ઓમ પુરી જ નહિ આ સિતારાઓના મોતના રહસ્ય પણ હજુ અકબંધ
અભિનેતાઓ અને અભિનેત્રીઓના મોત ક્યારેય ના ઉકેલાય તેવા રહસ્ય બની જવાનો સિલસિલો ઘણો જૂનો છે. ગ્લેમરની આ દુનિયામાં ઘણા એવા નામો છે જેની સાથે છેલ્લા સમયે શું બન્યુ હતુ તે ક્યારેય ખબર પડી નહિ...
ઓમ પુરીના મોતે ફિલ્મી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. દુનિયાભરમાં તેના ચાહકો શોકમાં છે. 66 વર્ષના ઓમ પુરીના મોતથી વધુ એક બીજો સવાલ તેમના પ્રશંસકોને પરેશાન કરી રહ્યો છે અને તે એ કે છેલ્લી રાતે તેમની સાથે એવુ શું બન્યુ હતુ જેની સવાર ઓમ પુરી માટે મોત લઇને આવી. અભિનેતાઓ અને અભિનેત્રીઓના મોતના રહસ્ય ક્યારેય ન ઉકેલાવાનો સિલસિલો ઘણો જૂનો છે. ગ્લેમરની આ દુનિયામાં એવા ઘણા નામો છે જે અચાનક જતા રહ્યા પરંતુ છેલ્લા સમયમાં તેમની સાથે શું બન્યુ હતુ તે ક્યારેય ખબર પડી શકી નહિ.
ઓમ પુરીનું મોત બન્યુ રહસ્ય
6 જાન્યુઆરી શુક્રવારની સવારે ઓમ પુરી પોતાના ફ્લેટમાં મૃત હાલતમાં જોવા મળ્યા. ઓમ પુરીના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવ્યુ છે પરંતુ પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં પણ મોતનું કારણ સ્પષ્ટ થઇ શક્યુ નથી. ઓમ પુરીનું શરીર કિચન પાસે નગ્ન હાલતમાં મળી આવ્યુ હતુ. તેમના મૃતદેહ પાસે બહુ જ ગંદકી હતી અને તેમના માથામાં દોઢ ઇંચનો ખાડો હતો. જે મોત પાછળની કંઇક અલગ જ કહાની કહી રહ્યા છે. એવામાં ઓમ પુરીનું મોત એક રહસ્ય બનતુ જાય છે.
આખરે શું બન્યુ હતુ બાલિકાવધુની આનંદીની સાથે
ગયા વર્ષે 1 એપ્રિલના રોજ ટીવીની દુનિયા પર રાજ કરી રહેલ પ્રત્યુષા બેનર્જીના મોતના સમાચારે ગ્લેમરની દુનિયાને હચમચાવી દીધી. જાણીતી સીરિયલ બાલિકાવધૂમાં આનંદીની ભૂમિકા નિભાવીને ઘર-ઘરમાં પ્રખ્યાત પ્રત્યુષા વિશે જણાવવામાં આવ્યુ કે તેણે આત્મહત્યા કરી છે પરંતુ જેમ જેમ તપાસ થઇ તેમતેમ ઘણી વાતો સામે આવતી ગઇ. ક્યારેક તેના બોયફ્રેંડ પર શક વધતો ગયો તો ક્યારેક કોઇ ત્રીજા શખ્સ પર. નવ મહિના બાદ પણ આજે તેની મોત પાછળની કહાનીઓ તો સેંકડો છે પરંતુ મોત પહેલા તેમની સાથે વાસ્તવમાં શું બન્યુ હતુ અને ત્યાં કોણ હાજર હતુ? આ સવાલોના જવાબ મળ્યા નથી.
શું સૂરજ પંચોલી હતો જિયા ખાનની મોત માટે જવાબદાર
અભિતાભ બચ્ચન સાથે ફિલ્મ 'નિ:શબ્દ' થી કેરિયરની શરુઆત કરનાર અભિનેત્રી જિયા ખાન વિશે જૂન 2013 માં અચાનક સમાચાર આવ્યા કે તેણે આત્મહત્યા કરી લીધી. તે પોતાના ફ્લેટમાં પંખામાં લટકેલી હાલતમાં મળી આવી. 25 વર્ષની દીકરીના શરીરને જોયા બાદ તેની મા એ ઘણા સવાલો ઉભા કરી દીધા અને તેને એક હત્યા બતાવી. તેણે આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીને આના માટે જવાબદાર ગણાવ્યો. સૂરજ પર જિયાને આત્મહત્યા માટે ઉકસાવવાનો કેસ ચાલી રહ્યો છે. જિયાના મોતની સચ્ચાઇ પર પણ આ કેસની ફાઇલોની જેમ ધૂળ ચડી રહી છે.
બોલીવુડમાં સૌથી જલ્દી સ્ટાર બનેલી દિવ્યા ભારતીની છેલ્લી રાત
90 ના દશકમાં દિવ્યા ભારતીએ ફિલ્મ ઇંડસ્ટ્રીમાં ધમાલ મચાવી દીધી હતી. તેણે એક પછી એક હિટ ફિલ્મો આપી. દરેક નિર્દેશક તેની સાથે કામ કરવા ઇચ્છતા હતા. જ્યારે 5 એપ્રિલ 1993 માં મુંબઇના વરસોવા સ્થિત તુલસી એપાર્ટમેંટના 5 માં માળેથી પડીને તેનું મોત થઇ ગયુ ત્યારે તે માત્ર 19 વર્ષની હતી. આજ દિન સુધી એ રહસ્ય અકબંધ છે કે તેણે આત્મહત્યા કરી કે તેની હત્યા થઇ કે તે કોઇ દુર્ઘટનાનો શિકાર બની.
પરવીનબાબી બે દિવસ સુધી પોતાના ઘરમાં મૃત પડી રહી
70 ના દશકમાં પોતાના અભિનય અને બોલ્ડ ભૂમિકાઓથી સૌને દિવાના બનાવનાર અભિનેત્રી પરવીન બાબી છેલ્લા સમય સુધી કેટલી તકલીફોથી પસાર થઇ તે કોઇને ખબર નહોતી. જ્યારે તેના પડોશીઓએ જોયુ કે ફ્લેટની બહાર બે દિવસથી છાપા અને દૂધના પેકેટ પડ્યા છે ત્યારે પરવીન બાબીના મોતની જાણ થઇ. દરવાજો ખોલવામાં આવ્યો તો તેના મૃતદેહની હાલત પણ બહુ ખરાબ હતી. તે બે દિવસ પહેલા જ દમ તોડી ચૂકી હતી.
ખોવાયેલા ભાઇઓને મળાવનાર પોતે જ ખોવાઇ ગયો
હિન્દી સિનેમામાં બે ભાઇઓને બાળપણમાં વિખૂટા પડવાના અને યુવાનીમાં મળાવવાના ફોર્મ્યુલા પર ઘણી હિટ ફિલ્મો આપનાર મનમોહન દેસાઇનું મોત આજ સુધી રહસ્યમય બની રહ્યુ છે. અમર અકબર એંથની, કુલી અને પરવરિશ જેવી હિટ ફિલ્મો બનાવનાર મનમોહન દેસાઇ મુંબઇ સ્થિત પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. કેટલાક લોકોનું કહેવુ હતુ કે મનમોહને આત્મહત્યા કરી હતી તો કેટલાકે તેને હત્યા પણ કહી. હકીકત શું હતી તે આજ સુધી ખબર પડી નથી.