"કરણ જોહર વિશે હું કોઇ વાત કરવા નથી માંગતી.."
હાલમાં જ કરણ જોહરે અજય દેવગણ પર અનેક આરોપ લગાવ્યા હતા અને હવે આખરે કાજોલે પણ આ અંગે ચુપ્પી તોડી છે.
એક સમય હતો જ્યારે બોલિવૂડમાં શાહરૂખ, કાજોલ અને કરણ જોહર ની ફ્રેન્ડશિપ ખૂબ વખણાતી હતી, કરણ કાજોલને પોતાના માટે લકી માનતો હતો. પરંતુ ગત વર્ષે દીવાળીમાં કરણ જોહર અને અજય દેવગણ ની ફિલ્મ બોક્સઓફિસ સામસામે આવ્યા બાદ જાણે કરણ અને કાજોલની મિત્રતાના સમીકરણો ફેરવાઇ ગયા.
અજય દેવગણ અને કરણ જોહર વચ્ચેનો અલગાવ વર્ષોથી જાહેર છે, આમ છતાં કરણ અને કાજોલની મિત્રતા પર એની અસર ક્યારેય જોવા નહોતી મળી. 'એ દિલ હે મુશ્કિલ' અને 'શિવાય' બોક્સઓફિસ પર સામસામે થયા બાદ કરણ જોહર અને કાજોલ વચ્ચેની મિત્રતા પર જાણે પૂર્ણવિરામ મુકાઇ ગયું. કરણ જોહરે પોતાની બાયોગ્રાફી અને તેના ઇન્ટરવ્યૂમાં આ વાત ખૂલીને સૌની સામે મૂકી દીધી હતી. હવે ફાઇનલી કાજોલે પણ આ વાતે ચુપ્પી તોડતાં પોતાના અને કરણ વચ્ચેના સંબંધોમાં ઊંડી તિરાડ પડી હોવાના સંકેત આપી દીધાં છે.
જ્યારે કાજોલને આ અંગે સાવલ પૂછવામાં આવ્યો તો તેણે આ સવાલનો જવાબ આપવાની ના પાડતાં કહ્યું કે, "સંબંધો નિભાવવા આમ પણ ખૂબ મુશ્કેલ હોય છે. માત્ર બોલિવૂડ જ નહીં, પરંતુ વ્યક્તિગત લાઇફમાં પણ સંબંધો નિભાવવા મુશ્કેલ હોય છે. કરણ જોહર સાથે જે થયું એ અંગે હું વાત કરવા નથી માંગતી."
અહીં વાંચો - કરણ જોહરનું પુસ્તક An Unsuitable Boy અને વિવાદ
કાજોલે થોડા જ શબ્દોમાં ઘણું કહી દીધું. ઉલ્લેખનીય છે કે, 'એ દિલ હે મુશ્કિલ' અને 'શિવાય'ની રિલિઝ વખતે અને તે બાદ કરણ જોહર અને અજય દેવગણે એકબીજા પર અનેક આરોપ લગાવ્યા હતા. કરણે પોતાની બાયોગ્રાફીમાં આ અંગે ખૂબ ખુલીને વાત કરી છે, જેના અંશો મીડિયામાં પણ છપાયા હતા.