કંગના રાણાવત: જે મારું છે એ હું લઇને જ રીહશ, કોઇ પણ ભોગે!
કંગના રાણાવતે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જે મારું છે એ હું લઇને જ રહીશ, લડીને કે ગમે તે ભોગે.
બોલિવૂડ ક્વીન કંગના રાણાવત પોતાના બિંદાસ અને બળવાખોર સ્વભાવ માટે જાણીતી છે. તેણે ઇન્ડસ્ટ્રીમાં જાતે પોતાની જગ્યા બનાવી છે, તે જે વિચારે એ જ બોલે છે. કંગનાએ કરણ જોહરના જ શોમાં તેને મોઢા પર બોલિવૂડમાં નેપોટિઝમના પ્રચારક કહ્યા હતા, આ બાબતે ઘણો વિવાદ થયો હતો. હવે પોતાની રિસન્ટ પ્રેસ કોન્ફરન્સમાં તેણે ફરી એકવાર પોતાના બિંદાસ સ્વભાવનો પરિચય આપ્યો છે.
નેગેટિવ રિમાર્ક્સ
પોતાના આવા સ્વભાવને કારણે કંગનાને ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર નેગેટિવ રિસ્પોન્સનો સામનો કરવો પડ્યો છે, ઘણા લોકોએ તેની આ આદતને વખોડી પણ છે. બુધવારે પોતાની આગામી ફિલ્મ 'સિમરન'ના ટ્રેલર લોન્ચમાં જ્યારે કંગનાને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે ઘણો સરસ જવાબ આપ્યો હતો.
કંગનાનો જવાબ
કંગનાએ કહ્યું હતું, 'મારી જર્ની ખાસી અલગ રહી છે. હું પ્રેસ કોન્ફરન્સ માટે અહીં આવી રહી હતી, ત્યારે મેં પોતાની જાતને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. શું ખરેખર મારી જર્ની અલગ છે કે પછી ખાલી મને જ એવું લાગે છે?'
રિબેલિયસ
'એક વાત તો ચોક્કસ છે, મારે કંઇ પણ મેળવવા સંઘર્ષ કરવો પડે છે, લડવું પડે છે. મને ખબર નથી, આવું શા માટે થાય છે. કદાચ આ જ મારું નસીબ છે અને મેં એ વાત સ્વીકારી લીધી છે. તમે લોકો કદાચ મને લડાકુ કે રિબેલ(બળવાખોર) કહેશો, પણ મને એમાં કોઇ વાંધો નથી.'
ક્વીન કંગના રાણાવત
'આ જેમ ચાલે છે એમ બરાબર જ ચાલે છે, મને એની સામે કોઇ વાંધો નથી. પણ જે મારું છે તે હું લઇને જ રહીશ, ભલે લડીને કે પછી બીજા કોઇ ભોગે.' કંગના રાણાવત હંમેશા દરેક નેગેટિવિટી સામે લડીને અને જીતીને ફરી ઊભી થાય છે.
સત્યઘટના પર આધારિત ફિલ્મ
કંગનાના બળવાખોર સ્વભાવે જ તેને ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ અને જગ્યા અપાવી છે. તે પોતે આ વાત છુપાવતી નથી કે પોતાના સ્વભાવની ખામીને નકારવાનો પ્રયત્ન નથી કરતી. કંગનાની આ ફિલ્મ 'સિમરન' સત્યઘટના પર આધારિત વાર્તા છે અને તેમાં કંગનાનું પાત્ર પણ કંઇ આવું જ છે.