'રાબતા' મેકર્સ જીત્યા કેસ, સાહિત્ય ચોરીનો હતો આરોપ
તેલુગૂ ફિલ્મ મગધીરાના મેકર્સે રાબતાના મેકર્સ પર સાહિત્ય ચોરીનો કેસ કર્યો હતો, આ કેસ રાબતા ફિલ્મમેકર્સ જીતી ગયાં છે.
સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનનની ફિલ્મ 'રાબતા' શુક્રવારે થિયેટરમાં રિલીઝ થવા તૈયાર છે. આ ફિલ્મની રિલીઝ આડે જો કે એક મોટી મુસીબત હતી, જે દૂર થઇ ગઇ છે. થોડા દિવસો પહેલાં તેલુગૂ ફિલ્મ 'મગધીરા'ના મેકર્સે આ ફિલ્મના મેકર્સ પર સાહિત્ય ચોરીનો આરોપ મુક્યો હતો. તેમનું કહેવું હતું કે, 'રાબતા' ફિલ્મ 'મગધીરા'ની કોપી છે. આ આરોપ હેઠળ 'રાબતા'ના મેકર્સ પર કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો.
ફિલ્મ 'મગધીરા'ના પ્રોડ્યૂસર અલ્લૂ અરવિંદે કહ્યું હતું કે, તેમની ફિલ્મનો યૂનિક આઇડિયા અને પ્લોટ 'રાબતા' મેકર્સે ચોર્યો છે. તેમણે હૈદ્રાબાદ કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો. બોલિવૂડ ફિલ્મોના રસિયાઓ માટે ખુશખબર એ છે કે, 'રાબતા'ના ફિલ્મમેકર્સ આ કેસ જીતી ગયાં છે. કોર્ટમાં આ કેસની સુનવણી દરમિયાન 5 કલાક દલીલો થઇ હતી. અંતમાં સાબિત થઇ શક્યું કે, 'મગધીરા' અને 'રાબતા' ફિલ્મની સ્ટોરીલાઇન અને સ્ક્રિપ્ટમાં ઘણું અંતર છે. ટી-સિરીઝના વકીલ અંકિત રેલને જાતે આ જાણકારી આપી છે.