Bad Points : એલિયન પીકેને પણ ચક્કર આવી જશે આ સવાલો સાંભળી!!!
મુંબઈ, 21 ડિસેમ્બર : તમે પીકે જોઈ? આમિર ખાન સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ પીકે રિલીઝ થઈ ગઈ. ફિલ્મને માત્ર દર્શકોનો જ નહીં, પણ ક્રિટિક્સનો પણ પ્રેમ મળી રહ્યો છે. જોકે ફિલ્મ બૉક્સ ઑફિસ કલેક્શનની બાબતમાં થોડીક પાછળ છે, પરંતુ દર્શકોને આકર્ષવામાં સફળ રહી છે. આમિર ખાનના શાનદાર અભિનયે ફિલ્મમાં જાન નાંખી દીધો છે. ધર્મ તથા જાત-પાતના નામે આપણે જે મૂર્ખતાપૂર્ણ ભેદભાવ કરીએ છીએ, તેને પીકે પડકાર ફેંકે છે.
જોકે ફિલ્મ અભિનયની બાબતમાં બહેતરીન હોવા છતા ક્યાંકને ક્યાંક એક ખામી છોડે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે પોતાની દરેક ફિલ્મમાં સામાજિક સંદેશ આપનાર રાજકુમાર હીરાણીએ કોશિશ સારી કરી છે, પરંતુ આ વખતે તેમનો સંદેશ દર્શકોના દિલો સુધી નથી પહોંચી શક્યો. પીકે ફિલ્મમાં અનેક જગ્યાએ લૉજિક પાછળ છોડી દેવાયું છે કે જેની અપેક્ષા કમ સે કમ આમિર-હીરાણી પાસેથી તો નહોતી. શું આપે વિચાર્યું છે કે ફિલ્મનું નામ પીકે જ કેમ? જ્યારે ફિલ્મનું નામ પીકેના સ્થાને ડીકે, રામ, શ્યામ, કંઈ પણ હોત, તો કોઈ ફરક નહોતો પડવાનો.
ખેર, હાલ તો આપને બતાવીએ પીકેની 8 એવી વાતો કે જે આપને નિરાશ કરશે અને જેનાથી સ્ટોરીનું બૅન્ડ વાગી ગયું :
પીકે કેમ?
ફિલ્મ રિલીઝ થતા પહેલા પીકે નામ અંગે એટલી સતર્કતા વર્તવામાં આવી કે જાણે તે કોઈ દેશની સમ્પત્તિ હોય, પણ રાજકુમાર હીરાણીને અમારો પ્રશ્ન રહેશે કે તેમણે પીકે નામે આટલુ હાઇપ કેમ બનાવ્યુ, જ્યારે એલિયનનું નામ પીકે, ડીકે, રામ, શ્યામ, કંઈ પણ હોત, તો શો ફરક પડત? આપને બતાવી દઇએ કે પીકે ફિલ્મની કોઈ થીમ નથી, પણ એલિયનનું પાત્ર પીકેનો ઉપયોગ માત્ર પોતાનો સંદેશ આપવા માત્ર માટે કરે છે. પીકે ધર્મ અને જાત-પાતના નામે ફેલાયેલ અંધવિશ્વાસને પડકારે છે.
લવ-સ્ટોરી તો ખતમ કરાવી દીધી, બાકીના જવાબ ક્યાં?
જગત જનની ઉર્ફે જગ્ગૂ અને સરફરાઝની લવ-સ્ટોરી રાજકુમાર હીરાણીએ ખૂબ જ ગંભીરતા સાથે શરૂ કરી અને થોડાક ડ્રામા સાથે ખતમ પણ કરાવી દીધી, પરંતુ શું પીકે પૃથ્વી પર માત્ર લવ-સ્ટોરી પૂર્ણ કરવા આવ્યો હતો. ખેર, દિગ્દર્શક મુજબ બાકી ધર્મ, જાતિ, તપસ્વી, બાબાઓ અંગે ઊભા કરાયેલા સવાલોના જવાબ આપ પોતે જ વિચારી લ્યો, કારણ કે અમને જવાબ અસરકારક ન લાગ્યાં.
હીરાણીની સેફ ગેમ
રાજકુમાર હીરાણીએ ફિલ્મમાં સવાલ બહુ મજબૂતી સાથે ઊભો કર્યો છે, પણ તેનો જવાબ આપવાની જગ્યાએ તેમણે દર્શકોને લાગણીઓમાં ગુંચવી દીધાં. ધર્મની વાત ઉઠાવી દિગ્દર્શકે જે સામાજિક સંદેશો આપવાની કોશિશ કરી, અફસોસ છે કે દર્શકો તેને ક્યારેય ઘરે નહીં લઈ જઈ શકશે. સાથે જ, જ્યારે આપણે ઓહ માય ગૉડમાં માણસ બનેલા પરેશ રાવલ પાસેથી આ વાતો સાંભળેલી જ છે,તો પછી કમ સે કમ દિગ્દર્શકે પોતની વાત પહોંચાડવાની કોઈ બીજી યુક્તિ શોધવી હતી.
સુશાંતનું કૉસ્ચ્યુમ તો ચેંજ કર્યું હોત
ભાઈ સુશાંત સિંહ રાજપૂતને ઇગ્નોર કેમ કર્યા દિગ્દર્શકે? હવે તેને રાજકુમાર હીરાણીની અવગણના કહીશું કે બીજુ કંઈ? ફિલ્મના પ્રારંભે સરફરાઝ ઉર્ફે સુશાંતે જે કૉસ્ચ્યુમ પહેર્યા છે, તેવા જ કપડાં ફિલ્મના અંતે વર્ષો બાદ પણ પહેરેલો દેખાય છે. આ ભૂલની અવગણના કરવી દિગ્દર્શક સામે સવાલ ઊભા કરે છે.
ટ્રેન બ્લાસ્ટ કેમ
ભૈરોસિંહને મારવાની ક્યાં જરૂર હતી ભાઈ? ફિલ્મમાં ટ્રેન બ્લાસ્ટનું સીન કંઇક એવુ હતું કે જાણે દિગ્દર્શકને સમજાયુ નહીં હવે શું કરવું છે? ટ્રેન બ્લાસ્ટ ન પણ થયો હોત, ભૈરોસિંહને ન પણ મરાવ્યો હોત, તો પણ ફિલ્મની વાર્તા આગળ વધી શકી હોત. સૉરી હીરાણી સાહેબ, પણ આ સીન નાંખી આપે માત્ર દર્શકોને ઇમોશનલ કરવાની જ કોશિશ કરી છે.
હવે માણસના વશમાં નથી દુનિયા?
ધર્મના નામે જે રીત-રિવાજ ચાલે છે, કથિત સંત-મહાત્મા જે લોકોને ઉલ્લૂ બનાવી રહ્યા છે, તેમના અંગે વાત કરે છે પીકે. પીકે છે એક એલિયન કે જે તમામ સવાલો ઊભા કરે છે. એમ તો તે છે ઇંટેલિજંટ એલિયન, પણ આ ફિલ્મ વડે શું એમ માનવું પડશે કે હવે દુનિયામાં ચાલતા ગોરખધંધાઓમાંથી માણસ પોતે બહાર નથી નિકળી શકતો? જે વાત કરોડોની પ્રજા નથી સમજી શકતી, તે એલિયન ઉઠાવી રહ્યો છે. જ્યારે આપને યાદ અપાવી દઇએ કે આવાજ સવાલો બે વર્ષ પહેલા ઓએમજીમાં પરેશ રાવલ ઉર્ફે કાનજીએ ઉઠાવ્યા હતાં, પણ કદાચ લોકોએ કાનજીનું ન સાંભળ્યું, તો દિગ્દર્શકે એલિયનનું કૉન્સેપ્ટ બનાવી નાંખ્યું.
ક્લાઇમૅક્સ મેલોડ્રામાટિક નહોતું?
ફિલ્મનો અંત થોડોક વધુ ડ્રામાટિક ન થઈ ગયો? મતલબ કયા ઑનઍર ડિબેટ શોમાં એંકરની પર્સનલ લાઇફ ડિસ્કસ કરાય છે? એટલુ જ નહીં, પણ તેની લવ-સ્ટોરીનો કિસ્સો આખુ દેશ સાંભળે છે, પાકિસ્તાન એમ્બેસીમાં પણ ફોન ઑનઍર લગાવી દેવાય છે અને પૂરી એંબેસી એક લવ-સ્ટોરીને પૂર્ણ કરવાનું કામ કરે છે. એટલે... વાર્તામાં લૉજિકનું તો બૅન્ડ જ વગાડી નાંખ્યુ છે દિગ્દર્શકે.
3 ઈડિયટ્સ ટચમાંથી બહાર નથી આવ્યાં
પીકેનું સંગીત સારૂ છે. બહુ સારૂ નથી. ક્યાંકને ક્યાંક ગીતોમાં આપને 3 ઈડિયટ્સના મ્યુઝિકની યાદ આવશે. અને આપને પ્રતીતિ પણ થઈ જશે કે ક્યારે આપ પીકેના ગીતોમાંથી નિકળી 3 ઈડિયટ્સના ગીતો ગણગણવા લાગ્યાં. શાન, શ્રેયા ઘોષાલ તથા સોનૂ નિગમ હંમેશા મુજબ કર્ણપ્રિય લાગ્યાં, પણ હટકે નહી.