પ્રાણ સાજા છે, ટુંકમાં જ મળશે રજા : અમિતાભ
મુંબઈ, 21 નવેમ્બર : સદીના મહાનાયક અમિતાભ બચ્ચન મીડિયા સામે રોષે ભરાયાં છે. તેમણે જણાવ્યું છે કે મીડિયા બસ અડધા-પડધા સમાચારો છાપી દે છે. તે પણ સત્યતા ચકાસ્યા વગર. અમિતાભે જણાવ્યું કે તેમને તે વખતે ખૂબ દુઃખ થયું, જ્યારે તેમણે કેટલીક જગ્યાએ વાંચ્યું કે બૉલીવુડના જાણીતા વિલન પ્રાણની તબીયત ચિંતાજનક છે અને તેઓ હૉસ્પિટલે દાખલ છે. આ સમાચાર મળતાં જ તેઓ તરત લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા અને પ્રાણને મળ્યાં. પ્રાણ સામાન્ય તાવથી ગ્રસ્ત છે. બાકી તમામ રીતે સાજા છે.
અમિતાભે પ્રાણ સાથે કેટલોક સમય ગાળ્યો. આ દરમિયાન પ્રાણ અને અમિતાભે એક-બીજા સાથે મજાક પણ કરી અને જૂની યાદો પણ વાગોળી. અમિતાભે આ માહિતી ટ્વિટર દ્વારા આપી છે.
અમિતાભે ટ્વિટર પર આગળ લખ્યું છે કે મીડિયા સંસ્થાઓએ આ પ્રકારની બાબતોથી બચવું જોઇએ કારણ કે આવા તથ્યહીન સમાચારોથી પ્રાણજીને ચાહનારાઓની લાગણીઓ દુભાઈ છે. ભગવાન પ્રાણને લાંબી ઉંમર આપે. આપ લોકોની માહિતી માટે હું બતાવવા માંગીશ કે પ્રાણ સાહેબને બુધવારે હૉસ્પિટલમાંથી રજા મળી શકે છે.
નોંધનીય છે કે સોમવારે અચાનક સમાચાર આવ્યાં કે પ્રાણ સાહેબને મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાઈ રહી છે. જોકે તેમના પરિજનો આ અંગે કઈંક જ નથી કહેતાં, પરંતુ પ્રાણની હાલત સારી નથી, તેમ હૉસ્પિટલના પ્રવક્તા કહી રહ્યા હતાં.