અમદાવાદઃ રાજપાલ શાહે સુનીલ પર દાખલ કર્યો છેતરપિંડીનો કેસ
અમદાવાદમાં લાઇવ શોના મામલે સુનીલ ગ્રોવર પર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. સુનીલ ગ્રોવરે આ આખા મામલે પોતાની સફાઇ આપી છે.
ધ કપિલ શર્મા શોના એક્ટર્સ સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા આજકાલ સતત વિવાદોથી ઘેરાયેલા રહે છે. સુનીલ ગ્રોવર હવે એક લાઇવ શોના કારણે વિવાદમાં ફસાયેલા છે. અમદાવાદની ઇવેન્ટ કંપનીના માલિક રાજપાલ શાહે સુનીલ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે.
શું છે આરોપ?
રાજપાલ શાહનો આરોપ છે કે, સુનીલના મેનેજર અને તેમની મેનેજમેન્ટ કંપનીના માલિક દેવાંગ શાહે સુનીલ ગ્રોવરના લાઇવ શો માટે તેમને વાયદો કર્યો હતો. પરંતુ સુનીલે આ વાયદો તોડતાં અમદાવાદમાં બીજા લોકેશન પર લાઇવ શોનું આયોજન કર્યું, જેની પાછળનું કારણ હતું વધુ ફી.
સુનીલનો પક્ષ
આ આરોપ સામે સુનીલ ગ્રોવર તરફથી સ્પષ્ટતા કરતાં દેવાંગ શાહે(મેનેજમેન્ટ કંપનીના માલિક) કહ્યું કે, અમે 20 મેના રોજ સુનીલના લાઇવ શોનું આયોજન કરી શકીએ એમ નહોતા. એ દિવસે પહેલેથી જ એક શો હતો. રાજપાલ 27 મેના રોજ શો કરાવવા માંગતા હતા, પરંતુ સુનીલના હેક્ટિક શેડ્યૂલને કારણે એ શક્ય નહોતું. અમે તેમની 10 લાખ રૂપિયાની એડવાન્સ ફી પણ પાછી આપી દીધી હતી, આથી છેતરપિંડીનો કોઇ કેસ જ નથી.
કોર્ટમાં છે મામલો
આમ છતાં, આ કેસ કોર્ટમાં પહોંચી ચુક્યો છે. ઇવેન્ટ કંપનીની ફરિયાદ બાદ મેટ્રો કોર્ટે કલમ 202 હેઠળ અમદાવાદ નારાયણ પોલીસને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. હાલ 27 મેના રોજ યોજાયેલ શો અટકી પડ્યો છે.
સુનીલ ગ્રોવરનું નિવેદન
સુનીલ ગ્રોવરે જણાવ્યું કે, 'આ મારી ભૂલ નથી. રાજપાલે શોની ડેટમાં પરિવર્તન કરવા જણાવ્યું હતું, કારણે કે જે દિવસે શો ફાઇનલ થયો હતો એ દિવસે રાજપાલ હાજર રહી શકે એમ નહોતા.' મેનેજમેન્ટ કંપનીના માલિક દેવાંગનું કહેવું છે કે, શોના ડેટ્સનો મેળ ન પડતાં અમે ટોકન અમાઉન્ટ રીટર્ન કરી દીધી હતી, અમાઉન્ટ રાજપાલના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ત્યાં સુધી બધુ બરાબર હતું, પરંતુ ત્યાર બાદ રાજપાલે હેરેસિંગ કોલ્સ કરવાનું શરૂ કર્યું.
શું કહેવું છે રાજપાલ શાહનું?
આ અંગે વાત કરતાં રાજપાલે કહ્યું કે, મેં ફેસબૂક પર સુનીલના શો 'ધ કોમેડી ફેમિલી શો'નું પોસ્ટર જોયું હતું, જે 27 મેના રોજ અમદાવાદમાં યોજાનાર હતો. એ પોસ્ટર જોઇને મને શોક લાગ્યો કારણે કે આ કોનસેપ્ટ મારો હતો. જ્યારે મેં દેવાંગને ફોન કર્યો તો તેણે મને જવાબ આપ્યો કે, શો માટે રાહ જોવાની મારામાં ધીરજ નથી. તેણે મને બીજી ડેટ્સ ઓફર કરી, પરંતુ હું ઇચ્છતો હતો કે સુનીલનો અમદાવાદનો પ્રથમ શો અમે ઓર્ગેનાઇઝ કરીએ.