષ્ઠા ત્યારે પહોંચી જ્યારે મોદી દ્વારા કરવામાં આવેલી સરદાર અંગેની એક વાતને સુધારવાનો પ્રયત્ન કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિનશા પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.
મોદીનું સત્યઃ સરદાર લાવ્યા હતા 1919માં પ્રસ્તાવ
સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવવાનું સ્વપ્ન સેવીને આગળ વધી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શાલિનતા સાથે સમારોહમાં સરદારની વિશિષ્ટતા અને દુરદર્શિતા જણાવતા કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલ વર્ષ 1919માં જ્યારે અમદાવાદમાં મ્યુનિસિપલ કાઉન્સિલર હતા ત્યારે તેઓ મહિલા અનામત માટે પ્રસ્તાવ લાવ્યા હતા અને પ્રસ્તાવ પાસ કરાવ્યો હતો. તેમની દૂરંદેશી કેટલી હતી કે ત્યારે તેમણે આ પ્રસ્તાવ અમલી બનાવ્યો હતો. જ્યારે તેઓ અમદાવાદના મેયર હતા ત્યારે તેમણે અર્બન પ્લાનિંગની વાતો વિચારી હતી.
દિનશા પટેલની સૂગઃ સત્યને છૂપાવવા કર્યો પ્રયાસ
બસ, નરેન્દ્ર મોદીની આ વાતને લઇને દિનશા પટેલે સમારોહમાં પોતાના પ્રવચન દરમિયાન કહ્યું હતું કે, હું ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી એક ભૂલને સુધારવા માગુ છું. મોદી સાચા છે કે સરદાર પટેલ મહિલા અનામત માટે પ્રસ્તાવ લાવ્યા હતા અને પ્રસ્તાવ પાસ કરાવ્યો હતો, પરંતુ તેઓએ જે સમયકાળ બતાવ્યો તે ખોટો છે. સરદાર પટેલ આ પ્રસ્તાવ 1919માં નહીં, પરંતુ 1926માં લાવ્યા હતા.
દસ્તાવેજો કહે છે, મોદી હતા સાચા
ઇતિહાસના નક્કર દસ્તાવેજો પર નજર ફેરવવામાં આવે તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાચા છે અને દિનશા પટેલ ખોટા. દસ્તાવેજો અનુસાર સરદાર પટેલ 1919માં જ મહિલા અનામત અંગેનો પ્રસ્તાવ લાવ્યા હતા અને એ જ વર્ષમાં તેને પાસ કરાવ્યો હતો, પરંતુ રાજકીય સૂગ અને સરદાર પટેલ કોંગ્રેસના નેતા હોવા છતાં ભાજપ તેમના નામે લાભ ખાટી ના જાય એ હેતુસર દિનશા પટેલ દ્વારા સમારોહ દરમિયાન મોદીને ખોટા ઠેરવવાનો એક પ્રયાસ કર્યો હતો.
સરદારના વખાણનું કરાયું ઉંધુ અર્થઘટન
આ જ સમારોહમાં નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલના કાર્ય કુશળતા અંગે વાત કરતા કહ્યું હતું કે, જો સરદાર સાહેબ આપણા પ્રથમ વડાપ્રધાન હોત તો દેશની તસવીર અલગ હોત. દેશ તેમની પ્રેરણા પર આગળ વધીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શક્યો હોત. એ વાતને કોઇ અવગણી શકતુ નથી કે સરદાર પટેલ દેશના વડાપ્રધાન હોત તો કાશ્મિરનો મુદ્દો આજે ભારતને પરેશાન કરી રહ્યો ના હોત, દેશ ઘણો મજબૂત હોત, પાડોશી દેશો ભારત માટે મુશ્કેલીઓ ઉભી કરવાનું દુષ્સાહસ ના કરત. પરંતુ મોદીની આ વાતને ગાંધી-નહેરુ પરિવાર વિરોધી ગણાવવામાં આવી રહ્યું છે.