જાણીતા ગુજરાતી અભિનેતા જગદીશ ઠાકોરનું નિધન
જાણીતા ગુજરાતી અભિનેતા અને ગાયક જગદીશ ઠાકોરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા અને ગાયક જગદીશ ઠાકોરનું જન્માષ્ટમીના રોજ હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. બુધવારે તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં ઠાકોર સમાજ સહિત ગુજરાતી ફિલ્મ ક્ષેત્રના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. તેઓ જન્માષ્ટમી ઉજવવા માટે પોતાના વતન બલાસણા ગયા હતા. જન્માષ્ટમીના દિવસે સવારે અચાનક જ તેમને હૃદયરોગનો હુમલો આવતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરતાં પરિવાર શોકમગ્ન થઇ ગયો હતો. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. જગદીશ ઠાકોરની ઉંમર માત્ર 36 વર્ષ હતી.
તેઓ ગુજરાતી ફિલ્મો ઉપરાંત ડાયરા અને આલ્બમના ગાયક તથા ગીતકાર તરીકે પણ પ્રસિદ્ધ હતા. તેમણે લગભગ 200 આલ્બમ બહાર પાડ્યા હતા. જદગીશ ઠાકોર ગુજરાતી ફિલ્મોના એક્શન કિંગ કહેવાતા હતા. ખૂબ નાની વયે સફળતાનો સ્વાદ ચાખનાર જગદીશ ઠાકોર સરળ સ્વભાવના અને ઉમદા કલાકાર તરીકે જાણીતા હતા. તેમણે 50 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.