સોમનાથમાં શિવરાત્રિ મેળો : 15 લાખ ભાવિકો દર્શન કરશે
પાંચ દિવસ ચાલનારા શિવરાત્રિના મેળાનો પ્રારંભ થવાની સાથે જ ભકિત, ભજન અને ભોજન પણ શરૂ થતા ભારે ધાર્મિક માહોલ ઉભો થયો હતો. મિની કુંભ તરીકે ભાવિકોમાં જાણીતા ભવનાથ મહાદેવના મંદિરની આસપાસ ભરાતા મહાશિવરાત્રિના મેળામાં પહેલા જ દિવસે રેકૉર્ડ બ્રેક ભાવિકો આવ્યા હતા અને મેળાની સાથોસાથ અંદાજે પોણા ત્રણ લાખ ભાવિક ભક્તોએ ભવનાથ મહાદેવનાં દર્શનનો લાભ લીધો હતો. મેળાને લઈને ભાવિકોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે જૂનાગઢ ઉપરાંત પોરબંદર, અમરેલી અને ભાવનગર જીલ્લાની પોલીસને તૈનાત કરવામા આવી છે. મેળા દરમિયાનની દરેક હિલચાલ પર નજર રહે તે માટે સીસીટીવી કેમેરા દ્વારા મોનીટરીંગ પણ હાથ ધરવામાં આવ્યુ છે.
મેળો શરૂ થતાની સાથે જ તળેટી ખાતે વિવિધ જ્ઞાતિઓ, સમાજો, સંસ્થાઓ, સેવાભાવી મંડળો, ધાર્મિક જગ્યાઓ વગેરે ખાતે ભાવિકો માટે ઉતારા, ચા-પાણી અને ભોજન સહિતની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે.મેળા દરમિયાન ભાવિકોને પીવાનું પાણી, આરોગ્ય વગેરે સુવિધા મળી રહે તે માટે વહીવટી, મનપા અને વનતંત્ર દ્વારા સુઘડ ગોઠવણ કરવામાં આવી છે.
ગત વર્ષે મેળા દરમ્યાન સર્જાયેલી દુઘર્ટનાને લક્ષમાં રાખી જુનાગઢમાં ભરડાવાવથી પ્રવેશ પાસ વગરના વાહનોને ભવનાથ આવવા-જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી બાજુ એસ.ટી. નિગમ અને રેલ્વે દ્વારા આજથી ભાવીકો માટે વિશેષ પરિવહન સેવા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત શહેરમાં જુદા જુદા મુખ્ય વિસ્તારો ખાતેથી પીકઅપ સ્ટેન્ડ પણ એસ.ટી. દ્વારા શરૂ કર્યા છે.
પાંચ દિવસના મેળાનું મુખ્ય આકર્ષણ મહા શિવરાત્રીની રાત્રે એટલે આગામી રવિવારની રાત્રે નીકળનારૂં દિગંમ્બર સાધુઓનું સરઘસ-રવેડી છે. જેને નિહાળવા અને સંત-મહાત્માઓના દર્શન-આશીર્વાદ માટે સવારથી જ ગીરી તળેટીમાં ભાવીકો આસન જમાવી દેશે.
આ ઉપરાંત બાર જ્યોતિર્લિંગ પૈકી એક સોમનાથ ખાતે સોમનાથ મહાદેવનું મંદિર મહાશિવરાત્રિની રાત આખી ખુલ્લું રહેશે. શિવરાત્રિએ અંદાજે એક લાખથી વધુ ભાવિકો દર્શન કરતા હોય છે. ભાવિકોને તકલીફ ન પડે અને મહાદેવનાં દર્શન કર્યા વિના તેમણે પાછા ન જવું પડે એ હેતુથી મંદિર ખુલ્લું રાખવામાં આવે છે. રવિવારે રાત્રે બાર વાગ્યા સુધી ચાલનારા આ મેળામાં પંદર લાખથી વધારે લોકો આવશે એવી શક્યતા છે. મહાશિવરાત્રિના મેળા માટે ગુજરાત સરકારે બે ટ્રેન અને અલગ-અલગ શહેરોને ચૌદ બસ ફાળવી છે, જે ગયા વર્ષ કરતાં લગભગ બમણી છે.