કરણ જોહરે ન કહ્યા એ ત્રણ શબ્દો, તો પણ થયો વિવાદ
પોતાની આગામી આત્મકથા The Unsuitable Boy માં કરણ જોહરે ખૂબ જ અસ્પષ્ટ રીતે પોતાની સેક્સૂઆલિટી અંગે ખુલાસો કર્યો છે અને આ પરોક્ષ ખુલાસા બાદ પણ વિવાદ તો સર્જાયો જ!
કરણ જોહર હંમેશા કોઇ ને કોઇ બાબતે ચર્ચામાં રહે છે. બોલિવૂડના આ ડિરેક્ટર-પ્રોડ્યૂસર પ્રોફેશનલ લાઇફ સિવાય તેમના વ્યક્તિત્વને લઇને પણ અનેકવાર વિવાદોનો ભોગ બન્યા છે. કરણ જોહરની આત્મકથા The Unsuitable Boyમાં તેમણે પોતાની દરેક વ્યક્તિગત બાબત, પસંદ-નાપસંદ, સેક્સ્યૂઆલિટી અંગે ખૂલીને વાત કરી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં તેમની આ આત્મકથાના કેટલાક અંશો છપાયા છે, જે હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
સાથે જ બેંગ્લોર ટાઇમ્સના અહેવાલો અનુસાર બેંગ્લોરની એક ગે કોમ્યૂનિટિએ કરણ જોહરના અસ્પષ્ટ ખુલાસા સમક્ષ વાંધો ઉઠાવતા વિવાદ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, કરણ જોહર હંમેશા આ વિષયને હસવામાં ઉડાવી દે છે કે પછી અવગણે છે. તેમણે ક્યારેય મીડિયામાં આ અંગે ખૂલીને વાત કરી નથી. આ પહેલો પ્રસંગ છે, જ્યારે કરણ જોહર પોતાની સેક્સ્યૂઆલિટી અંગે જાહેરમાં ગંભીર રીતે બોલતા જોવા મળ્યા હોય.
શું છે વિવાદ?
રવિવારે કરણ જોહરના અમુક વાક્યો બાહર આવતાં બેંગ્લોર શહેરની LGBTQIA+ કોમ્યૂનિટીએ કરણ જોહરના આ પરોક્ષ ખુલાસાનો વિરોધ કર્યો હતો. કરણ જોહરે સ્પષ્ટપણે એ ત્રણ શબ્દો ઉચ્ચારવાની ના પાડી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, 'હું ઇચ્છું તો પણ એ ત્રણ શબ્દો નહીં બોલું, કારણ કે હું એક એવા દેશમાં રહું છું, જ્યાં આ બાબત જાહેર કરવા બદલ મને જેલ થઇ શકે છે.'
જેના વિરોધમાં આ LGBTQIA+ કોમ્યૂનિટીના કાર્યકર્તા અને તેના સમર્થકોએ કહ્યું છે કે, આપણે બધા કરણ જોહરની સેક્સ્યૂઆલિટી અંગે જાણીએ છીએ અને અમને હંમેશા આશા હતી કે તેઓ આ વાત કબૂલ કરવાવાળા પહેલા બોલિવૂડ સેલિબ્રિટી બનશે. જો તેમણે માત્ર એક વાર આ વાત ખુલીને સ્વીકારી હોત તો તેનાથી ઘણો ફરક પડ્યો હોત. આ વાત કહેતાં પહેલાં તેમણે કોમ્યૂનિટીની સલાહ લેવાની જરૂર હતી. કાયદો તમને તમારી સેક્સ્યૂઆલિટી સ્વીકારવા બદલ જેલમાં ન પૂરી શકે. આઇપીસી ની કલમ 377 ત્યારે જ લાગુ પડે જ્યારે કોઇ પુરૂષ અન્ય પુરૂષ સાથે જાતિય સંબંધ બાંધતો પકડાય.
હું શું છું એ મારે ચીસો પાડીને કહેવાની જરૂર નથી
'મારે લોકોને ચીસો પાડીને એ કહેવાની જરૂર નથી કે હું શું છું. લોકોને ખબર જ છે. પરંતુ જો ક્યારેક મને આ અંગે બોલવાની જરૂર પડી, તો પણ હું એ વાતનો ખુલીને સ્વીકાર નહીં કરી શકું, કારણ કે મને ખબર છે કે એવું કરતાં મારે જેલ જવું પડે એવું પણ બને. આથી જ હું કરણ જોહર, એ ત્રણ શબ્દો ક્યારેય નહીં બોલું, જે અંગે લગભગ બધા જ જાણે છે. મારા સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન વિશે સૌ કોઇ જાણે છે, એ અંગે હું શું કહું? અને જો ખુલીને કહી પણ દઉં તો એ માટે મને જેલ થઇ શકે છે. મેં જાહેરમાં મજાક મજાકમાં આ અંગે ઘણી હિન્ટ આપી છે, આ વાતનો મને કોઇ અફસોસ નથી.'
શાહરૂખ ખાન સાથેના સંબંધ અંગે
અભિનેતા શાહરૂખ ખાન સાથે તેમના સંબંધોને લઇને ઉડતી અફવાઓ અંગે પણ કરણ જોહરે વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'મારા અને શાહરૂખના સંબંધો અંગે વર્ષોથી અફવાઓ ઉડી રહી છે, જે મારા માટે ખૂબ દુઃખદ વાત છે. શાહરૂખ મારે માટે મારો મોટા ભાઇ કે પિતા સમાન છે અને આથી જ આવી અફવાઓથી મને વધુ દુઃખ થાય છે. એક હિંદી ચેનલના ઇન્ટરવ્યૂમાં મને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો અને એ વાત જે રીતે કહેવામાં આવી હતી, તેનાથી હું ગુસ્સે ભરાયો હતો. આથી એમના સવાલના જવાબમાં મે પણ સામે કંઇક એવો જ સવાલ કર્યો હતો કે, જો તમને આવો સવાલ પૂછવામાં આવે તો તમે શું કરશો? મારા આ સવાલ પર એ વ્યક્તિ ગુસ્સે થઇ ગયો હતો.'
કોઇ પણ સિંગલ પુરૂષ સાથે બહાર નથી જતો
'આવી અફવાઓને કારણે જ હવે તો હું એવા કોઇ પણ અપરિણિત પુરૂષ સાથે પબ્લિક પ્લેસ પર જવાથી બચું છું. જેથી કોઇ એવું ન સમજી લે કે મારો તે વ્યક્તિ સાથે કોઇ અણછાજતો સંબંધ છે. દુર્ભાગ્યની વાત છે કે, હું રોજ સવારે ઉઠીને સોશિયલ મીડિયા પર લગભગ 200 એવી પોસ્ટ જોઉં છું, જેમાં મારા માટે માત્ર ગાળો લખેલી હોય છે. લોકો મને દેશદ્રોહી, દગાબાજ કહે છે, દેશ છોડવાની સલાહ આપે છે. પરંતુ મને હવે આદત પડી ગઇ છે. ક્યારેક આ પ્રકારના હોમોફોબિયાના કારણે હું મનથી ભાંગી પડું છું. આમ છતાં, મારા અંગે ઉડેલી તમામ અફવાઓને મેં હેન્ડલ કરી છે.'
26 વર્ષની ઉંમરે ગુમાવી હતી વર્જિનિટી
આ પુસ્તકમાં કરણ જોહરે એ પણ ખુલાસો કર્યો છે કે તેમણે ક્યારે અને કઇ રીતે વર્જિનિટી ગુમાવી હતી. તેમણે કહ્યું છે કે, મેં 26 વર્ષની ઉંમરે વર્જિનિટી ગુમાવી હતી અને મારા માટે આ કોઇ ગર્વ કરવાની વાત નથી. 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' અને 'કુછ કુછ હોતા હે'ના નિર્માણ સમયે મારી પાસે આ અંગે વિચારવાનો સમય નહોતો. મારું વજન ઘણું વધારે હતું અને હુ ડિઝારેબલ પણ નહોતો. કુછ કુછ હોતા હૈ બાદ મેં પોતાના પર થોડું ધ્યાન આપવાનું શરૂ કર્યું, મેં વજન ઓછું કર્યું, મારા પહેરવેશ પર ધ્યાન આપ્યું અને પોતાને થોડા સ્માર્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો. તે પછી મારી સાથે એ ઘટના બની અને તે પણ વિદેશમાં.'
સંબંધ બનાવવો ખૂબ વ્યક્તિગત બાબત છે
'શારીરિક સંબંધ બાંધવો એ ખૂબ જ વ્યક્તિગત બાબત છે, આ ખૂબ વ્યક્તિગત ફિલીંગ છે. મારા માટે આ કોઇ કેઝ્યૂઅલ બાબત નથી. કોઇ પણ સંબંધ બનાવતા પહેલાં તમારે એ રિલેશનમાં ઇનવેસ્ટ કરવું પડે છે, એને જીવવું પડે છે. આ કોઇ એવી વાત નથી જે કોઇ પણ ગમે તેની સાથે કરી નાંખે. હું આ અંગે ખુલીને કંઇ નથી કહેતો તો એનો અર્થ એ છે કે હું મારા માટે, મારી કંપની માટે અને મારે માટે કામ કરતા લોકો માટે સંવેદનશીલ છું. મારી કંપનીમાં આજે સો થી વધુ લોકો કામ કરે છે. એ બધું છોડીને હું કોઇ એફઆઇઆર ના કે કોર્ટ કેસના ચક્કરમાં નથી પડવા માંગતો.'