#Baahubaliના એ 9 રહસ્યો, જેના પરથી કાલે પડદો ઉંચકાશે
બાહુબલી ફિલ્મ બાદ સૌના મોઢે એક જ પ્રશ્ન હતો, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? જો કે, આ સિવાયના પણ ઘણા મહત્વપૂર્ણ રહસ્યો ઉકેલાશે બાહુબલીના બીજા પાર્ટમાં..આ રહસ્યો કયા છે?
બાહુબલીઃ ધ બિગિનિંગ ફિલ્મ જોયા પછી સૌના મોઢે એક જ પ્રશ્ન હતો, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? છેલ્લા 2 વર્ષથી આ સવાલ સૌના મનમાં ભમી રહ્યો છે, આ સવાલ પર અનેક જોક્સ પણ બની ચૂક્યા છે. પરંતુ લોકો ભૂલી રહ્યાં છે કે ફિલ્મની વાર્તામાં બીજા પણ ઘણા એવા રહસ્યો છે, જે પહેલી ફિલ્મમાં ઉકેલાયા નહોતા. એ તમામ સવાલના જવાબ બાહુબલી 2 માંથી મળી રહેશે એવી આશા છે.
ફિલ્મ એક, સવાલ અનેક
કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? છેલ્લા 2 વર્ષથી જાણે આ દેશનો સૌથી વિકટ પ્રશ્ન બની ગયો હતો. પરંતુ ફિલ્મ ધ્યાનથી જોતાં ખ્યાલ આવે છે કે, ખરેખર તો આ સવાલનો જવાબ ભલ્લાલદેવ પોતાના એક ડાયલોગમાં જાતે જ આપી દે છે. પરંતુ આ સિવાય ઘણા એવા સવાલ છે, જેના જવાબ પહેલી ફિલ્મમાં નહોતા. શું બાહુબલી સાચે જ મૃત્યુ પામ્યો છે? એ કયા સવાલો છે, જેના જવાબ હજુ બાહુબલીના ફેન્સે મેળવવાના બાકી છે? જાણો અહીં..
શું અમરેન્દ્ર બાહુબલી સાચે જ મૃત્યુ પામ્યો છે?
બાહુબલી ફિલ્મમાં બતાવાયું છે કે, ભલ્લાલદેવ રોજ દેવસેના(અનુષ્કા શેટ્ટી)ને મળવા, તેને હેરાન કરવા જાય છે. તેની સાથેની વાતચીત દરમિયાન ભલ્લાલદેવ બોલે છે કે, તારા અને મારા સિવાય માહિષ્મતિમાં કોઇ બાહુબલીને યાદ નથી કરતું. પરંતુ હું આશા રાખું છું કે, એક દિવસ જરૂર અમારી મુલાકાત થાય, જેથી હું એની હત્યા કરી શકું. તો શું આનો અર્થ છે કે, બાહુબલી હજુ પણ ક્યાંક જીવે છે?
ભલ્લાલદેવની પત્ની કોણ છે?
બાહુબલી ફિલ્મમાં ભલ્લાલદેવનો પુત્ર બતાવવામાં આવ્યો છે. એ પણ કહેવાયું છે કે, ભલ્લાલદેવ દેવસેનાના પ્રેમમાં હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ દેવસેનાએ ભલ્લાદેવને રિજેક્ટ કરી બાહુબલી પર પસંદગી ઉતારી. પરંતુ આખી ફિલ્મમાં ક્યાંય એ વાતનો ઉલ્લેખ નથી કે, ભલ્લાલદેવના લગ્ન છેલ્લે કોની સાથે થયા હતા? જેના થકી તેને એક પુત્ર પણ છે.
શિવગામીની હત્યા પાછળ જવાબદાર બિજ્જલદેવ?
ફિલ્મની શરૂઆતમાં બતાવાયું છે કે, શિવગામી નાનકડા બાહુબલીને તેડી મહેલમાંથી નાસી છૂટે છે. કેટલાક સૈનિકો તેની પાછળ પડ્યાં છે. પરંતુ એ સૈનિકો કોણે મોકલ્યા અને તે શિવગામીને કેમ મારવા માંગે છે? આ પ્રશ્નનો જવાબ ફિલ્મમાં નથી. બાહુબલી 2ના પ્રોમો વીડિયો અનુસાર શિવગામીનો પતિ બિજ્જલદેવ જ તેનો દુશ્મન બન્યો છે. પરંતુ કેમ? આ બંન્ને સવાલના સ્પષ્ટ જવાબ બાહુબલી 2માંથી મળવાની આશા છે.
કઇ સેનામાં છે અવંતિકા?
બાહુબલીમાં અવંતિકા એક ગુપ્ત સેનાની સભ્ય હોવાનું બતાવાયું છે અને તેઓ દેવસેનાના મુક્ત કરવા માટે કટિબદ્ધ છે. પરંતુ આ લોકો કોણ છે? જો માહિષ્મતિની સેનાના જ સભ્યો હોય તો એમણે છુપાઇને કામ કરવાની શું જરૂર છે? જો તેઓ માહિષ્મતિની સેનાના સભ્ય નથી, તો દેવસેનાની સુરક્ષા માટે કટિબદ્ધ કેમ છે?
ભલ્લાલદેવને પારખી શકશે બાહુબલી?
ફિલ્મમાં ભલ્લાલદેવ ઘણીવાર બાહુબલીને મારવાનો પ્રયત્ન કરે છે, બાહુબલીને આ વાતની જાણ નથી. બાહુબલી ભલ્લાલદેવનો શુભચિંતક છે અને તેને પોતાનો ભાઇ ગણે છે. તો શું ભલ્લાલદેવનું સાચું રૂપ બાહુબલીની સામે આવશે? અને આવશે તો ક્યારે આવશે?
શિવગામીએ શું પાપ કર્યું છે?
શિવગામી જ્યારે બાહુબલીને લઇને ભાગે છે, ત્યારે તે મનોમન ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે, 'મારા પાપની સજા આ નાના જીવને ના આપીશ. હે ભગવાન, આની રક્ષા કરજે.' સવાલ એ છે કે, શિવગામીનું એવું ક્યું પાપ છે જેના પ્રાયશ્ચિત માટે તે પોતાનો જીવ આપવા માંગે છે?
ભલ્લાલદેવને કેમ પ્રમાણિક છે કટપ્પા?
બાહુબલી ફિલ્મ પરથી સ્પષ્ટ છે કે, કટપ્પા મનથી ભલ્લાલદેવની વિરુદ્ધ છે. તે શિવગામીને સ્વતંત્ર કરવા ઇચ્છે છે, તે આ માટે ભલ્લાલદેવને વિનંતી પણ કરે છે, પરંતુ ક્યારેય તે ભલ્લાલદેવને નુકસાન નથી પહોંચાડતો. તે હંમેશા જીવના જોખમે ભલ્લાલદેવનું રક્ષણ કરે છે. શા માટે? કટપ્પાની એવી કઇ મજબૂરી છે?
શા માટે કેદ છે દેવસેના?
બાહુબલીના ગાયબ થયા પછી ભલ્લાલદેવ માહિષ્મતિ પર કબજો જમાવે છે અને દેવસાનાને કેદ કરે છે. પરંતુ શા માટે? ભલ્લાલદેવ દેવસેનાને કેદ કરી રાખી કઇ વાતનો બદલો લઇ રહ્યો છે? મહેલમાં આખરે એવી શું ઘટના ઘટી, જેને કારણે શિવગામી ભાગી છૂટી અને દેવસેનાને કેદી તરીકે રહેવાનો વારો આવ્યો?
કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?
આ સવાલ યાદ અપાવવાની જરૂર ખરી? પોતાની વફાદારી અને પ્રમાણિકતાની વિરુદ્ધ જઇ આખરે કયા કારણસર કટપ્પાએ બાહુબલીનો જીવ લીધો કે પછી જીવ લેવાનો પ્રયત્ન કર્યો? અને ત્યારબાદ જીવનભર માટે ભલ્લાલદેવની આગેવાની સ્વીકારી? શા માટે? આ તમામ સવાલોના જવાબ માટે હવે માત્ર થોડા જ કલાક રાહ જોવાની છે.
અહીં વાંચો
પ્રમોશન દરમિયાન બાહુબલી 2ની ટીમ થઇ Racismનો શિકાર
બાહુબલી 2 રિલીઝ થવાની તૈયારીમાં છે, લોકો આ ફિલ્મને જોવા આતુર છે. એવામાં દુબઇ પ્રમોશન કરવા પહોંચેલ આ ફિલ્મની સ્ટારકાસ્ટને રેસિઝમનો સામનો કરવો પડ્યો છે.