પાકિસ્તાનમાં રિલીઝ નહિ થાય એ દિલ હૈ મુશ્કીલ અને શિવાય
ફૉક્સ સ્ટાર અને રિલાયંસ એંટરટેનમેંટે જાણકારી આપી છે કે પાકિસ્તાનમાં એ દિલ હૈ મુશ્કીલ અને શિવાય બંને ફિલ્મ રિલીઝ નહિ થાય. કારણો જાણો અહીં....
પાકિસ્તાનમાં એ દિલ હૈ મુશ્કીલ અને શિવાય બંને હિન્દી ફિલ્મો રિલીઝ નહિ થાય. ફિલ્મ વિશ્લેષક તરણ આદર્શે સોશિયલ મીડિયા સાઇટ ટ્વીટર પર આ જાણકારી આપી હતી. તરણ આદર્શે પોતાના ટ્વીટમાં લખ્યુ છે કે ફૉક્સ સ્ટાર અને રિલાયંસ એંટરટેનમેંટે આ વાતની જાણકારી આપતા કહ્યુ કે પાકિસ્તાનમાં એ દિલ હૈ મુશ્કીલ અને શિવાય બંને ફિલ્મો રિલીઝ નહિ થાય. આ સાથે જ આ ફિલ્મોને લઇને ચાલી રહેલી અટકળો બંધ થઇ જવી જોઇએ.
ઉરી આતંકી હુમલા બાદ બંને દેશોમાં તણાવ યથાવત
ઉરીમાં થયેલા આતંકી હુમલા અને ભારત તરફથી કરાયેલા સર્જીકલ સ્ટ્રાઇકના ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ બાદ બંને દેશોના કલાકારોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એ દિલ હૈ મુશ્કીલ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાને કામ કર્યુ છે, આ કારણે મનસે અને સિને ઑનર્સ એસોસિએશન પહેલા જ પોતાનો વિરોધ દર્શાવી ચૂક્યા છે. સિને ઑનર્સ એસોસિએશને એ દિલ હૈ મુશ્કીલને સિનેમાઘરોમાં બતાવવાની મનાઇ કરી દીધી છે. ત્યારબાદ ફિલ્મના બિઝનેસને લઇને સવાલો ઉઠી રહ્યા છે. સિને ઑનર્સ એસોસિએશને મનાઇ કર્યા બાદ મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને કર્ણાટકના અમુક ભાગોમાં સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં પણ આ ફિલ્મ રિલીઝ નહિ થાય.
કરણ જૌહર આપી ચૂક્યા છે સફાઇ
એ દિલ હૈ મુશ્કીલને લઇને ચાલી રહેલા વિરોધ વચ્ચે ફિલ્મ નિર્માતા કરણ જૌહરે પણ એક વીડિયો જારી કરીને પોતાની સફાઇ આપી હતી. વળી તેણે 5 કરોડ રુપિયાનું ફંડ આર્મી રિલીફ ફંડમાં જમા કરાવ્યુ ત્યારબાદ મનસે એ કોઇ વિરોધ વિના આ ફિલ્મ રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે.
આપણે દેશની પડખે ઉભા રહેવુ પડે
આ તરફ બૉલીવુડ અભિનેતા અજય દેવગણે પાકિસ્તાની કલાકારોના વિરોધ કરનારા અંગે ફરી એકવાર નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે જો કોઇ પ્રોડ્યુસર પાકિસ્તાની કલાકરો સાથે કામ કરી રહ્યો છે તો આર્મી રિલીફ ફંડમાં 5 કરોડ રુપિયા જમા કરાવવા માટે તમે તેને મજબૂર ના કરી શકો. પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાની મનાઇ કરી ચૂકેલા અજય દેવગણે કહ્યુ કે દેશની પરિસ્થિતિઓ પ્રમાણે નિર્ણયો લેવા પડે છે. તેમણે કહ્યુ, ‘એવુ નથી કે અમે તેમની સાથે કામ કરવા નથી ઇચ્છતા પરંતુ ઘણી વાર એવો સમય આવે છે જ્યારે આપણે આપના દેશની પડખે ઉભા રહેવુ પડે છે.' અભિનેતાએ કહ્યું કે, અમે સાથે કામ કરીએ છીએ, પરંતુ એ એવી પરિસ્થિતિમાં જ્યારે બંને દેશો વચ્ચે વાતાવરણ સામાન્ય હોય. આતંકવાદી ગતિવિધિઓ ન હોય. જો સીમા પારથી દેશની વિરુદ્ધમાં કંઇ કામ થઇ રહ્યું હોય તો આપણે આપણા દેશની પડખે ઉભા રહેવુ પડે.
પાક કલાકાર ફવાદ ખાનના કારણે વિવાદ
ઉલ્લેખનીય છે કે 28 ઑક્ટોબરે આવનારી ફિલ્મ એ દિલ હૈ મુશ્કીલમાં પાકિસ્તાની કલાકર ફવાદ ખાન હોવાને કારણે તેની રિલીઝનો વિરોધ થ ઇ રહ્યો છે. અજય દેવગણની ફિલ્મ શિવાય પણ આ તારીખે જ રિલીઝ થ ઇ રહી છે.