ભારતીય સેના દિવસઃ શા માટે 15 જાન્યુ.એ ઉજવાય છે ભારતીય સેના દિવસ?
15 જાન્યુઆરી, 1949ના રોજ કેએમ કરિઅપ્પાએ બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ સર ફ્રાંસિસ બુચર પાસેથી ભારતીય સેનાની કમાલ પોતાના હાથમાં લીધી હતી.
આજે 15 જાન્યુઆરીના રોજ ભારતીય સેના પોતાના બહાદુર સેનાનીઓને સલામ કરી ભારતીય સેના દિવસની ઉજવણી કરી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે 15 જાન્યુઆરીનો દિવસ ભારતીય સેના દિવસ તરીકે કેમ ઉજવાય છે? આ પાછલ પણ એક રસપ્રદ તથ્ય રહેલું છે. વર્ષો પહેલાં 15 જાન્યુઆરીના દિવસે જ ભારતીય સેનાને પોતાના પહેલા ભારતીય કમાન્ડર-ઇન-ચીફ મળ્યા હતા.
પહેલા ભારતીય કમાન્ડર-ઇન-ચીફ
15 જાન્યુઆરી, 1949ના રોજ લેફ્ટેનન્ટ જનરલ કેએમ કરિઅપ્પા ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ બન્યા હતા. આ દિવસે જ તેમણે બ્રિટિશ કમાન્ડર-ઇન-ચીફ ફ્રાંસિસ બુચર પાસેથી ભારતીય સેનાદળની કમાન પોતાના હાથમાં લીધી હતી. તે દિવસથી જ 15 જાન્યુઆરીનો દિવસ 'ભારતીય સેના દિવસ' તરીકે ઉજવાય છે. આ દિવસે દેશની રાજધાની દિલ્હી ઉપરાંત હેડક્વોર્ટર પર પણ અનેક પરેડ અને મિલિટ્રી શોનું આયોજન કરવામાં આવે છે.
પહેલા ફીલ્ડ માર્શલ હતા કરિઅપ્પા
કેએમ કરિઅપ્પા પહેલા આર્મી ચીફ તો હતા જ, સાથે જ તેઓ પહેલા એવા ઓફિસર તા જેમને ફીલ્ડ માર્શલનો રેન્ક આપવમાં આવ્યો હતો. ફીલ્ડ માર્શલ કરિઅપ્પાએ વર્ષ 1947માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વેસ્ટર્ન કમાન્ડ પર ભારતીય સેનાને કમાન્ડ આપ્યા હતા. પહેલા આર્મી ચીફ કરિઅપ્પાથી લઇને વર્તમાન આર્મી ચીફ બિપિન સિંહ રાવત સુધીમાં માત્ર 2 જ આર્મી ચીફને ફીલ્ડ માર્શલની ઉપાધિ આપવામાં આવી છે. પહેલા હતા કેએમ કરિઅપ્પા અને બીજા સેમ માનેક શૉ.
69મો ભારતીય સેના દિવસ
આપણા દેશની સેવામાં ખડેપગે હાજર રહેતાં સૈનિકો તથા દેશસેવા ખાતર જેમણે પોતાનો જીવ ગુમાવ્યો, એ તમામને સલામ કરવા માટે આ દિવસે ખાસ કાર્યક્રમો યોજવામાં આવે છે. ભારતીય સેના દિવસની ઉજવણી થકી દરેક નાગરિક, દેશના તમામ સૈનિકોનો આભાર માને છે અને તેમની બહાદુરીને સલામ કરે છે. આ વર્ષે ભારતીય સેના પોતાનો 69માં સેના દિવસ ઉજવી રહી છે.
1776માં ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા નિર્માણ
વર્ષ 1776માં ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કલકત્તામાં ભારતીય સેનાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે દેશભરમાં ભારતીય સેનાના 53 કેન્ટોનમેન્ટ અને 9 આર્મી બેઝ છે. ભારતીય મિલિટ્રી એન્જિનયરિંગ સર્વિસ ભારતની સૌથી મોટી નિર્માણ કંપની છે. ભારતીય સેનાની અસમ રાઇફલ્સ સૌથી જૂની પેરામિલિટ્રિ ફોર્સ છે, જેની સ્થાપના વર્ષ 1835માં કરવામાં આવી હતી. તમને જાણીને નવાઇ લાગશે કે, આજે રાષ્ટ્રપતિની સુરક્ષા માટે જે ગાર્ડ્સ મુકવામાં આવ્યા છે, તે રેજીમેન્ટ આર્મીની સૌથી જૂની રેજીમેન્ટ છે અને તે રાષ્ટ્રપતિ ભવનમાં જ રહે છે.
ભારતીય સેના વિશ્વમાં ત્રીજા નંબરની સૌથી વિશાળ સેના
આજે ભારતીય સેનામાં લગભગ 12 લાખ સક્રિય અને 9 લાખ 60 હજાર રિઝર્વ સૈનિકો છે. ભારતીય સેના વિશ્વની ત્રીજા નંબરની સૌથી વિશાળ સેના છે. વિશ્વમાં માત્ર ત્રણ દેશો પાસે આજે પણ ઘોડેસવાર સૈનિકો છે, આ ત્રણ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. સિયાચિન ગ્લેશિયર સમુદ્ર તટથી 5000 મીટરથી પણ વધુ ઉંચાઇએ સૌથી ઉંચુ યુદ્ધ ક્ષેત્ર આવેલું છે, જ્યાં ભારતીય સેના ફરજ બજાવે છે.