"હું અહીં મારા ટેલેન્ટને કારણે છું, સરનેમને કારણે નહીં"
અનુષ્કા શર્મા અને ઇમ્તિયાઝ અલીએ નેપોટિઝમ અંગે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે, અમે અહીં પોતાની મહેનતને કારણે છીએ, સરનેમને કારણે નહીં.
કરણ જોહર, સૈફ અલી ખાન અને વરુણ ધવનની નેપોટિઝમની મજાક બાદ બોલિવૂડમાં જાણે આ મુદ્દે ચર્ચાના દ્વારા ખુલી ગયા છે. સૈફ અને કંગનાના ઓપન લેટર બાદ હવે ધીરે-ધીરે અન્ય સેલિબ્રિટીઝ પણ આ અંગે પોતાના વિચારો વ્યક્ત કરવા સામે આવી રહ્યાં છે. બોલિવૂડમાં પરિવારવાદને વધુ મહત્વ મળે છે કે ટેલેન્ટને, એ અંગે લોકો પોતાનો પક્ષ રજૂ કરી રહ્યાં છે. હાલ અનુષ્કા શર્મા અને ઇમ્તિયાઝ અલી આ મુદ્દે બોલવા આગળ આવ્યા છે.
નેપોટિઝમ અંગે અનુષ્કા શર્મા
અનુષ્કા શર્માએ આ અંગે કહ્યું કે, હું બોલિવૂડમાં મારા ટેલેન્ટના બળે આવી અને અહીં ઘણા એવા આઉટસાઇડર્સ છે, જે પોતાના ટેલેન્ટના બળે અહીં ટક્યા છે. આ પહેલાં પણ પોતાના એક જૂના ઇન્ટરવ્યુમાં અનુષ્કાએ કહ્યું હતું કે, મને પોતાને બોલિવૂડમાં નેપોટિઝમ કે ભેદભાવનો અનુભવ ક્યારેય નથી થયો.
નેપોટિઝમ અંગે ઇમ્તિયાઝ અલી
ઇમ્તિયાઝ અલીએ આ અંગે કહ્યું કે, અમે ત્રણેય(શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને હું) આઉટસાઇડર્સ છીએ અને અમારા કોઇ ગોડફાધર નથી. હું અહીં માત્ર અને માત્ર મારી મહેનતને કારણે છું અને મારી મહેનતને પરિણામે મને જે પ્રેમ મળ્યો એને કારણે છું.
અનુષ્કાનું ડેબ્યૂ
અનુષ્કા શર્માનું ડેબ્યૂ આદિત્ય ચોપરાની ફિલ્મ દ્વારા થયું હતું. તેણે પોતાના જૂના ઇન્ટરવ્યુમાં નેપોટિઝમ અંગે વાત કરતાં કહ્યું હતું કે, મને પોતાને અહીં ભેદભાવનો અનુભવ નથી થયો. આદિત્ય ચોપરાએ મને જ્યારે કાસ્ટ કરી ત્યારે તેમણે એક એક્ટરને કાસ્ટ કરી હતી, એ જ સમયગાળામાં તેમણે રણવીર સિંહ અને પરિણીતિ ચોપરાને પણ લોન્ચ કર્યા હતા.
અમે આવ્યા ત્યારે અમે પણ આઉટસાઇડર્સ હતા
'એ સમયે અમે ત્રણેય(અનુષ્કા, રણવીર અને પરિણીતિ) આઉટસાઇડર્સ હતા. આદિત્ય ચોપરાએ અમને તક આપી હતી, હું પોતે આ તક માટે તેમની ખૂબ આભારી છું. દરેકની જર્ની અને સંઘર્ષ જુદા-જુદા હોય છે, આથી હું કોઇ બીજા અંગે કોમેન્ટ ન કરી શકું.'
દરેકના પોતાના સંઘર્ષ હોય છે
'દરેકનો કારકીર્દિનો રસ્તો અલગ હોય છે, દરેકની મુશ્કેલી અલગ હોય છે. હું જેટલી મોટી અને સમજણી થઇ એટલી હું ઓછી જજમેન્ટલ થતી ગઇ. આથી હું બીજા કોઇના અનુભવ પર ટિપ્પણી ન કરી શકું. હું પોતાના વિશે એટલું કહીશ કે, મને અહીં મારા ટેલેન્ટની કદર કરનારા મળ્યા છે.'
સરનેમને કારણે નહીં, ટેલેન્ટને કારણે છીએ
ઇમ્તિયાઝ અલીએ પણ અનુષ્કા શર્માની માફક જ આ અંગે કહ્યું હતું કે, અહીં તમારી સરનેમને નહીં, પરંતુ ટેલેન્ટને મહત્વ મળે છે. અનુષ્કા શર્મા ટૂંક સમયમાં જ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'માં શાહરૂખ ખાન સાથે જોવા મળશે.
કરણ જોહર નેપોટિઝમના પ્રચારક?
નેપોટિઝમનો ટોપિક 'કોફી વિથ કરણ'માં કંગના રાણાવતે કાઢ્યો હતો, તેણે કરણના જ શોમાં કરણને નેપોટિઝમના પ્રચારક કહ્યા હતા. એ પછી આઇફામાં કરણે સૈફ અને વરુણ સાથે મળીને નેપોટિઝમ અંગે ટિપ્પણી કરતાં કંગાનની મજાક ઉડાવી હતી. ત્યાર બાદ ખૂબ આલોચના થતાં કરણ અને વરુણે આ અંગે માફી માંગી હતી.
સૈફ અને કંગનાનો ઓપન લેટર
ત્યાર બાદ સૈફ અલી ખાને આ આખા મુદ્દે ઓપન લેટર લખતાં પોતાનો પક્ષ મુક્યો હતો. સામે કંગના રાણાવતે પણ આ અંગે ચુપ્પી તોડતાં ઓપન લેટર લખ્યો હતો. કંગનાએ કહ્યું હતું કે, બોલિવૂડમાં નેપોટિઝમ છે અને એ તથ્ય છે. એની સામે ઊભા થવું જરૂરી છે. તો બીજી બાજુ અનુષ્કા શર્મા અને ઇમ્તિયાઝ અલીએ પોતાના નિવેદન દ્વારા એક રીતે બોલિવૂડમાં નેપોટિઝમને નકાર્યું છે. હવે આ અંગે અન્ય એક્ટર અને એક્ટ્રેસિસ શું કહે છે, એ જોવાનું રહે છે.