નેપોટિઝમ ટિપ્પણી અંગે ક્વીન કંગનાએ આપ્યો સણસણતો જવાબ
આઇફા 2017માં વરુણ ધવન, કરણ જોહર અને સૈફ અલી ખાને કરેલ નેપોટિઝમ અને કંગના અંગેની ટિપ્પણી વિશે કંગના રાણાવતનો જવાબ
આ વખતના આઇફા 2017 એવોર્ડ્સ પર્ફોમન્સ કે વિનર્સ કરતાં વધારે કરણ જોહર, સૈફ અલી ખાન અને વરુણ ધવને કરેલ નેપોટિઝમની ટિપ્પણીને કારણે ચર્ચામાં રહ્યા. નેપોટિઝમ પર ટિપ્પણી કરવાની સાથે જ આ ત્રિપુટીએ કંગના રાણાવતની પણ ખિલ્લી ઉડાવી હતી. નોંધનીય છે કે, 'કોફી વિથ કરણ'ની લેટેસ્ટ સિઝનમાં કંગના અને સૈફ આવ્યા હતા, જ્યાં નેપોટિઝમ અંગેની ચર્ચમાં કંગનાએ કરણને બોલિવૂડમાં નેપોટિઝમના પ્રચારક કહ્યા હતા.
આ જ વાત યાદ રાખાની કરણ, સૈફ અને વુરણે આઇફાના સ્ટેજ પર કંગનાની મજાક ઉડાવી હતી. આ મુદ્દે સોશિયલ મીડિયા પર ત્રણેયની ખૂબ આલોચના થયા બાદ કરણ અને વરુણે માફી માંગી લીધી હતી. સૈફ અલી ખાને આ મુદ્દે ઓપન લેટર લખ્યો હતો. હવે કંગના રાણાવતે પણ આખરે ચુપ્પી તોડતાં એક ઓપન લેટર લખ્યો છે અને કંગનાનો જવાબ ખરેખર વાંચવા જેવો છે.
કંગનાએ પણ લખ્યો ઓપન લેટર
કંગના રાણાવતે પોતાના ઓપન લેટરમાં લખ્યું છે, 'નેપોટિઝમ પર થતી ચર્ચા-વિચારણા હેરાનગતિપૂર્ણ પરંતુ હેલ્ધી હોય છે. આ ચર્ચાના અલગ-અલગ પાસાને હું ઘણીવાર એન્જોય કરું છું, પરંતુ હાલમાં કેટલાક એવા પાસા મારી સામે આવ્યા છે જેનાથી મને અત્યંત દુઃખ થયું છે. આજે સવારે હું ઉઠી અને મેં જોયું કે, નેપોટિઝમ અંગેનો એક ઓપન લેટર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જે સૈફ અલી ખાને લખ્યો છે. આ પહેલાં કરણ જોહરે આ મુદ્દે એક બ્લોગ લખ્યો હતો અને આ અંગે પોતાના વિચારો એક ઇન્ટરવ્યુમાં પણ વ્યક્ત કર્યા હતા, જેને કારણે હું ખૂબ ડિસ્ટર્બ થઇ હતી. તેમણે કહ્યું હતું કે, ફિલ્મ બિઝનેસમાં આગળ વધવાના અનેક રસ્તા છે, જેમાં ટેલેન્ટનો સમાવેશ નથી થતો.'
મહાન આર્ટિસ્ટનું અપમાન
'મને ખબર નથી એમના ધ્યાનમાં આવ્યું કે નહીં, પરંતુ આવું કહીને તેમણે દીલિપ કુમાર, કે.આસિફ, બિમલ રોય, સત્યજીત રે, ગુરૂ દત્ત અને આવા ઘણા આર્ટિસ્ટના અસાધારણ ટેલેન્ટનું અપમાન કર્યું છે; જેમણે ફિલ્મોમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. આજે પણ એવા ઘણા લોકો ઇન્ડસ્ટ્રીમાં છે, જેમણે સાબિત કર્યું છે કે સફળ થવા માટે બ્રાન્ડેડ કપડાં, પોલિશ અંગ્રેજી ભાષા અને સુવ્યવસ્થિત ઉછેર કરતાં વધુ જરૂરી છે સખત મહેનત, શીખવાની તત્પરતા અને શુદ્ધ ઇચ્છાશક્તિ. દરેક ક્ષેત્રમાં આવા ઉદાહરણો તમને મળી રહશે. મારા પ્રિય મિત્ર સૈફે આ અંગે એક લેટર લખ્યો છે અને હું પણ આ અંગે મારા વિચારો રજૂ કરવા માંગુ છું. પરંતુ, લોકોને મારી નમ્ર વિનંતી છે કે, આને માત્ર વિચારોનું આદાન-પ્રદાન માનવામાં આવે, અમને એક-બીજાના વિરોધી માનવામાં ન આવે.'
નેપોટિઝમ માત્ર મારો પ્રોબ્લેમ નથી
'સૈફે પોતાના પત્રમાં લખ્યું છે કે, મેં કંગનાની માફી માંગી લીધી છે અને આ અંગે મને બીજા કોઇને સ્પષ્ટીકરણ આપવાની જરૂરિયાત નથી લાગતી. પરંતુ આ ખાલી મને કનડતો મુદ્દો નથી. નેપોટિઝમ એક એવી આદત છે, જ્યાં લોકો બૌદ્ધિક વૃત્તિના સ્થાને વર્તમાન માનવ લાગણીને ધ્યાનમાં રાખીને કામ કરે છે. મૂલ્યોની જગ્યાએ માનવ લાગણીઓ ધ્યાનમાં રાખીને થતો બિઝનેસ કદાચ સુપરફિશિયલ પ્રોફિટ કરાવતો હશે, પરંતુ તે સાચા અર્થમાં પ્રોડક્ટિવ નથી અને 1.3 બિલિયન લોકોની વસતી ધરાવતા દેશનું સામર્થ્ય દર્શાવવા સમર્થ પણ નથી. વિવિધ સ્તરે નેપોટિઝમ નિષ્પક્ષતા અને તર્કોની પરીક્ષામાં નિષ્ફળ જાય છે. વિવેકાનંદ, આઇન્સ્ટાઇન અને શેક્સપિયર જેવી મહાન હસતીઓ અને તેમના વિચારો માત્ર કેટલાક સિલેક્ટેડ લોકો માટે નથી. તેમના મૂલ્યો પર કોઇનો કોપીરાઇટ નથી, તે તો સર્વ માટે સદા ઉપલબ્ધ છે. તેમના કાર્યએ આપણા ભવિષ્યને ઓપ આપ્યો છે અને આપણું કાર્ય આવનારી પેઢીના ભવિષ્યને ઓપ આપશે.'
ભવિષ્યના ઘડવૈયા
'આજે મારી પાસે એટલી તાકાત છે કે હું આ મૂલ્યો માટે ઊભી રહી શકું છું, પરંતુ કાલે કદાચ મારામાં આ તાકાત નહીં હોય. બની શકે કે, કાલે કદાચ હું મારા બાળકોને તેમના સ્ટારડમના સપનાં અંગેની સાચી સમજ ન આપી શકું. જો આમ થયું, તો એક વ્યક્તિ તરીકે હું નિષ્ફળ જઇશ. પરંતુ મૂલ્યો ક્યારેય નિષ્ફળ જતા નથી, તે હંમેશા આપણી સાથે અને આપણા પછી પણ પૂરી તાકાતથી ઊભા થાય છે. તો આપણે એ તમામ લોકો જેઓ આ મૂલ્યોને અપનાવવા માંગે છે, એમને આ અંગે સ્પષ્ટીકરણ આપવાની જરૂર છે. કારણ કે, મેં કીધું એમ આપણા કાર્યોથી આવનારી પેઢીનું ભવિષ્ય ઘડાશે.'
આર્ટિસ્ટ અને રેસના ઘોડાની તુલના?
'તમારા(સૈફ અલી ખાનના) પત્રમાં તમે સ્ટાર કિડ્સ અને જેનેટિક્સના સંબંધ અંગે લખ્યું છે કે, એક રીતે નેપોટિઝમ એ પ્રોડ્યૂસર્સનું ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ જિન્સ પર કરવામાં આવેલ ઇનવેસ્ટમેન્ટ છે. મેં પણ લાઇફમાં ક્યારેક જેનેટિક્સ અંગે ઊંડો અભ્યાસ કર્યો છે. પરંતુ, મને એ નથી સમજાતું કે તમે રેસમાં દોડતા જેનેટકલી હાઇબ્રિડ ઘોડાને આર્ટિસ્ટ સાથે કઇ રીતે સરખાવી શકો? શું તમે એમ કહેવા માંગો છો કે, આર્ટિસ્ટિક સ્કિલ્સ, સખત મહેનત, એકાગ્રતા, ઉત્સાહ, તત્પરતા, ડિસિપ્લિન અને પ્રેમ, આ બધા ગુણો ફેમિલી જિન્સ થકી માણસમાં આવે છે? જો તમારી આ વાત સાચી હોત, તો હું અત્યારે મારા ઘરમાં ખેતીકામ કરતી હોત. મને આશ્ચર્ય થાય છે કે, મારા જિન-પુલમાંથી કયા જિન્સે મને મારી આસપાસના વાતાવરણને ઓળખી મને મારી ઇચ્છા અનુસારનું કરિયર પસંદ કરવાની પ્રેરણા આપી!'
મહાનતા અને ઉત્કૃષ્ટતા જેનેટિક્સ ન શીખવાડી શકે
'તમે યુજિનિક્સ અંગે પણ વાત કરી હતી, જેનો અર્થ છે માનવ જાતિના પ્રજનનને નિયંત્રિત કરવું. પરંતુ મને વિશ્વાસ છે કે, હજુ સુધી માનવ જાતિમાં પણ એવા ડીએનએની શોધ નથી થઇ, જે મહાનતા અને ઉત્કૃષ્ટતા પેઢી દર પેઢીમાં આગળ વધારી શકે. જો એવું હોય તો આપણે સૌ આઇન્સ્ટાઇન, દ વિંચી, શેક્સપિયર, વિવેકાનંદ, સ્ટીફન હૉકિંગ, ટેરેંસ તાઓ વગેરેની મહાનતાના ફરી દર્શન કરવા માંગીશું. તમે એમ પણ કહ્યું હતું કે, મીડિયા નેપોટિઝમનું પ્રચારક છે. આ એક અપરાધ સમાન લાગે છે અને તથ્યથી ઘણું દૂર છે. નેપોટિઝમ એ માનવ સ્વભાવની નબળાઇ છે. એનાથી છૂટકારો મેળવવા માટે મજબૂત ઇચ્છાશક્તિની જરૂર પડે છે, ક્યારેક આપણે તેમાં સફળ થઇએ છીએ, ક્યારેક નથી થતા. તમને વિશ્વાસ ન હોય એવા ટેલેન્ટને હાયર કરવા માટે કોઇ તમારા માથે બંદૂક નથી મૂકતું. આથી તેમની પસંદગી અંગે તેમનો બચાવ કરવાની જરૂર નથી.'
પ્રિવિલેજ્ડ વ્યક્તિઓનો વાંક નથી
'વાસ્તવમાં મારી આ તમામ વાતો પાછળનો હેતુ બાહરના લોકોને આ ઓછો જાણીતો રસ્તો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.(વિના ઓળખાણે સંઘર્ષ કરી સફળતા મેળવવાનો રસ્તો) ધાક-ધમકી, બળતરા, નેપોટિઝમ વગેરે આ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છે. જો તમને મેઇન સ્ટ્રીમમાં સફળતા નથી મળતી, તો ઓફ બીટમાં નસીબ અજમાવો. આજે તો અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. આ ડીબેટમાં કહી શકાય કે, અહીં પ્રિવેલેજ્ડ વ્યક્તિઓનો સૌથી ઓછો વાંક છે, કારણ કે તેઓ ચેઇન રિએક્શનની આસપાસે સેટ થયેલ આ સિસ્ટમનો એક ભાગ છે. પરિવર્તન માત્ર એ લોકો લાવી શકે, જે ખરેખર પરિવર્તનની ઇચ્છા રાખતા હોય. આ સપનાં જોનારનો વિશેષાધિકાર છે, જેઓ પોતાની મહેનતે આગળ આવે છે અને કોઇ મદદ નથી માંગતા.'
આશાના પ્રચારક
'તમારી વાત સાચી છે, લોકોના મનમાં ફેમસ અને પોપ્યુલર લોકોની જિંદગીને જોવા-જાણવાની ઘણી ઇચ્છા હોય છે. પરંતુ આપણે ભૂલીએ છીએ કે, આપણેને આ પ્રેમ સામાન્ય જિંદગી જીવતા દેશવાસીઓ તરફથી મળે છે, કારણ કે આપણે તેમના અરીસા સમાન છીએ - 'ઓમકારા'નો લંગડા ત્યાગી હોય કે 'ક્વીન'ની રાની, સામાન્ય માણસોની જિંદગીને અસામાન્ય રીતે રજૂ કરવા બદલ આપણને આ પ્રેમ મળે છે.'
'તો શું આપણે નેપોટિઝમને અપનાવી લેવું જોઇએ? જે લોકોને લાગે છે કે, આ તેમના માટે કામનું છે એ નેપોટિઝમને અપનાવી શકે છે. મારા મતે એક ત્રીજું વિશ્વ, જ્યાં લોકોને ખોરાક, કપડા, મકાન, ભણતર જેવી જીવન જરૂરિયાતની બાબતો માટે પણ સંઘર્ષ કરવો પડે છે; તેમના માટે નેપોટિઝમ ઘણું નિરાશાજનક છે. તેમનું વિશ્વ એક આદર્શ વિશ્વ નથી. તેમના માટે જ આ આર્ટ ઇન્ડસ્ટ્રી છે. એક રીતે આપણે સૌ એમના માટા આશાના પ્રચારક છીએ.'