બે ટીપાં જિંદગીના યાદ રહ્યાં... ટૅક્સ ભરવાનું ભુલી ગયાં !
મુંબઈ, 9 જાન્યુઆરી : બૉલીવુડના એંગ્રી યંગ મૅન અમિતાભ બચ્ચન આજકાલ થોડાંક પરેશાન નજરે પડે છે અને તેમની પરેશાનીનું કારણ છે આવકવેરા વિભાગ. હકીકતમાં અમિતાભ બચ્ચનને તાજેતરમાં સુપ્રીમ કોર્ટે નોટિસ મોકલી છે કે તેમણે પોતાના હિટ શો કૌન બનેગા કરોડપતિની વર્ષ 2001-02ની સીઝન દરમિયાન જે રકમ કમાવી છે તેનો વેરો ચુકવવાનું તેઓ ભુલી ગયાં છે. તેથી તેમણે વહેલામાં વહેલી તકે 1.66 કરોડ રુપિયાનો વેરો ચુકવી દેવો પડશે.
અમિતાભને જ્યારથી આ નોટિસ મળી છે, તેઓ જલ્દીથી જલ્દી આ રકમની ચુકવણીના પ્રયત્નમાં વ્યસ્ત છે. અમિતાભના પ્રશંસકો પણ આ સમાચાર સાંભળી સ્તબ્ધ છે, પરંતુ કેટલાંકે તો ટ્વિટર પર કટાક્ષ બાણ ચલાવ્યાં છે. ટ્વિટર પર કોઇકે કૉમેન્ટ કરી છે - બે ટીપા જિંદગીના પિવડાવો છે, પરંતુ બે ટકા ટૅક્સ આપવાનું ભુલી ગયાં અમિતાભ બચ્ચન. વૅરી બેડ.
અમિતાભ બચ્ચને પણ તાજેતરમાં જૉલી એલએલબીના પ્રોમો રિલીઝના ઇવેન્ટ દરમિયાન આ નોટિસ અંગે જણાવ્યું - જીવનમાં બે વસ્તુઓથી કોઈ પણ વ્યક્તિ બચી ન શકે. એક મૃત્યુ અને બીજું આવકવેરા વિભાગ. હું સુપ્રીમ કોર્ટની આજ્ઞાનું પાલન કરીશ. અમિતાભ બચ્ચન તાજેતરમાં સુભાષ કપૂરની આવનાર ફિલ્મ જૉલી એલએલબીના પ્રોમો લૉન્ચ ઇવેન્ટમાં ગયા હતાં અને ત્યાં તેમણે જણાવ્યું કે તેમણે અગાઉ ક્યારેય આવી સમસ્યાનો સામનો નથી કર્યો.
અમિતાભ બચ્ચને જણાવ્યું - મને યાદ છે કે જ્યારે લંડનમાં બોફોર્સ પ્રકરણમાં મારૂ નામ આવ્યું, ત્યારે મારી પાસે માત્ર એક જ હથિયાર હતો સત્ય. અમે સત્યની સાથે હતાં અને એટલે જ કેસ જીતી ગયાં. સાથે જ અમિતાભે એમ પણ જણાવ્યું કે જૉલી એલએલબીનું પ્રોમો બહેતરીન છે અને મને વિશ્વાસ છે કે ફિલ્મ પણ શ્રેષ્ઠ હશે. ફિલ્મમાં અરશદ વારસી, અમૃતા રાવ તથા બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં છે.