'ધ કપિલ શર્મા શો'માં આ કોમેડિયનની થઇ છે વાપસી!!
ચંદન પ્રભાકર 'ધ કપિલ શર્મા શો' પર પરત ફર્યા છે.
કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના વિવાદ બાદ 'ધ કપિલ શર્મા શો'ની ટીમ ખૂબ ચર્ચામાં છે. સુનીલ ગ્રોવર હાલ કૃષ્ણા અભિષેક સાથેના નવા શો 'ડ્રામા કંપની'ને લઇને ચર્ચામાં છે. કપિલ શર્મા પોતાની ટીઆરપી અને તબિયતને લઇને ચર્ચામાં છે. કપિલના શોમાં નાનીનું પાત્ર ભજવતા અલી અસગર 'સુપરનાઇટ વિથ ટ્યૂબલાઇટ'ના મહા-એપિસોડને કારણે ચર્ચામાં હતા. આ બધા વચ્ચે કપિલના નાનપણના મિત્ર અને શોમાં ચંદુ ચાયવાલાનું પાત્ર ભજવનાર ચંદન પ્રભાકર અચાનક સમાચારમાં ચમકવા લાગ્યા છે.
ચંદન પ્રભાકરની વાપસી
જી હા, ચંદન પ્રભાકરે કપિલ શર્માના શોમાં પરત ફરવાનો નિર્ણય લીધો છે. ચંદને પોતાની લાઇવ ફેસબૂક ચેટમાં આ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કપિલની મિત્રતા મારા સન્માનથી વધુ મોટી નથી. ઉલ્લેખનીય છે કે, કપિલ-સુનીલના ફ્લાઇટના બહુચર્ચિત ઝગડા બાદ અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રાએ પણ કપિલનો શો છોડી દીધો હતો.
એપિસોડનું શૂટિંગ પણ પૂર્ણ
ચંદન પ્રભાકરે 'ધ કપિલ શર્મા શો'માં ફરી એન્ટ્રી મારી છે અને તેમણે પોતાના પહેલા એપિસોડનું શૂટિંગ પણ પૂર્ણ કરી લીધું છે. સેટ પરની કપિલ અને ચંદનના રિયુનિયનની સુંદર તસવીર કીકૂ શારદાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે, જે હાલ ખૂબ વાયરલ થઇ રહી છે.
|
કીકૂની ઇમોશનલ પોસ્ટ
કપિલ શર્મા અને ચંદન પ્રભાકરનો સેટ પરનો આ સુંદર ફોટો પોસ્ટ કરતાં કીકૂએ ખાસો ઇમોશનલ મેસેજ પણ લખ્યો છે. તેમણે લખ્યું છે, જમાનાથી નહીં, પરંતુ લાગણીઓ સાથે બંધાયેલા સંબંધો ખાસ હોય છે. ચંદન પ્રભાકરની વાપસીવાળો એપિસોડ આવતા અઠવાડિયે ટેલિકાસ્ટ થશે.
કીકૂએ ના છોડ્યો સાથ
સુનીલ-કપિલ વિવાદ બાદ અન્ય ટીમ મેમ્બરે ભલે કપિલની ટીમ છોડી દીધી હોય, પરંતુ કીકૂ શારદાએ કપિલ શર્માનો સાથ આપ્યો હતો. કપિલ-સુનીલના વિવાદ બાદ કપિલ સેટ પર બધા લોકો સાથે ગેરવર્તણૂક કરતા હોવાની વાતો બહાર આવી હતી, ત્યારે કીકૂએ કહ્યું હતું કે, કપિલે મને ક્યારેય કંઇ નથી કીધું.
સુમોનાએ આપ્યો સાથ
સુમોના ચક્રવર્તી પણ કપિલ શર્મા શોમાં જોવા મળી રહી છે. સુમોનાએ ડેલી સોપથી પોતાનું કરિયર શરૂ કર્યું હતું, પરંતુ તેને ખરી લોકપ્રિયતા કપિલના શોથી મળી છે. અન્ય ટીમ મેમ્બર્સે શો છોડ્યા બાદ સુમોના અને કીકૂ શારદા પર જવાબદારી વધી ગઇ હતી.
અલી અસગર
અલી અસગર ટીવીનો જાણીતો ચહેરો છે, તે અનેક સિરિયલ અને કોમેડી શોમાં જોવા મળ્યા છે. 'કહાની ઘર ઘર કી' સિરિયલમાં કમલના પાત્રથી તેઓ ઘર-ઘરમાં જાણીતા થયા હતા. ત્યાર બાદ 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ' અને 'ધ કપિલ શર્મા શો'થી તેમને ફરી એવી લોકપ્રિયતાને સ્વાદ ચાખવા મળ્યો હતો. રિસન્ટલી એક ઇવેન્ટમાં પહોંચેલ અલીએ પોતાના શો છોડવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે, મને કપિલ તરફ કોઇ ગુસ્સો કે ફરિયાદ નથી, મને એની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. કપિલની ટીમ અને મારી વચ્ચે ક્રિએટિવ ડિફરન્સ હતા, જેને કારણે મેં શો છોડ્યો છે.
સુનીલ ગ્રોવરની ચિંતા
કપિલ શર્માનો શો છોડ્યા બાદ સતત સુનીલના નવા શોની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. જો કે, પોતાનો શો ચાલુ કરવો એટલી સરળ વાત પણ નથી. પહેલા પણ તેમણે પોતાના લોકપ્રિય પાત્ર ગુત્થીને લઇને નવો શો લોન્ચ કર્યો હતો, પરંતુ ખૂબ જ ઓછા સમયમાં એ શો ઓફ એર થઇ જતાં તેમણે કપિલના શોમાં વાપસી કરી હતી. હાલ તેઓ લાઇવ શોમાં વ્યસ્ત છે અને કૃષ્ણા અભિષેક સાથે તેઓ નવા શોમાં જોવા મળશે એવી ચર્ચાઓ ચાલી રહી છે.